ભાગવત રહસ્ય-૨૦
પરમ
પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત "ભાગવત રહસ્ય" - ૨૦
ભાગવત માહાત્મ્ય (ચાલુ)
તુંગભદ્રા નદીના કિનારે એક ગામ હતું. ત્યાં આત્મદેવ
નામનો એક બ્રાહ્મણ પોતાની પત્ની ધુન્ધુલી સાથે રહેતો હતો.
આત્મદેવ પવિત્ર હતા પણ આ ધુન્ધુલી સ્વભાવથી ક્રૂર,પારકી પંચાત કરવાવાળી અને ઝગડાળુ
હતી.
આત્મદેવ નિઃસંતાન હતા. ઘરમાં સંપત્તિ પુષ્કળ હતી પણ
સંતતિ ના અભાવે આત્મદેવ દુઃખી છે. સંતતિ માટે આત્મદેવે ઘણા પ્રયત્ન કર્યા,પણ સફળતા મળી નહિ,એટલે તેણે આત્મહત્યા કરવાનો નિશ્ચય કર્યો, અને વન પ્રતિ
પ્રયાણ કર્યું.
ફરતાં ફરતાં રસ્તામાં નદી કિનારે એક સન્યાસી મહાત્મા
મળ્યા. આત્મદેવ તેમની સામે રડવા લાગ્યા.
મહાત્મા એ રડવાનું કારણ પૂછ્યું.
આત્મદેવ કહે છે કે-ખાવાનું ઘણું મળ્યું છે,પણ ઘરમાં ખાનારો કોઈ નથી.એટલે હું
દુઃખી છું.
મહાત્માએ કહ્યું કે-તારે ઘેર પુત્ર નથી એમાં ભગવાનની
કૃપા છે .છોકરો ના થાય તો –માનવું કે-ઠાકોરજી એ મારા હાથે જ
બધું વાપરવાનું મારા નસીબ માં લખ્યું છે. એટલા માટે
પુત્ર આપ્યો નથી.
પુત્ર દુઃખ રૂપ છે. જેને ત્યાં પુત્ર છે-તેણે પણ
ક્યાં સુખ છે ?
ઈશ્વર જે સ્થિતિમાં રાખે તેમાં સંતોષ માની ઈશ્વર
સ્મરણ કરવું જોઈએ. ભગવાન માં વિશ્વાસ રાખો.
ઈશ્વર ખોટું કરી શકે નહિ. ભગવાન માં વિશ્વાસ ન હોય
તો ભક્તિ છિન્ન-ભિન્ન થાય છે.
મારા ભગવાનને ખોટું કરતાં આવડે નહિ.
હું ભક્તિ કરું છુ એટલે ભગવાને મારી ઈચ્છા પ્રમાણે
કરવું જોઈએ એમ લોકો માને છે.
ભગવાન કહે છે કે-હું તારો નોકર છું કે તું મારો નોકર ?
તમારા જીવન માં ઉદ્વેગ થાય તેવો બનાવ બને તો પણ
ભગવાનને ઠપકો આપશો નહિ.
સમજો કે-પ્રભુ એ જે કર્યું છે તે મારા કલ્યાણ માટે
કર્યું છે.
ભાગવત નો એક સિદ્ધાંત છે-કે-ભગવાન જે સ્થિતિ માં
રાખે,તેમાં સંતોષ માને તે ભક્ત(
વૈષ્ણવ) છે.
ભક્તિ નો અર્થ છે કે ભગવાન ને આધીન થઇ રહેવું,
જગત માં સર્વ પ્રકારે કોઈ સુખી થઇ શકતો નથી. અને
કદાચ થાય તો તે શાનભાન ભૂલે છે.
શ્રી રામદાસ સ્વામી એ તેથી –દાસબોધ –માં કહ્યું છે
કે-
સંતોષ –એ જ –સુખ છે. પ્રાપ્ત સ્થિતિમાં અસંતોષ –એ
ભક્તિ -માં બાધક છે. સુખ એ -સંપત્તિ માં નહિ-સંતોષ માં છે.
એક વખત એકનાથ મહારાજ પંઢરપુર માં વિઠ્ઠલનાથજી નાં
દર્શન કરવા ગયા.
એકનાથજી ને લાયક પત્ની મળી હતી તેથી તેઓ ભગવાનનો
ઉપકાર માને છે.દર્શન કરતાં હૃદય પીગળ્યું છે,આંખો ભીની
થઇ છે. એકનાથ મહારાજ કહે છે-મને સ્ત્રીનો સંગ આપ્યો
નથી,સત્સંગ આપ્યો છે. તમે મને
અનુકુળ પત્ની આપી છે –
તેથી હું
તમારું ભજન કરું છું.મને કોઈ વાર ક્રોધ આવે પણ એને કોઈ દિવસ ક્રોધ આવતો નથી. મને
લાયક પત્ની મળી
છે તેથી હું તમારી સેવા-ભક્તિ કરી શકું છું.
(એકનાથ મહારાજ નાં પત્ની ગીરીજાબાઈ મહારાજ ને
કહેતાં-કે-તમે ઘરની ચિંતા કરો નહિ.તમે સતત ભગવતસેવા કરો.
વ્યવહારનું કાર્ય હું કરીશ.)
થોડી વાર પછી, તુકારામ મહારાજ –પાંડુરંગ....બોલતા બોલતા દર્શન કરવા આવ્યા.
તુકારામ નાં ઘરમાં હતી તે કર્કશા હતી. મહારાજ ધંધો
છોડી સતત ભક્તિ કરે તે તેને ગમતું નહોતું. ઘરમાં પત્ની ઝગડો
કરે છે. ચરિત્ર માં તો એવું લખ્યું છે કે-કોઈ વખત
માર પણ મારે છે.
છતાં તુકારામ આવી સ્ત્રી આપવા બદલ ભગવાન નો ઉપકાર જ
માને છે. કહે છે-મને એવું નંગ મેળવી આપ્યું છે કે મને
ઘરનું સ્મરણ થતું જ નથી. તમરુ સતત સ્મરણ થાય અને
ઘરનું સ્મરણ ના થાય –એટલા માટેજ તમે મને આવી પત્ની
આપી છે. આવી પ્રતિકુળ પત્ની આપી છે -તેથી તો હું
વિઠ્ઠલ-વિઠ્ઠલ કરું છું. અનુકૂળ પત્ની આપી હોત તો હું ક્યાં તમારું ભજન કરી શકવાનો
હતો ?ઉલટાનું તેની પાછળ પડી જાત
અને તમને ભૂલી જાત,તેથી હે નાથ -સારું થયું.
એકનાથજી ને અનુકૂળ પત્ની મળી છે તેથી આનંદ. અને તુકારામ
ને પ્રતિકૂળ પત્ની મળી છે તોયે તે ભગવાન નો ઉપકાર
માને છે. સંતો નો આ સ્વભાવ જ હોય છે.
નરસિંહ મહેતા ની પત્ની મરણ પામી, મહેતાજી એ માન્યું- સારું થયું.
મારા દેખતા જ એનો છેલ્લો વરઘોડો નીકળી ગયો.
રાધે ગોવિંદ ભજો-મારી પાછળ રહી હોત તો મને એની ચિંતા
થાત.
ત્યાર પછી પરણેલો પુત્ર મરણ પામ્યો. યુવાન પુત્ર નાં
મરણ નું દુઃખ –જેને માથે પડ્યું હોય તે જ જાણી શકે.એના જેવું
દુઃખ દુનિયા માં બીજું કોઈ નથી. નરસિંહ મહેતા નાં
કુટુંબ નો નાશ થયો, છતાં
મહેતાજી ની શાંતિ માં ભંગ થયો નથી,
આનંદ માને છે. અને ગાય છે કે-
ભલું થયું ભાંગી જંજાળ –સુખે ભજીશું શ્રી ગોપાલ.
વૈષ્ણવ તે છે કે-જે પ્રત્યેક પરિસ્થિતિ
–સારી-કે-ખરાબ-માં પરમાત્મા ની કૃપાનો અનુભવ કરે.અને મન ને શાંત રાખે.
માત-પિતા ને પુત્ર માટે બહુ ચિંતા ઓ હોય છે.
પુત્રેષણા પાછળ અનેક વાસના ઓ આવે છે.
પુત્રેષણા પછી વિત્તેષણા અને પછી લોકેષણા જાગે છે.
આત્મ દેવે કહ્યું-કે-મહારાજ આપે બહુ સુંદર બોધ આપ્યો ,પણ મારું મન માનતું નથી, મને પુત્ર આપો, પુત્ર પિતાને
સદગતિ આપે છે. મહારાજ જેના ઘરમાં દીકરો નથી તેણે
સદગતિ મળતી નથી.
મહાત્મા આત્મદેવ ને સમજાવે છે-કે- શ્રુતિ (નારાયણ
ઉપનિષદ) તો એક ઠેકાણે કહે છે કે-
“પુત્રથી મુક્તિ મળતી નથી,કર્મ થી મુક્તિ મળતી નથી,ધનથી મુક્તિ મળતી નથી .પણ એકલા ત્યાગ થી અમૃત તત્વ ની
પ્રાપ્તિ થાય છે”
પુત્ર જ જો સદગતિ આપી શકતા હોય તો,લગભગ બધાને ઘેર પુત્ર છે .અને તેથી
બધાને સદગતિ મળી જાય.
પિતા એવી આશા નાં રાખે કે મારો પુત્ર શ્રાધ્ધ કરશે
ને હું તરી જઈશ. તેવી આશા રાખવા જેવો આ સમય નથી.
શ્રાદ્ધ કરવાથી જીવ સારી યોનિ માં જાય છે.પણ એમ ના
સમજવું કે જન્મ મરણ નાં ત્રાસ માંથી તે છૂટે છે.
મુક્તિ શું એટલી સુલભ છે કે લોટનો પિંડ મુકવાથી
મુક્તિ મળી જાય ? પિંડદાન
મુક્તિ ન અપાવી શકે.
શ્રાધ્ધ કરવું એ ધર્મ છે.શ્રાધ્ધ કરવાની નાં નથી
.શ્રાધ્ધ કરવાથી પિતૃઓ પ્રસન્ન થઇ આશીર્વાદ આપે છે.
No comments:
Post a Comment