અધ્યાય ૦૧ - શ્લોક ૩૧
મૂળ શ્લોક:
निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न अच श्रेयोऽनुपश्यामि हत्वा स्वनजमाहवे ॥ ३१ ॥
શ્લોક ભાવાર્થ:
હે કેશવ ! હું લક્ષણો - શકુનોને પણ વિપરીત જોઇ રહ્યો છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને શ્રેય (લાભ) પણ નથી જોઇ રહ્યો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા:
'निमित्तानि च पश्यामि विपरीतानि केशव' - હે કેશવ ! હું શકુનોને [૧]
પણ વિપરીત જ જોઇ રહ્યો છું. તાત્પર્ય એ છે કે કોઇ પણ કાર્યની શરૂઆતમાં
મનમાં જેટલો વધારે ઉત્સાહ (હર્ષ) હોય છે, એ ઉત્સાહ તે કાર્યને એટલું જ
સિદ્ધ કરનારો બને છે. પરંતુ કાર્યના આરંભમાં જ જો ઉત્સાહભંગ થઇ જવાય છે,
મનમાં અયોગ્ય સંકલ્પવિકલ્પ ઊઠતા રહે છે, તો એ કાર્યનું પરિણામ સારું નથી
આવતું. એ જ ભાવથી અર્જુન કહી રહ્યા છે કે અત્યારે મારા શરીરમાં અવયવો ઢીલા
પડવા, ધ્રુજારી આવવી, મોઢું સુકાવું વગેરે જે લક્ષણો દેખાઈ રહ્યાં છે, તે
વ્યક્તિગત શકુનો પણ યોગ્ય થઇ રહ્યા નથી. [૨] એ સિવાય
આકાશમાંથી ઉલ્કાપાત થવો, કસમયે ગ્રહણ થવું, ધરતીકંપ થવો, પશુપક્ષીઓ દ્વારા
ભયંકર બોલી બોલાવી, ચંદ્રમાના કાળા ધાબાં ન દેખાવાં, વાદળોમાંથી લોહીનો
વરસાદ પડવો વગેરે જે શકુનો અગાઉ થયા છે, તે પણ બરાબર થયા નથી. આ રીતે હાલના
અને અગાઉના એ બન્નેય શ્કુનો તરફ નજર નાખું છું, તો મને એ બન્નેય શકુનો
વિપરીત અર્થાત્ ભાવિ અનિષ્ટના જ સૂચક જણાય છે.
'न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे' - યુદ્ધમાં
પોતાના કુટુંબીઓને મારવાથી અમને કોઇ લાભ થશે - એવી વાત પણ નથી. આ યુદ્ધના
ફળસ્વરૂપે અમારે માટે આ લોક અને પરલોક - બન્નેય ભલું કરનારા બને એમ જણાતું
નથી. કારણ કે જે પોતાના કુળનો નાશ કરે છે, તે અત્યંત પાપી હોય છે. આથી
કુળનો નાશ કરવાથી અમને પાપ જ લાગશે, જેને પરિણામે અમારે નરકમાં જવું પડશે.
આ શ્લોકમાં 'निमित्तनि पश्यामि' - અને 'श्रेयः अनुपश्यामि' [૩]
- આ બે વાક્યોથી અર્જુન એ કહેવા માગે છે કે હું શકુનો જોઉ અથવા જાતે વિચાર
કરું, બન્નેય રીતે યુદ્ધનો આરંભ અને તેનું પરિણામ અમારે માટે તેમ જ
સંસારમાત્રને માટે હિતકારક નથી જણાતું.
[૧] - જેટલા પણ શકુનો થાય
છે, તે કોઇ સારી કે ખરાબ ઘટના બનવામાં નિમિત્ત થતા નથી અર્થાત્ એ કોઇ
ઘટનાના નિર્માતા નથી હોતા, પરંતુ ભાવિ ઘટનાના સંકેતો આપનારા હોય છે. શકુન
બતાવવાવાળાં પ્રાણી વાસ્તવમાં શકુનોને બતાવતાં નથી; પરંતુ એમની સ્વાભાવિક
ચેષ્ટાથી શકુનો સૂચિત થાય છે.
[૨] - જોકે અર્જુન શરીરમાં થનારા લક્ષણોને પણ શકુન
માની રહ્યા છે, તેમ છતાં વાસ્તવમાં એ શકુનો નથી. એ તો શોકને કારણે
ઇંદ્રિયો, શરીર, મન અને બુદ્ધિમાં થનાર વિકારો છે.
[૩] - અહીં 'पश्यामि' ક્રિયા ભૂતકાળના અને વર્તમાનકાળના શકુનોની બાબતમાં અને 'अनुपश्यामि' ક્રિયા ભવિષ્યના પરિણામની બાબતમાં આવી છે.
શ્લોક માહિતી:
સંબંધ
- અગાઉના શ્લોકમાં પોતાના શરીરના શોકથી ઉત્પન્ન થયેલા આઠ ચિન્હોનું વર્ણન
કરીને હવે અર્જુન ભાવિ પરિણામને દર્શાવનારા શકુનોની દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ
અયોગ્ય છે એમ દર્શાવે છે.
No comments:
Post a Comment