Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

ભાગવત રહસ્ય-૧૨ -પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૧૨

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય" - ૧૨


ભાગવત માહાત્મ્ય (ચાલુ)

શૌનક્જી કહે છે—જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ વધે એવી- સારભૂત કથા સંભળાવો. આપ એવી કથા સંભળાવો કે –

ભક્તિ પુષ્ટ થાય ,કન્હૈયો વહાલો લાગે અને સંસારના વિષયો માં સૂગ આવે.

સંસારના વિષયોમાં અરુચિ અને પ્રભુમાં રુચિ –એ કથાનું ફળ છે.

જ્ઞાનમાર્ગ માં પરમાત્મા દ્રષ્ટા (જોનાર-જેમ કે આંખ- જુએ છે-જોનાર છે) છે, તે દ્રશ્ય (જે દેખાય છે તે) નથી.

જે સર્વનો દ્રષ્ટા છે,સર્વનો સાક્ષી છે,એને કોણ જોઈ શકે ?

ભક્તિમાર્ગ માં ભગવાન દ્રષ્ટા પણ છે અને દ્રશ્ય પણ છે. ભગવાન બધા ને જુએ છે.પણ ભક્ત નો પ્રેમ વધે છે તેથી

દ્રશ્ય બને છે. ભક્તિ ભગવાન ને- દ્રશ્ય- બનાવે છે.

“આપ એવી કથા કરો-કે-પરમાત્મા શ્રીકૃષ્ણ ના પ્રત્યક્ષ દર્શન અમને થાય.”

જ્ઞાન ,વૈરાગ્ય અને ભક્તિને વધારવા આ કથા છે.

મહાન ભક્તોના,મહાન પુરુષોના ચરિત્રો સાંભળી આપણ ને થાય છે કે—હાય-મેં મારા આત્માના ઉદ્ધાર અર્થે કાઇ પણ

કર્યું નહિ. કથા સાંભળ્યા પછી પાપ છૂટે,કરેલા પાપનો પશ્ચાતાપ થાય અને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે તો –કથા સાંભળી સાચી. કથા સાંભળ્યા પછી,વિવેક,વૈરાગ્ય ના આવે,કરેલા પાપનો પસ્તાવો ના થાય,પ્રભુ પ્રત્યે પ્રેમ ના થાય તો તે કથા-કથા જ નથી.

બ્રહ્મા એ નારદજી ને આજ્ઞા કરી છે કે-બેટા, કથા કર પણ એવી કથા કર કે મારા પ્રભુમાં લોકોની પ્રેમમયી ભક્તિ થાય.

કથા મનુષ્ય ના જીવનને સુધારે છે,જીવનનું પરિવર્તન કરે છે. કથા મનુષ્ય ના જીવન માં ક્રાંતિ કરે છે. કથા સાંભળ્યા

પછી,જીવન માં ફેરફાર ના થાય,સ્વભાવ ના સુધારે,ન બદલાય,કે જીવન માં ક્રાંતિ ન આવે તો તે કથા શું કામની ?

શૌનક મુનિએ તેથી કહ્યું છે કે –અમારુ જ્ઞાન વધે,વૈરાગ્ય વધે ,ભક્તિ વધે -એવી કથા કહો.

એકલી –ભક્તિ- વધે –તેવું કહ્યું નથી. ભક્તિ –જ્ઞાન અને વૈરાગ્ય ની સાથે વધે—એવું કહ્યું છે.

કેટલાક માં વૈરાગ્ય હોય છે પણ પ્રભુ માં પ્રેમ હોતો નથી.

એમ તો-વાનરો ઘરમાં રહેતા નથી,કાયમ ફળ-ફૂલ ખાઈને એકાદશી કરે છે-પણ વાનરો માં પ્રભુ પ્રેમ ક્યાં છે ?

પ્રેમ વગર વૈરાગ્ય ની કિંમત નથી. કેટલાક માં ભક્તિ હોય છે પણ વૈરાગ્ય હોતો નથી.

વૈરાગ્ય ના હોય તો ભક્તિ -કેટલીક વાર વાસનાના વેગ માં વહી જશે.

શીરામાં લૌકિક દ્રષ્ટિ એ ઘઉંની કીમત ઓછી છે, છતાં લોટ વગર શીરો થતો નથી. તત્વ દ્રષ્ટિ થી વિચારો, તો તેની

કિંમત ઘી જેટલી જ છે. શીરો કરવામાં ઘઉં,ગોળ,ઘી ની સરખી જ જરૂર છે.

તેવી રીતે જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય સમાન છે. જીવન માં એ ત્રણે ની જરૂર છે.

સોળ આની જ્ઞાન અને સોળ આની વૈરાગ્ય—આવે ત્યારે જીવ નો જીવ ભાવ જાય છે.

જેના માં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય તે ઉત્તમ વક્તા છે. અનેક ઋષિ-મુનીઓ ગંગા કિનારે બેઠા હતા,

પણ કથા કરવા કોઈ તૈયાર ના થયું, ત્યારે ભગવાને શુકદેવજીને ત્યાં જવા પ્રેરણા કરી છે,

શુકદેવજી માં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય પરિપૂર્ણ હતાં.

ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે. કૃષ્ણ પ્રેમ માં દેહભાન ભુલાય. તે ઉત્તમ પ્રેમ નું લક્ષણ છે. પરમાત્મા પ્રેમી ને જ પોતાનું  સ્વરૂપ બતાવે છે.

જ્ઞાનમાર્ગ માં પ્રાપ્ત ની  (જે પ્રાપ્ત કરવાનું છે) પ્રાપ્તિ છે. જ્ઞાન માર્ગ માં જે મળેલું છે તેનો અનુભવ કરવાનો છે.

(શરીર માં આત્મા-પરમાત્મા નો અનુભવ-અદ્વૈત). જયારે ભક્તિ દ્વારા ભેદ નો વિનાશ કરવાનો છે.

જ્ઞાન માર્ગ માં ભેદ નો નિષેધ કરવામાં આવે છે. બંને નું લક્ષ્ય એક જ છે.

શૌનક્જી એ કહ્યું—અમે ઠાકોરજી ને પ્રેમ કરીએ છીએ,પણ ભગવાન સાથે પ્રત્યક્ષ વાતો કરવી છે. અમારે શ્રીકૃષ્ણ ની પ્રાપ્તિ કરવી છે. એવી કથા સાંભળવાની અમારી ઈચ્છા છે.

સુતજી એ શૌનકાદિના ખુબ વખાણ કર્યા છે. સુતજી એ કહ્યું—તમે બધાં પ્રભુના પ્યારા  છો,તમે બધાં કૃષ્ણ નું સ્વરૂપ

છો, તમે બધાં ભગવાન જેવા છો. તમને હું શું ઉપદેશ આપું ?

વક્તા જો શ્રોતા માં ભગવદભાવ ના રાખે તો તેની કથા માં ભગવાન ન પધારે. વક્તા માં દૈન્ય હોય તો ભગવાન કથા માં પધારે છે. તુકારામ મહારાજ ને કોઈ એ કહ્યું કે-મહારાજ તમે સુંદર કથા કરો છો. ત્યારે મહારાજે જવાબ આપ્યો કે-હું તો મારા વિઠ્ઠલનાથ ના દર્શન કરું છું, હું શું બોલું છું તેની મને ખબર નથી.

“કથા સાંભળ્યા પછી ,જે કરવું જોઈએ તે તો તમે કરો જ છો,પણ લોકોનું કલ્યાણ કરવા માટે તમે પ્રશ્ન કરો છો.

હું યથામતિ આપણે કથા સંભળાવું છું. તો સાવધાન થઇ કથા સાંભળો. પૂર્વજન્મ ના પુણ્ય નો ઉદય થાય છે,ત્યારે જ

આ પવિત્ર કથા સાંભળવાનો યોગ થાય છે.

કલિયુગના જીવોને -કાલરૂપ સર્પ- ના મુખમાંથી છોડાવવા શુકદેવજી એ ભાગવતની કથા કહી છે.

જયારે શુકદેવજી પરીક્ષિત રાજા ને આ કથા સંભળાવતા હતા—ત્યારે સ્વર્ગ નું અમૃત લઈને દેવો ત્યાં આવેલા.

દેવોએ કહ્યું --સ્વર્ગનું અમૃત અમે રાજાને આપીએ, અને કથાનું અમૃત અમને આપો.

શુકદેવજી એ પરીક્ષિત ને પૂછ્યું—આ કથા નું અમૃત પીવું છે કે સ્વર્ગનું અમૃત પીવું છે ?

પરીક્ષિતે પૂછ્યું –સ્વર્ગના અમૃત પીવા થી શો લાભ ?

શુકદેવજી કહે છે—સ્વર્ગ નું અમૃત પીવા થી સ્વર્ગ નું સુખ મળે છે. પરંતુ,સ્વર્ગ નું સુખ—દુઃખમિશ્રિત છે.

સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્ય નો ક્ષય થાય છે –પણ પાપ નો ક્ષય થતો નથી.

કથામૃત થી પાપ નો નાશ થશે. કથામૃત થી ભોગ વાસનાનો વિનાશ થાય છે. તેથી સ્વર્ગના અમૃત કરતાં પણ

કથામૃત શ્રેષ્ઠ છે. રાજાએ કહ્યું-મારે તો આ કથામૃતનું જ પાન કરવું છે.મારે સ્વર્ગનું અમૃત જોઈતું નથી.

સાત જ દિવસ માં જ્ઞાન અને વૈરાગ્ય ને જાગૃત કરવા માટે આ કથા છે.

આપણા માં જ્ઞાન ને વૈરાગ્ય છે જ, પણ તે સૂતેલા છે, તેને જાગૃત કરવાના છે.

આગળ કથા આવશે કે –જ્ઞાન અને વૈરાગ્ય મૂર્છા માં પડેલા છે.

સાત જ દિવસ માં જ્ઞાન અને વૈરાગ્ય ને જાગૃત કરી –ભક્તિરસ –ઉત્પન્ન કરવા માટે આ કથા છે.

ભાગવત સિવાય એવો બીજો કોઈ ગ્રંથ નથી જે સાત દિવસ માં મુક્તિ અપાવી શકે.



No comments:

Post a Comment