Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Saturday, November 4, 2017

ભાગવત રહસ્ય-૧૦૧ to 114 ડોંગરેજી મહારાજ ની કથા

ભાગવત રહસ્ય-૧૦૧ to 114

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  

સ્કંધ ત્રીજો-૧૯ (સર્ગ લીલા)




હવે કપિલ ગીતા નો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.



દીકરો મા ને ઉપદેશ આપે છે.



ભાગવત નું આ અગત્યનું પ્રકરણ છે.



તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા  નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ છે.



ત્રણ અધ્યાય માં પહેલાં વેદાંત નું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિ નું વર્ણન કર્યું છે.તે પછી સંસારચક્ર નું વર્ણન આવે છે.



એક દિવસ માતા દેવહુતિ એ વિચાર્યું-કે-જયારે કપિલ નો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજી એ કહેલું કે-



આ બાળક સાક્ષાત નારાયણ નોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.



દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવ થી વંદન કરી કહ્યું-આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે.



કપિલ ભગવાન કહે છે-કે- મા સંકોચ ના રાખો.તમારે જે પૂછવું હોય તે પૂછો.મા,તમે જે પુછશો,તેનો ઉત્તર હું કહીશ.



દેવહુતિ એ પ્રથમ શરણાગતિ લીધી છે. (ઈશ્વરની શરણાગતિ વગર ઉદ્ધાર થતો નથી.)



દેવહુતિએ પ્રશ્ન કર્યો છે-કે-આ જગતમાં સાચો આનંદ છે કે નહિ ? અને હોય તો ક્યાં છે ? તે બતાવો.



જે આનંદ નો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. જગતમાં સાચું સુખ શું છે ? તે કહો.



આં ઇન્દ્રિયો ના લાડ અનેક વખત કર્યા છે,શરીર રોગી  થાય છે,પણ વાસના શાંત થતી નથી. મન ને શાંતિ મળતી નથી.



આ ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. આ વાસના મને બહુ પજવે છે.



વૃદ્ધાવસ્થામાં પણ વાસના જુવાન રહે છે. વાસના એ ભિખારણ જેવી છે,તેને જેમ જેમ ખવડાવો,તેમ તેમ તેની ભુખ વધે છે.



આ વાસના રાક્ષસી એવી છે-એને જે ખવડાવે છે-તેને જ તે ખાઈ જાય છે. ઇન્દ્રિયો રોજ રોજ નવા વિષયો  માગે છે,



જીભ રસસુખ તરફ ખેંચે છે,આંખ રૂપ ના સુખ તરફ ખેંચે છે,ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે,



ઇંદ્રિયો થોડું સુખ આપે છે-પછી દુઃખ ના ખાડા માં ધકેલી દે છે.



કેટલાંક લોકો યાદ રાખે છે-કે-બે મહિનાથી ઢોકળાં ખાધાં નથી. અરે...તમે બે માસ થી ઢોકળાં ખાધાં નથી તે યાદ રાખો છો –પણ-



આજ સુધી માં કેટલાં ખાધાં તે યાદ રાખતા નથી.આજ સુધી માં બે ચાર મણ ઢોકળાં પેટ માં ગયાં હશે.



કદાચ ઢોકળાં ખવડાવી જીભ ને રાજી કરો તો –આંખો કહેશે-બે માસ થી ફિલ્મ જોઈ નથી. આ વિચાર કરો ત્યાં સ્ત્રી કહે કે-પાડોશીઓ



તો મહિના માં બે-ચાર વાર જોવા જાય છે. આ નવું ફિલ્મ તેઓ ક્યારના ય જોઈ આવ્યા,આપણે ક્યારે જઈશું ?



સુધરેલા લોકો માને છે-કે-હોટેલ નું ખાઈએ,અને સિનેમા જોવા જઈએ –એટલે અમે સુખી છીએ. સાચાં સુખની કોઈને ખબર નથી.



કેટલાંક કહે છે-કે અમે ધાર્મિક ફિલ્મો જોઈએ છીએ. પણ શું રામ નો પાઠ ભજવનાર રામ જેવો હોય છે ?



કેટલાંક કહે આખો દિવસ કામ કરીને થાક લાગ્યો હોય તો કોઈ મનોરંજન તો જોઈ ને ? શૃંગાર ના ચિત્રો જોવાથી મનોરંજન થતું



નથી પણ મન બગડે છે,મન ચંચળ થાય છે,મન ની શક્તિઓ નો નાશ થાય છે. ફિલ્મ જોવાથી થાક ઉતરતો નથી,પણ થાક લાગે છે.



શંકર સ્વામી એ એક જગ્યાએ –આ ઇન્દ્રિયો ને ચોર કહી છે. વિવેક રૂપી ધન –ઇન્દ્રિયો ચોરી ને લઇ જાય છે.



ઇન્દ્રિયો ચોર કરતા યે વધુ ખરાબ  છે, ચોર તો જેના આધારે હોય – જેના ઘરમાં રહેતો હોય-તેના ત્યાં ચોરી કરતો નથી, જયારે



ઇન્દ્રિયો તો –પોતાના પતિ આત્મા ને છેતરે છે.(ઇન્દ્રિયો આત્મા ના આધારે રહે છે.)



આત્મા શક્તિ આપે છે-------બુદ્ધિ ને,   બુદ્ધિ-મન ને,    અને મન-ઈન્દ્રિયોને.



ઇન્દ્રિયો -જે આત્મા ના આધારે, જીવે છે-તે આત્મા નું જ વિવેકરૂપી ધન લુંટી ને લઇ જાય છે.



દેવહુતિ –કપિલ ભગવાનને કહે છે-મને શાંતિ નો માર્ગ બતાવો, હું સ્ત્રી છું, હું સમજી શકું તેવી સરળ ભાષામાં સમજાવો.



કપિલ ભગવાન ને આનંદ થયો. બોલ્યા: મા તેં સુંદર પ્રશ્ન કર્યો છે.



કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા –એ-જ મહાન દુઃખ છે. જે સંસાર ના જડ પદાર્થો સુખ આપે છે-તે જ દુઃખ આપે છે.



જેને બીજાથી સુખ મળે છે,તે દુઃખી થાય છે. સંસાર સુખ-દુઃખ થી ભરેલો છે. જેને સુખ ભોગવવું છે,તેને દુઃખ ભોગવવું પડે છે.



સુખ ની પાછળ દુઃખ ઉભું જ છે. સુખ-દુઃખ સગા ભાઈઓ છે.



આનંદ એ બહાર નથી,આનંદ એ તો અંદર છે.પરમાત્મા આનંદ સ્વરૂપ છે,પરમાત્મા સર્વ માં ચૈતન્યરૂપે રહેલા છે.



મા,આનંદ કોઈ જડ પદાર્થ માં રહી શકતો નથી. આનંદ એ તો આત્મા નું સ્વરૂપ છે.



અજ્ઞાન થી મનુષ્ય, જડ પદાર્થ માં આનંદ શોધે છે. સંસાર ના પદાર્થો જડ હોવાથી જીવ ને આનંદ આપી શકતા નથી.



તે આનંદ આપતા નથી,પણ થોડું સુખ આપે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી તેને આનંદ મળે છે.



જે સુખ આપે છે-તે દુઃખ પણ આપશે. પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે.

આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,ચેતન પરમાત્મા આનંદ આપે છે.





--------------------------------------------------------------------------------------------------









ભાગવત રહસ્ય-૧૦૨



સ્કંધ ત્રીજો-૨૦ (સર્ગ લીલા)



આ શરીર ને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.



શરીર ની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખ માં માનવી સુખ માને છે.



સંસારનું સુખ –દરાજ(ચામડી નો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.



દરાજ ને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખ ના ઝેર થી દરાજ વધે છે.



જગત ના પદાર્થો માં આનંદ નથી,આનંદ નો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે.



ગીતા માં કહ્યું છે-



ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગત ને પ્રાપ્ત કરીને –પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩)



જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગ થી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામ માં તે



વિષ (ઝેર) સમાન છે, એટલે –આ સુખ ને રાજસ-સુખ કહેવામાં આવ્યું છે. (ગીતા-૧૮-૩૮)



મા, જો શરીર માં આનંદ હોય-તો તેમાં થી પ્રાણ નીકળી ગયા પછી-તેને લોકો સાચવી કેમ રાખતા નથી ?



ઉલટું કહે છે-જલ્દી લઇ જાવ,નહીતર વજન વધી જશે. પત્ની, પણ એના પતિના મૃત શરીર ની નજીક જતાં ડરે છે.



શરીર માં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાં થી દુર્ગંધ જ આવે છે,છતાં માનવી કહે છે-શરીર સુંદર છે,શરીર સુખ આપે છે.



વિષયો જડ છે. જડ પદાર્થ માં આનંદ કેવી રીતે હોઈ શકે ? જડ પદાર્થ માં આનંદ-ચૈતન્ય (પ્રભુ) ના સ્પર્શ થી ભાસે છે.



જીવ -જીવ ને મળે તો સુખ થાય છે, પણ મડદાને મળવા થી સુખ થતું નથી.(મડદામાં જીવ નથી)



શરીર -શરીર ને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ.



બે શરીરના સ્પર્શ થી સુખ નથી મળતું –પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે, એક થાય છે,એટલે સુખ જેવું લાગે છે.



જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે-તો અનેક પ્રાણો જેમાં મળેલા છે –તે પરમાત્મા ને મળવાથી કેટલો આનંદ થાય !!!



બહિર્મુખ (બહાર ભટકતું) મન જયારે અંતર્મુખ બને,એકાગ્ર થાય ત્યારે આત્માનું તેમાં પ્રતિબિંબ પડે છે, ને જ્યાં સુધી મન ની



એકાગ્રતા રહે (તરંગ વગરનું રહે) ત્યાં સુધી આનંદ નો ભાસ થાય છે. પણ મન ચંચળ છે, જેવા મન માં તરંગ થયા, જેવું મન વ્યગ્ર



થયું કે –તે આનંદ ઉડી જાય છે.



આનંદ એ આત્મા નું સહજ સ્વરૂપ છે, જેવી રીતે પાણી ની શીતળતા તેનું સહજ સ્વરૂપ છે તેમ.



પાણી ને અગ્નિ અડે તો તે ગરમ થાય છે-પણ અગ્નિ દૂર જવાથી પાછું ઠંડું થાય છે.



એમ આનંદ આત્મા માં જ છે-અંદર જ છે. અને જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે.



દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે,દીવાનું તેલ ખૂટે એટલે દીવો શાંત બને છે. તે પ્રમાણે જ-



મન માં સંસાર હોય-ત્યાં સુધી જ મન બળે છે. મન માં સંસાર ના રહે તો –મન શાંત થાય છે.



ધ્યાન માં રાખો-કે-બહાર નો સંસાર દુઃખ આપતો નથી,પણ મન માં રહેલો સંસાર દુઃખ આપે છે.



નિંદ્રામાં જેમ મન –નિર્વિષય થાય છે-તેવું-જ જો જાગ્રત અવસ્થામાં પણ મન-નિર્વિષય રહે તો –શાંતિ મળે છે.



નિંદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે-તેવું મન બનાવવું હોય તો-મન ના વિકારો ને બહાર ધકેલી દો કે મન માં બીજું કાંઇક ભરો.



જેમ કે મન ને પરમાત્મા ના પ્રેમ થી  ભરી દો-એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે.



સંસાર માં જો આનંદ હોય તો –તેને છોડી ને કોઈ ને સુવાની ઈચ્છા થાય જ નહિ.



નિંદ્રામાં નથી કંઈ ખાવાનું મળતું,નથી પીવાનું મળતું,નથી પૈસો મળતો,-પણ અલૌકિક શાંતિ-આનંદ મળે છે. તે શાંતિ કોણ આપે છે ?



અતિકામી,અતિલોભી હોય પણ સર્વ કંઈ છોડીને –સુઈ જાય ત્યારે તેને શાંતિ મળે છે.



ગમે તેટલી સુખ-સંપત્તિ હોય-પણ તેને જો નિંદ્રા ન આવે તો –તે દુઃખી થાય છે.





---------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૧ (સર્ગ લીલા)



કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.



પણ ભાગવત માં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.



નિંદ્રા ના આવે તો –પથારી માં આળોટશો નહિ,પથારી માં બેઠા થઇ,માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.



નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણ ની સ્ત્રી નો શાપ છે.



કુંભકરણ ની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિ ને માર્યો, હવે હું ક્યાં જાઉં ?



ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા  જોવા જજે. કુંભકરણ ની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી



કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારાં સાથે મારે વેર થયું છે,મારે વેર નો બદલો લેવો છે, એટલે તમારી –જ્યાં



કથા વાર્તા થતી હશે,સ્મરણ થતું હશે-ત્યાં હું જઈશ.



એટલે કથા માં બેઠા હોવ,કે માળા હાથમાં લો-એટલે નિંદ્રા દેવી દોડતાં આવે છે,બે-ત્રણ દિવસના ઉજાગરા હોય તો પણ



નાટક-સિનેમા માં ઊંઘ આવતી નથી.......



આ તો હળવા અર્થ માં કહ્યું-માળા કરતા નિંદ્રા આવે તો-માનજો-મારું પાપ હજુ વધારે છે.



નિંદ્રા માં ચેતન પરમાત્મા ના સ્પર્શ થી સુખ મળે છે,આનંદ મળે છે.મન નિર્વિષય બને એટલે ચેતન પરમાત્મા નો સ્પર્શ મળે છે.



પરંતુ નિદ્રાનું સુખ અજ્ઞાન થી ઢંકાયેલું હોવાથી, તેને તામસ સુખ માન્યું છે.



મા, આત્મા તો નિત્ય શુદ્ધ છે,આનંદરૂપ છે,સુખ-દુઃખ એ મન ના ધર્મો છે. મન નિર્વિષય થાય –એટલે આનંદ મળે છે.



દૃશ્ય પદાર્થ (જગત) માં થી દૃષ્ટિ  (મન-બુદ્ધિ) હટી જાય-અને દ્રષ્ટા (પ્રભુ) માં દૃષ્ટિ (મન-બુદ્ધિ) સ્થિર થાય-એટલે આનંદ મળે છે.



દૃશ્ય (જગત) નો સાચો દ્રષ્ટા (જોનાર- (પ્રભુ) છે. અને જે દ્રષ્ટા ને –સાક્ષી- કહે છે. જે દ્રષ્ટા આનંદ રૂપ છે.



દૃશ્ય (જગત) એ દુઃખ રૂપ છે,એટલે તેમાંથી દૃષ્ટિ (મન-બુદ્ધિ) હટાવી-દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર –કરો-એટલે આનંદ-આનંદ.



અને દૃષ્ટિ –દ્રષ્ટા માં મળી જાય-એકરૂપ થઇ જાય-તો –પરમાનંદ.



દેવહુતિ કહે છે-મહારાજ,તમે ભલે ના પાડો,પણ ભાવતું ભોજન(જીભ-નો વિષય) મળે તો –આનંદ થાય છે.



કપિલદેવ કહે છે-ભોજન માં આનંદ છે-તે કલ્પના ખોટી છે.કારણ તે આનંદ સર્વકાળ એક સરખો નથી.



ઉદાહરણ તરીકે –કોઈને શિખંડ ખાવામાં આનંદ આવે છે. પણ જો તેનું પેટ ભરેલું હોય,કે તેને અજીર્ણ થયું હોય,કે માંદો-તાવમાં હોય.



તેની સામે શિખંડ મુકવામાં આવે તો તેને આનંદ નહિ થાય.ખરેખર- જો શિખંડમાં આનંદ હોય તો-તેને અત્યારે શિખંડ ખાવામાં



આનંદ મળવો જોઈએ. પણ અત્યારે એ શિખંડ સામે નજર પણ નહિ કરે. એટલે શિખંડ માં-ભોજન માં આનંદ નથી.



કલ્પના કરો-કે –કોઈ શ્રીમંત શેઠ આનંદ થી –શિખંડ-પૂરી જમે છે. ત્યાં મુંબઈ ની પેઢી માં થી ફોન આવ્યો-કે –પેઢી ડૂબી ગઈ છે-



ત્યારે એ જ શિખંડ ઝેર જેવો થઇ જાય છે, ભાવતો નથી.



મા, ભોજન માં –સંસાર ના જડ પદાર્થો માં આનંદ નથી. જે આનંદ દેખાય છે-તે ક્ષણિક છે, થોડા સમય પુરતો  છે. જયારે જયારે.



ચેતન પરમાત્મા નો સ્પર્શ થાય ત્યારે –આ આનંદ ઉદ્ભવે છે. સતત આનંદ માત્ર પરમાત્મા માં છે.



આનંદ નો કોઈ વિરોધી શબ્દ જડશે નહિ. આનંદ એ બ્રહ્મ-પરમાત્મા સ્વરૂપ છે. એટલે જ જીવાત્મા (આત્મા) પણ આનંદ રૂપ છે.



જીવાત્મા ની અંદર આત્મા રૂપે આનંદ બેઠેલો છે-પણ જીવ (મનુષ્ય)  આનંદ બહાર(જડ પદાર્થો માં-બીજામાં) શોધવા જાય છે.



અને જે આનંદ(સુખ) વધારે વખત ટકતો નથી.- અને દુઃખી થાય છે.



સુખ-દુઃખ એ અજ્ઞાન (આત્મા-પરમાત્મા નું અજ્ઞાન) નું પરિણામ છે. સુખ-દુઃખ એ અજ્ઞાન નું સ્વરૂપ છે.



આત્મા ને ના તો સુખ થાય છે-ના તો દુઃખ થાય છે.



“મારા મન માં પાપ આવ્યું છે-એ જેને દેખાય છે”-તે આત્મા છે. આત્મા એ મન નો સાક્ષી છે.



સુખ-દુઃખ એ મન ની ઊર્મિ  (ધર્મ) છે.કોઈ  પ્રેમી મળે તો સુખ-લાગે અને પ્રેમી મરે તો દુઃખ લાગે.



ભુખ-તરસ એ શરીર ની ઊર્મિ(ધર્મ) છે.બહુ પરસેવો વળી જાય તો તરસ લાગે, સમય થાય એટલે ભુખ લાગે.



જન્મ-મરણ એ પ્રાણ ની ઊર્મિ  (ધર્મ) છે.હરેક અંદર જતો શ્વાસ જીવન છે-અને બહાર જતો શ્વાસ મરણ છે.



(બાળક જન્મે ત્યારે શ્વાસ નથી લેતું હોતું-તેને થપથપાવે-એટલે રુદન નો એક આંચકો આવે અને શ્વાસ –જીવન શરુ થાય છે)



સુખ-દુઃખ મન ને થાય એટલે આત્મા કલ્પે છે-મને દુઃખ થાય છે. મન ને થયેલાં સુખ-દુઃખ નો આરોપ અજ્ઞાનથી-આત્મા –પોતાના



પર કરે છે.અહીં મન ની –‘ઉપાધિ’-થી આત્મા સુખ-દુઃખ નો આરોપ પોતા પર કરે છે.



સુખ-દુઃખ આત્મા માં ઉપાધિથી  (અજ્ઞાનથી) ભાસે છે.



ઉદાહરણ તરીકે જોઈએ તો-આત્મા સ્ફટિકમણી જેવો શુદ્ધ છે. અને સ્ફટિકમણી ની પાછળ જેવા રંગ નું  ફૂલ મુકો તેવો તે દેખાશે.



પણ –તેથી કંઈ સ્ફટિક નો રંગ તે ફૂલ નો રંગ છે તે નથી,પોતે તો શુદ્ધ છે. પણ સંસર્ગ થી તે-તે રંગ વાળો દેખાય છે.



જળ માં ચંદ્ર નું પ્રતિબિંબ પડતું હોય, અને જો જળમાં તરંગો થાય-હલન ચલન થાય-તો ચંદ્ર હાલતો દેખાશે. પણ હકીકત માં



ચંદ્ર હાલતો નથી.



બસ આ ઉદાહરણ મુજબ-દેહ-મન-અને પ્રાણ ની ઊર્મિઓ (ધર્મો) –પોતાના માં નહિ –હોવાં છતાં-જીવાત્મા તે પોતાના માં કલ્પી



લે છે-બાકી જીવાત્મા પોતે નિર્લેપ છે.





----------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૨ (સર્ગ લીલા)



શરીર માં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયો ના વિષયો છે. જેમ કે જીભ નો વિષય એ –રસ-છે.



આ ઇન્દ્રિયો વિષય નું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.



વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.



મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્ય ને માર ખવડાવે છે.



ઉદાહરણ તરીકે જોઈએ-તો –એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને



ઘરમાંથી ઉંદર ને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ થતું નથી,ઉપરથી રાજી થાય છે. એક ઉંદર ઓછો થયો.



પણ બીજા દિવસે બિલાડી આવે છે અને ઘરમાંથી પોપટ ને લઇ જાય છે. તો ઘરનાં બધા દુઃખી થઇ જાય છે.



ઉંદર માં મમતા નહોતી-એટલે  દુઃખ ન હોતું. પોપટ માં મમતા હતી એટલે દુઃખ થયું.



આવી જ રીતે મન ના બીજા એક ખેલ માં “મારું અને તારું “ છે.



મન જયારે એમ માને કે –આ મારું –છે-તો પછી તે કોઈ જ જાતનો દ્વેષ કરતુ નથી. ‘મારા’ જોડે પ્રેમ કરવા માંડે છે.



ઉદાહરણ તરીકે જોઈએ તો-રાત્રે અગિયાર વાગે ઘરમાં બ્રાહ્મણ અતિથી આવ્યા- તો-



ગૃહિણી કહેશે,-મહારાજ,ચા કે દૂધ -શું લેશો ?તમને તો અમારા હાથનું નહિ ચાલે.



મન માં વિચારે છે કે-આખો દિવસ કામ કરી –શરીર થાકી ગયું છે ને -અત્યારે આ લપ વળી ક્યાંથી આવી ?



મહારાજ સરળ હતા-તે કહે કે –દૂધ માં લોટ બાંધી થોડી પૂરી કરી નાખો.



એટલે ગૃહિણી –રસોડામાં જઈ પહેલો તવેતો પછાડશે-અને પછી કરશે.



પણ જો અગિયાર વાગે પોતાનો ભાઈ-પિયરથી આવ્યો હોય તો-ચહેરો ખિલી જાય છે. ભાઈ કહેશે કે-નાસ્તો કરીને આવ્યો છું,



ભુખ નથી. છતાં કહેશે-ભાઈ તું ભૂખ્યો,હોઈશ,હમણાં જ શીરો હલાવી નાખું છું. શીરો –પૂરી કરી પ્રેમ થી જમાડશે.



આ ભાઈ-“મારો”-છે- અને પેલો-મહારાજ-‘મારો’ નથી.



કપિલદેવ કહે છે-કે-મા, આ જીવ ના બંધન અને મોક્ષ નું  કારણ મન ને જ માનવામાં આવ્યું છે.



મન નિર્વિષય બને તો-મુક્તિ અને મન વિષયી બને તો બંધન.



મન જો વિષયો માં આસક્ત થાય તો-બંધન નું કારણ બને છે,પણ એ જ મન જો-પરમાત્મા માં આસક્ત થાય તો મોક્ષનું કારણ બને છે.



મા, જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે,અને પરમાત્મા નું ચિંતન કરે તો મિત્ર છે.



જે મન બંધન કરે છે-તે જ મન મુક્તિ આપે છે.



કોઈ કહેશે-કે-એક જ મનથી બંધન અને એક જ મનથી મુક્તિ કેવી રીતે મળે ?



ઉદાહરણ થી જોઈએ તો-જે ચાવી થી તાળું બંધ થાય છે-તે જ ચાવીથી તાળું ખુલે છે.પરસ્પર વિરુદ્ધ કામ –એક જ ચાવી કરે છે.



પાણી થી કાદવ થાય છે-અને જે પાણી થી કાદવ થાય છે-તે જ પાણી થી કાદવ ધોવાય છે.



મન ને આધીન રહેશો તો એ શત્રુ છે-મન ને આધીન કરશો-તો એ મિત્ર છે.



મન એ પાણી જેવું છે,પાણી જેમ ખાડા તરફ જાય છે તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જાય છે.



પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી-ત્યારે-પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે.



મન અધોગામી છે. જે મન પ્રભુ પાસે જતું નથી,તે મન ખાડામાં જ પડે છે.



મન વિના કારણ પરસ્ત્રી,પરધન નું ચિંતન કરે છે. આ બંગલો બહુ સુંદર છે. બંગલો બહુ સુંદર છે-પણ તને કોઈ આપવાનું છે ?



આસક્તિપૂર્વક પરસંપત્તિ નું ચિંતન કરવું  એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે-જે વસ્તુ મારી નથી,જે વસ્તુ સાથે મારો સંબંધ નથી,



તેનું ચિંતન શા માટે કરવું ?



પાણી જેવું,અધોગામી મન નીચે ની તરફ જાય છે,ઉંચે ચડતું નથી. આ મન ને ઉપરની બાજુ પ્રભુ ના ચરણ સુધી લઇ જવા



શું કરવું ? પાણી ને યંત્ર  (મોટર) નો સંગ થાય તો –પાણી પાંચમા માળ સુધી ચડે છે-તેમ મન ને મંત્ર નો સંગ આપો.



પાણી ને યંત્રનો તો મન ને મંત્રનો સંગ!!



મન ને મંત્ર નો સંગ થાય તો તે ઉર્ધ્વગામી બનશે. પ્રભુ ના ચરણ સુધી પહોચશે.



મન ને સુધારવા બીજું કોઈ સાધન નથી.મન ને ઉલટું કરવાથી થશે નમ. નમ અને નામ –મન ને સુધારશે.



----------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૩ (સર્ગ લીલા)



મન ને સ્થિર કરવા નામ-જપ ની આવશ્યકતા છે.જપ થી મન ની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્ર નો જપ કરો.



પરમાત્માના બે સ્વરૂપો છે.



સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.



નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથ માં આવતું નથી.આંખ ને દેખાતું નથી,માત્ર બુદ્ધિ થી તેનો અનુભવ થઇ શકે.



તેથી આપણા જેવા માટે –તો ભગવાન નું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે.



ભગવાન ભલે પોતાના સ્વરૂપ ને છુપાવી શકે-પણ નામ ને છુપાવી શકતા નથી. નામસ્વરૂપ પ્રગટ છે.



પરમાત્મા ના કોઈ પણ નામ નો દૃઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો.



લૌકિક વાસના માં ફસાયેલું મન બગડે છે,અલૌકિક વાસના માં મન ફસાય તો મન સુધરે છે.



કોઈ વ્યક્તિ ને મળવાની વાસના –એ મન ને બગાડે છે.પરમાત્માને મળવાની વાસના -મન ને સુધારે છે.



વાસના નો નાશ વાસના થી જ થાય છે.



જે શસ્ત્ર થી હિંસા થાય છે-તે જ શસ્ત્ર થી જીવન મળે છે. ડોક્ટરો વાઢ-કાપ ના શસ્ત્રો થી જીવન આપે છે.



કાંટા થી જે રીતે કાંટો કઢાય છે,તેજ રીતે અસદ-વાસનાનો વિનાશ સદ-વાસનાથી થાય છે.



લૌકિક વાસના(જગતની વાસના) માં ફસાયેલું મન અલૌકિક વાસના(પ્રભુની વાસના) માં ફસાય, તેને જ –ભક્તિ કહે છે.



માતા દેવહુતિ ને કપિલદેવ કહે છે-કે-મા તું તારા મન ને સાચવજે,તારા મન ને કોઈ મંત્ર માં રાખજે.



મન કોઈ પાપ કરે તો તેને સજા કરજે. મન થી પાપ થાય તો તે મન પ્રભુ માં સ્થિર રહેતું નથી.



ઉદાહરણ થી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.



એક રાજા ને ત્યાં એક બકરો હતો.રાજાએ એક વખત જાહેર કર્યું-કે-આ બકરાને પેટ ભરીને જંગલ માં થી ચરાવી લાવી તૃપ્ત કરશે,



તેને પેટ ભરીને ખવડાવશે-તેને હું મારું અડધું રાજ્ય આપીશ. બકરાનું પણ પેટ ભરાયું છે કે નહિ –તેની પરીક્ષા હું જાતે કરીશ.



જાહેરાત સાંભળી એક માણસ રાજા પાસે આવ્યો.બકરાને પેટ ભરી ને ખવડાવવું-એમાં શી મોટી વાત છે ? એમ કહી રાજા



પાસેથી બકરો લઇ ગયો. આખો દિવસ બકરાને ખુબ ખવડાવ્યું.સાંજ પડી એટલે તે માણસ ને લાગ્યું-કે આજે તો બહુ ચરાવ્યો છે-



એટલે બકરાને લઇ રાજા પાસે આવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મુક્યું-કે બકરો ઘાસ ખાવા માંડ્યો.



રાજા કહે છે-કે-તેં ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે ?પેટ ભરીને જો ખવડાવ્યું હોત તો બકરો ઘાસ ખાય જ નહિ!!!!



આવી જ ઘણા માણસો એ પ્રયત્ન કરી જોયા. બકરાને ખુબ ખવડાવે,પણ જ્યાં દરબારમાં લાવે અને રાજા બકરાને ઘાસ નાખે ,



એટલે બકરો ઘાસ ખાવા માંડે. તેના પેટ માં અજીરણ થયું હોય તો પણ ઘાસ માં મોઢું નાખે. બકરાને એવી આદત હતી-ટેવ હતી - કે-



ઘાસ દેખાય એટલે મોઢું નાખવું.



એક બુદ્ધિશાળી માણસ ને લાગ્યું-કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે,તત્વ છે. હું યુક્તિથી કામ લઈશ.



તે બકરાને ચરાવવા લઇ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય –કે-તરત તેના મોઢા પર લાકડીનો ફટકો મારે.બકરાએ જેટલી વાર ઘાસ



ખાવા પ્રયત્ન કર્યો-તેટલી વર લાકડીના ફટકા મોઢા પર પડ્યા. અંતે બકરાને ઠસી ગયું કે-ઘાસ માં મોઢું નાખીશ તો માર પડશે.



આખો દિવસ બકરાને જે માર પડ્યો,તે ઘાસ માં મોઢું નાખવાનું ભૂલી ગયો.



સાંજ ના બકરાને લઇ તે માણસ રાજા પાસે આવ્યો.બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું, છતાં રાજા ને કહે છે-કે –મેં આજે એને



પેટ ભરીને ખવડાવ્યું છે-આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ ઘાસ નાખ્યું, પણ બકરાએ મોં ફેરવી લીધું.ઘાસ તરફ જોતો પણ નથી.



બકરાના મન માં ઠસી ગયું હતું કે –ઘાસ ખાવા જઈશ તો માર પડશે. બકરો ઘાસ ખાતો નથી.



અહીં-બકરો –એ બીજું કોઈ નહિ –પણ મન એ જ બકરો છે. આ મણીરામ (મન) બકરા જેવો છે. બકરાને ચરાવવા લઇ જનારો એ



જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. બકરો-મેં,મેં,- કરે છે-તેવી જ રીતે મનુષ્યનું મન પણ-મેં,મેં-કરે છે.આ મારું-આ હું-આ તારું......



આ મનરૂપી બકરા ને કોઈ પેટ ભરી ખવડાવી શકે નહિ, આ મનરૂપી બકરાને બહુ ખવડાવશો,પણ તે કોઈ દિવસ ધરાશે નહિ.



તેને માર પડશે તો જ તે માનશે. મન ને મારો,તેના પર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે.મન ને વિવેકરૂપી લાકડી રોજ



મારો. જીવ ને તૃપ્તિ ભોગ માં નથી,તૃપ્તિ ત્યાગ માં છે.



(ગીતા માં લખ્યું છે-કે –આ ચંચળ મન ને અભ્યાસ અને વૈરાગ્ય થી વશ કરી શકાય છે.)



કપિલદેવ કહે છે-મા, અનાદિકાળ થી,આ મન સંસારમાં ભટકતું આવ્યું છે, કુસંગ થી મન બગડે છે,સત્સંગ થી મન સુધરે છે.



પ્રભુ પ્રેમ માં રંગાયેલા સંતો નો વારંવાર સત્સંગ મન ને સુધારે છે.



------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત 

 



સ્કંધ ત્રીજો-૨૪ (સર્ગ લીલા)



દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય



પણ સત્સંગ મળતો નથી.



કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.



પ્રત્યેક ગામ માં –એકાદ સંત અને સતી સ્ત્રી ને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.



નકલી માલ વધ્યો છે-તે વાત સાચી,પણ તેનો અર્થ એ નથી કે-સાચું સોનું ક્યાંય મળતું નથી.



મા, જગત માં સંત નથી-તે વાત ખોટી છે. હા,સંત મળવા દુર્લભ છે. એ વાત સાચી છે.



મા,જે સંત થાય છે-તેને સંત મળે છે.સંત ના ઘેર સંત જાય છે. વ્યવહાર નો કાયદો છે, શ્રીમાન ને ત્યાં શ્રીમાન જાય છે. ગરીબ ના ઘેર શ્રીમાન જતા નથી.



સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી. સ્વભાવને સુધારે તે સંત બને છે. સંત ની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી



થાય છે. સંત પોતાની આંખ ને –ઇષ્ટદેવ માં રાખે છે. સંતો મન ને પરમાત્મા ના ચરણ,માં,પરમાત્માના  નામ માં ,ધામ માં રાખે છે.



સુખ-દુઃખ માં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે-તે સંત છે. પ્રતિકૂળ પરિસ્થિતિ માં જેનું મન શાંત રહે છે-તે સંત છે.



મા,સંત શોધવા તું ક્યાં જઈશ ? તું સંત થા,એટલે સંત મળશે.



સંત ને જોવાની દ્રષ્ટિ જોઈએ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.



હનુમાન જી ને ક્રોધ માં આંખ લાલ થવાથી ધોળાં ફૂલ લાલ દેખાયાં હતાં.



એકનાથ મહારાજ સુંદરકાંડ ની કથા કહી રહ્યા હતા.-કથા માં તે કહે છે-કે-દરિયો ઓળંગી –હનુમાનજી અશોક વન માં આવ્યા છે.



ત્યારે ત્યાંના ફૂલઝાડો પર ધોળાં ફૂલ ખિલી રહ્યાં હતાં.



હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા,તેમણે પ્રગટ થઇ આ વાત નો વિરોધ કર્યો.-કે-મહારાજ આપ ખોટું બોલી રહ્યા છો.



મેં તે વખતે અશોક વનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલા,તે વખતે ફૂલો ધોળાં નહિ, પણ રાતાં હતાં.



એકનાથજી મહારાજે કહ્યું-કે-મારા સીતારામજીને રિઝાવીને હું કથા કરું છું. મને જે દેખાય છે-તેવું વર્ણન કરું છું.



છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો. રામજી એ કહ્યું-તમે બંને સાચા છો. ફૂલો ધોળાં હતાં પણ હનુમાનજી ની આંખો,તે વખતે ક્રોધ થી



લાલ હતી-એટલે તેમને-ફૂલો રાતાં દેખાણાં.



સંત ના દોષ જોશો નહિ,તમને દોષ જોવાની ઈચ્છા થાય તો-તમારી અંદર નજર કરજો. તમારાં પોતાના દોષ ને જોજો,બીજાના તો



ગુણ જ જોજો. બીજાના ગુણ જોવાની આદત રાખશો,તો તમારી દૃષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.



સંતો ના લક્ષણો માં –તિતિક્ષા-ને-(સહનશીલતા ને) પ્રાધાન્ય આપવામાં આવેલું છે.



સંતો ના ચરિત્રો વાંચો તો ખ્યાલ આવશે કે-સંતો ને કેટલાં દુઃખ પડેલાં છે,પણ દુઃખો ની અસર સંતો ના મન પર થતી નથી.



એકનાથ મહારાજ –પૈઠણ માં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે. તે માર્ગ માંથી જે હિન્દુઓ,સ્નાન કરી ને



જાય,તેમને તે બહુ તંગ કરતો. એકનાથ મહારાજ એ જ રસ્તે ગોદાવરી માં સ્નાન કરવા જતા હતા. પઠાણ-મહારાજ ને પણ તંગ



કરતો –પણ એકનાથજી સર્વ સહન કરે. એક દિવસ પઠાણ ને થયું-આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે તો તેને ગુસ્સે કરવો જ છે.



એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા,ત્યારે પેલો યવન –મહારાજ પર થૂંક્યો. મહારાજ ફરી સ્નાન કરવા ગયા.પણ યવન પર



ગુસ્સે થયા નહિ.મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે. મહારાજ –ગોદાવરી મા ને કહે,-કે- મા ,ફરીફરી સ્નાન



કરવા બોલાવે છે-તારી કૃપા છે. યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી. મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા



ગયા છે. યવન શરમાયો, મહારાજ ને પગે પડી ક્ષમા માગી.-આપ સંત છો, આપને હું ઓળખી શક્યો નહિ.



મહારાજ કહે-એમાં ક્ષમા કરવા જેવું શું છે ?તારા લીધે આજ-૧૦૮ વાર –ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.



સાધારણ મનુષ્ય નું મન ક્ષણે ક્ષણે બદલાય છે. સંત નું મન એકસરખું શાંત રહે છે. બધી અનુકુળતા હોય ને જે શાંત રહે-તે શાંતિ



સાચી શાંતિ નથી,બધી પ્રતિકુળતા માં જે શાંતિ રાખે તે સાચી શાંતિ છે. જેનો બ્રહ્મ સંબંધ થયો હોય તેની શાંતિ કાયમ રહે છે.



સંત ની પરીક્ષા વ્યાખ્યાન –કુશળતા થી થતી નથી, મહારાજ ને ગાદી-તકિયે બેસાડો, હાર પહેરાવો, પછી બ્રહ્મ ની વાતો કરે તેમાં



શું આશ્ચર્ય ? શાંતિ તેની કાયમ રહે છે-જેનું મન પ્રભુ નાં ચરણો માં રહે છે. જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે.



તુકારામ ના જીવન માં આવે છે.કે મહારાજ ને કોઈ દિવસ ક્રોધ આવે જ નહિ. પત્ની કર્કશા હતી. કર્કશ વાણી નો જવાબ –મહારાજ



મધુર ભાષણ થી આપતા. એક દિવસ મહારાજ કથા કરવા ગયા હતા. કોઈ ભક્તે આવી પૂછ્યું-મહારાજ ઘરમાં છે ?



તુકારામ ની પત્ની એ કહ્યું-તેનો ધંધો શું છે ?આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ કરવું અને કથા કરવી. આ વિઠ્ઠલે મારો સંસાર બગાડ્યો છે.



મહારાજ ખેડૂત ને ત્યાં કથા કરવા ગયેલા. ખેડૂતે પ્રસન્ન થઇ,શેરડી નો ભારો આપ્યો.મહારાજ શેરડી લઈને આવતા હતા.



રસ્તામાં જે લોકો જયશ્રી કૃષ્ણ કહે તેને એક શેરડી આપે-ઘેર આવ્યા ત્યારે એક શેરડી બાકી રહેલી.



મહારાજ ની પત્ની ને ખબર પડી,આજે બહુ મળેલું, બધું આપી દીધું છે. તે પાગલ થયા છે,ક્રોધ વધી ગયો છે. ક્રોધ માં વિવેક રહ્યો



નહિ,મહારાજ ના હાથ માંથી શેરડી ખેંચી પીઠ પર મારવા લાગ્યા. શેરડી ના બે કટકા થયા,પણ મહારાજ ની શાંતિ નો ભંગ થયો નથી.



અનેક વૈષ્ણવો બેઠા છે.તુકારામે કહ્યું –બહુ સારું થયું,મારે શેરડીના બે કટકા જ કરવા હતા. પરમાત્મા એ કેવું સુંદર રતન મેળવી



આપ્યું છે, મારા મન ની વાત તું અગાઉ થી જાણી જાય છે.એક કટકો તું ખા અને એક કટકો હું ખાઉં.



મહારાજ ની પત્ની નું હૃદય ભરાયું છે,પતિના ચરણ માં માથું મુકી ક્ષમા માગી છે,-“હું તમને ઓળખી શકી નહિ.”



આ દિવસથી તેનું જીવન સુધર્યું છે......સંતો ની સહન શક્તિ અલૌકિક હોય છે.



મહારાજ વિરાજતા હતા ત્યારે લોકોએ પણ તેમણે ત્રાસ આપવામાં કસર રાખી નહોતી.



હોળીના દિવસો હતા, કેટલાંક દુર્જનો મહારાજ પાસે આવ્યા,સાથે ગધેડું લઈને આવ્યા-કહે-કે-મહારાજ અમારે તમારો વરઘોડો



કાઢવો છે. મહારાજે વિચાર્યું-ના,પાડીશ તો પરાણે બેસાડશે,તેના કરતા મારા મન થી જ શા માટે ના બેસું ?



દુષ્ટ લોકોએ તુકારામ ને ગધેડા પર બેસાડ્યા છે, પત્ની ને દુઃખ થયું,રડવા લાગી. મહારાજ ને તેની દયા આવી.



‘તું કેમ રડે છે ?તું જોતી નથી,હું તો ગરુડ પર બેઠો છું, મારા વિઠ્ઠલ નાથે મારા માટે ગરુડ મોકલ્યું છે.’



સર્વ ને ગધેડો દેખાય છે,પણ તુકારામની પત્ની ને ગરુડ દેખાય છે.



તુકારામ ના જીવન માં અનેક ચમત્કારો દેખાય છે,પણ તેમણે જાતે કોઈ ચમત્કાર કર્યો નથી. ચમત્કારો પરમાત્માએ કર્યા છે.



સંતો અપમાન ને પી જાય છે,પ્રતિકૂળ પરિસ્થિતિ માં પણ તેમની શાંતિ નો ભંગ થતો નથી. તો માનવું કે નારાયણ નો તેમના માં



વાસ છે. સંતો ના ચરિત્રો વાંચવાથી લાભ થાય છે.



મન અશાંત થાય તો ભક્તિનો નાશ થાય છે. જગતમાં અંધારું છે,એટલે પ્રકાશ ની કિંમત છે. સુખી થવું હોય તો ખુબ સહન કરજો.





-----------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૭



સ્કંધ ત્રીજો-૨૫ (સર્ગ લીલા)



તિતિક્ષા (સહન કરવું) એ સંતો નું પહેલું લક્ષણ બતાવ્યું.



બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..



ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.



રમણ મહર્ષિ ના જીવન માં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમણે મળવા આવ્યા છે,પણ



તેમની સાથે બોલ્યા નથી. વ્રત નો ભંગ કર્યો નથી.



સંત ને લૌકિક વાતો ગમતી નથી, લૌકિક વાતો માં જેને આનંદ મળે છે, માનજો તેને સાચો આનંદ મળ્યો નથી.



સંત બોલે તો – માત્ર ભગવદકથા વાર્તા જ કહે છે.



સંતો ના બીજા લક્ષણો માં-અજાત શત્રુ-સરળ સ્વભાવ. સંતો ને જગત માં કોઈ શત્રુ નથી.



સંત સમજીને સંસારસુખ નો-વિષયોનો-બુધ્ધિપૂર્વક ત્યાગ કરે છે. પ્રભુના માટે સર્વ નો ત્યાગ કરે છે.



સંતો ના સોળ લક્ષણો બતાવ્યા છે. એક એક લક્ષણ જીવન માં ઉતારવાની જરૂર છે.



ભગવાન કસોટી કરી અપનાવે છે. “ભૂખે મારું,ભૂવે સુવાડું,તન ની પાડું ખાલ,પછી કરીશ ન્યાલ.”



નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી. મહેતાજી એ માગ્યું-ભગવાન કળિયુગમાં આવી કસોટી કરશો  નહિ, આવી કસોટી કરશો-



તો –કોઈ તમારી સેવા કરશે નહિ.



સંતો-ભક્તો એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત થતા નથી.



ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દૃઢ થાય છે.શ્રદ્ધા વધે-એટલે ભગવાન માં આસક્તિ થાય. આસક્તિપૂર્વક સેવા-સ્મરણ કરે-



એટલે તે આસક્તિ પ્રેમલક્ષણા ભક્તિ બને છે. વ્યસનાત્મિકા ભક્તિ બને છે. ભક્તિ વ્યસનરૂપ બને છે. મુક્તિ સુલભ બને છે.



મા, તીવ્ર ભક્તિ વગર,મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ. સતત ભક્તિ કરવાની.



જગત માં સુખી થવાના –બે જ માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજો ભક્તિમાર્ગ.



જ્ઞાનમાર્ગ કહે છે સર્વ છોડીને ઈશ્વર પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય બધું તુચ્છ સમજે છે.



જગતને તુચ્છ સમજે છે,જે શરીરમાં રહે છે તેને પણ તુચ્છ સમજે છે. તે સમજે છે કે શરીરનું સુખ-દુઃખ એ મારું સુખ-દુઃખ નથી.



જ્ઞાની સર્વ છોડી દે છે અને માત્ર ભગવાનને પકડી રાખે છે. જ્ઞાન માર્ગ ના આચાર્ય શિવજી છે. શિવજી ત્યાગ નો માર્ગ બતાવે છે.



ત્યાગ કરવો હોય તો સર્વ નો ત્યાગ કરો. પણ સર્વનો ત્યાગ કરવો કઠણ છે.



કળિયુગ નો માણસ કામ નો કીડો છે-ભોગ માં ફસાયો છે, જ્ઞાન માર્ગ માં આગળ વધવું તેના માટે કઠણ છે.



ભક્તિમાર્ગ કહે છે-સર્વ માં ઈશ્વર છે,એમ માની સર્વ સાથે,વિવેક થી પ્રેમ કરો. આ બધું પરમાત્માનું છે, હું પણ પરમાત્મા નો છું, એમ



સમજી ને વિવેક થી બધાનો ઉપયોગ કરવાનો છે. શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા છે,કે-તમે ઘર છોડી શકતા નથી તો તમારા ઘરને



ઠાકોરજીનું મંદિર બનાવો. ઘરમાં જે કંઈ છે-તે ઠાકોરજી નું છે-હું તો સેવક છું.ભક્તિમાર્ગ માં સર્વ સમર્પણ કરવાનું છે-છોડવાનું નથી.



ભક્તિમાર્ગના આચાર્ય શ્રીકૃષ્ણ છે. પરમાત્મા શ્રીકૃષ્ણ –સર્વ પર પ્રેમ કરે છે. શ્રીકૃષ્ણ ની જેમ જ મનુષ્યે સર્વ સાથે પ્રેમ કરવાનો છે.



કોઈ પણ સ્વાર્થ વગર,કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ કરવાનો છે.



એક વાર ભૃગુઋષિને થયું-કે-દેવોની પરીક્ષા કરું-કે-દેવો માં શ્રેષ્ઠ કોણ છે. ભૃગુઋષિ દેવોની પરીક્ષા કરવા જાય છે. વૈકુંઠ માં આવ્યા.



ભગવાન સૂતેલા છે,લક્ષ્મીજી ચરણ ની સેવા કરે છે. ભૃગુઋષિ વિચારે છે-આ આખો દિવસ સુઈ રહે છે,આ કોઈ વિલાસી લાગે છે.



આને મોટો દેવ કોણ કહે ? આવેલા પરીક્ષા કરવા એટલે ક્રોધ આવ્યોછે અને એકદમ આવીને ભગવાન ની છાતી પર લાત મારી.



લાત મારનાર પર પણ કનૈયો પ્રેમ કરે છે. આ બ્રાહ્મણ છે-તેને સજા કરવી નથી. તેની હું સેવા કરીશ.



ભગવાન કહે છે-મારી છાતી સખત-અને તમારાં ચરણ કોમળ,તમારાં ચરણ ને દુઃખ થયું હશે. એમ કહી ઋષિ ના ચરણ ની સેવા



કરવા લાગ્યા. માતાજી ને જરા ખોટું લાગ્યું. આવી રીતે તો પરીક્ષા થતી હશે? તે દિવસથી લક્ષ્મીજી –બ્રાહ્મણો પર નારાજ થયા છે.



આ બ્રાહ્મણો ને ઘેર મારે જવું નથી. થોડા ક્રોધમાં આવ્યા છે,મારા માલિક ન છાતી પર લાત મારી, આ રખડતા રહે એ જ સારું છે.



આ બ્રાહ્મણ ભિખારી રહે તે જ સારું છે, હું બ્રાહ્મણ ને ત્યાં જઈશ નહિ.-



માતાજી એ બ્રાહ્મણો નો ત્યાગ કર્યો છે.એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે. લક્ષ્મીજી ભલે બ્રાહ્મણો પર કુદૃષ્ટિ રાખે પણ ભગવાન નારાયણ કૃપાદૃષ્ટિ રાખે છે.



જ્ઞાની પુરુષો-દેહનાં લાડ કરતા નથી. તે એમ માને છે કે-આ શરીર નો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું.



સર્વ નો મોહ છોડી તેનો તેનો ત્યાગ કરો-કે સર્વની સાથે તેમાં ઈશ્વર ભાવ રાખી- પ્રેમ કરો.પણ સર્વમાં થી મમતા નો ત્યાગ કરો.



દરેક જીવ માં થી મમતા-મારાપણું ત્યાગવું-એ સમર્પણ માર્ગ- અને અમુક માં જ મમતા એ –સ્વાર્થ માર્ગ.



અત્યારે તો બધા સ્વાર્થ માર્ગી બન્યાં છે.



“પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ, છૈયાંછોકરાં મારા શાલિગ્રામ, હુ પુજા કોની કરું ?”





-----------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૬ (સર્ગ લીલા)



કપિલ ભગવાન માતા દેવહુતિ ને કહે છે-કે-



મા , આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.



જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્મા ને છોડી શકતો નથી.



જેણે જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.



આ,જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે-



જગત ના પદાર્થો માં મોહ ના થાય. સંસાર ના વિષયો માં પૂર્ણ વૈરાગ્ય આવે.



સંસાર ના સુખો ભોગવવાની લાલસા હોય  ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતા ને લાલો મળે છે. (એક વાર મનુષ્ય જાગી જાય



પછી બધું સાચા –ખોટા નું જ્ઞાન તેની પાસે છે-જ. તેનો બેડો પાર છે. તેને કંઈ શીખવાનું રહેતું નથી)



કંસ એ -કામ અને અભિમાન છે-એ સહુને કારાગૃહ માં રાખે છે. સૂતેલા રાખે છે.



જગત માં જાગ્યો કોણ ? તુલસીદાસજી વર્ણન કરે છે-કે-“જાનિએ તબહિ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા”



જયારે સઘળા વિષય-વિલાસો ઉપર વૈરાગ્ય આવે-સંસારસુખ તુચ્છ લાગે-ત્યારે સમજવું કે –એ જગત માં જાગ્યો છે.



માતા દેવહુતિ ને કપિલદેવે ધ્યાન કરવાની આજ્ઞા કરી છે.



ભગવદધ્યાન માં જયારે જગત ભુલાય,ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.



ધ્યાન માં પ્રથમ શરીર ને સ્થિર કરવાનું-પછી આંખને સ્થિર કરવાની અને પછી -મન ને સ્થિર કરવાનું.



શરીર અને આંખ –સ્થિર ના થાય ત્યાં સુધી-મન સ્થિર થતું નથી.



ભોગભૂમિ માં રહી ભગવાન નું ધ્યાન કરવું કઠણ છે, ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત



સ્થાન માં ધ્યાન કરવા બેસવું જોઈએ.(ઘરમાં જ કોઈ એક રૂમ ની વ્યવસ્થા હોય-તો તેને ધ્યાનરૂમ બનાવાય)



જેને પરમાત્માનું ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરિમિત (માપનું) અન્ન નું સેવન કરે. પેટ ભરીને જમવું નહિ કે અતિભૂખ્યા રહેવું



નહિ. શરીર ને બહુ લાડ કરવા નહિ-કે બહુ ત્રાસ આપવો નહિ.



જેને ધ્યાન કરવું છે તે ચોરી ના કરે (અસ્તેય). અનેકવાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે.



પારકી વસ્તુ જોઈ –મન થી તેનું ચિંતન કરવું –એ ચોરી છે.



જેને ધ્યાન કરવું છે-તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીર થી બ્રહ્મચર્ય ઘણા પાળે છે-પણ-



મન થી પાળતા નથી. મનથી બ્રહ્મચર્ય નો ભંગ –શરીર ના બ્રહ્મચર્ય નો ભંગ કર્યા બરાબર જ છે.

લખ્યું છે-કે-એક દિવસ બ્રહ્મચર્ય નો ભંગ



થાય છે,તો ચાલીસ દિવસ સુધી મન સ્થિર થતું નથી.



જેને પરમાત્માનું  ધ્યાન કરવું છે-તે સ્વ-ધર્મ નું  પાલન કરે. દેહનું ભાન છે ત્યાં સુધી-સ્વ-ધર્મ છોડવો નહિ.



ધ્યાન કરતાં કરતાં –જેમ જેમ તન્મયતા વધે છે,તેમ તેમ –આનંદ વધે છે.



પછી ધ્યાન ની વિધિ બતાવી છે-જેનું આગળ વર્ણન થઇ ગયું છે.



કપિલદેવ કહે છે- મા પરમાત્મા નાં અનેક સ્વરૂપો છે.તેમાંથી કોઈને ઇષ્ટદેવ માની તેનું ધ્યાન કરો.



દેવહુતિ પૂછે છે-હું કયા સ્વરૂપનું ધ્યાન કરું ?



કપિલ ભગવાન કહે છે-મા ,શંખ,ચક્ર,ગાળા અને પદ્મ –જેના હાથ માં છે-એવા ચતુર્ભુજ નારાયણ નું  તમે ધ્યાન કરો.



ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી –સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિ માં(દાસ્યભાવ) પહેલાં ચરણ માં દૃષ્ટિ સ્થિર કરવી પડે છે.



જેનો સખ્યભાવ છે,માધુર્ય ભાવ છે-વાત્સલ્યભાવ છે-તે જ્યાં સુધી પ્રભુ ના મુખારવિંદ નાં દર્શન –ના કરે ત્યાં સુધી આનંદ આવતો નથી.



આ જીવ પ્રેમ થી પરમાત્મા નું ધ્યાન કરે છે-  ત્યારે પરમાત્મા જીવ તરફ જુએ છે.



વારંવાર મનને એક સ્વરૂપ માં સ્થિર કરો. પરમાત્મા ના સ્વરૂપ માં આસક્તિ ના થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી.



સંસાર સુંદર છે-એ વિચારમાં થી કામ નો ઉદ્ભવ થાય છે-પ્રભુ સુંદર છે-એમ વિચારવાથી-ભક્તિ નો ઉદ્ભવ થાય છે.



પરમાત્મા ના એક કે અંગ માં મનને સ્થિર કરો.ઠાકોરજી ના એક એક અંગ માં થી કમળ ની સુગંધ નીકળે છે-



એટલે તો –કર-કમળ,ચરણ-કમળ ,મુખ-કમળ એમ કહે છે. ઠાકોરજીના ચરણમાં –દ્રષ્ટિને સ્થિર કરો.આંખ સ્થિર થાય એટલે મન



સ્થિર થાય છે. ધ્યાન માં તન્મયતા થાય –એટલે સંસાર ભુલાય છે.દેહભાન ભુલાય છે-અને આનંદ આવે છે.



મા, એવી ભાવના કરવી-કે મારા પર ભગવાનની કૃપા થઇ છે. પ્રભુના કિરણો મારા પર પડે છે. ધ્યાન કરતાં-દેહની વિસ્મૃતિ



થાય છે, ત્યારે આત્મા દેહથી છુટો પડે છે,ત્યારે તન્મયતા થાય છે,ત્યારે ધ્યાન કરનાર ને પરમાનંદ મળે છે-



તે આનંદ નું કોઈ વર્ણન કરી શકે નહિ.



---------------------------------------------------------------------------------------------------







sivohm.com

ભાગવત રહસ્ય-૧૦૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૭ (સર્ગ લીલા)



જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.



ખાંડ ની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.



ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર) માં મળી જાય છે.-તેણે જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનાર નું હું પણું



ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.



તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવ નું જીવ પણું રહેતું નથી. જેમ ઈયળ-ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે-



તેમ જીવ-ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ-ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી.



તુલસીદાસજી એ માનસ માં લખ્યું છે- એ-ને-(ઈશ્વરને) કોણ જાણી શકે ? જેના પર –એ-(ઈશ્વર) કૃપા કરે –તે-જ- એ-ને જાણી શકે.



ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે-તે ધ્યેય(દેવ ની) ની શક્તિ –ધ્યાતા(ધ્યાન કરનારા) માં આવે છે.     



શંકરાચાર્ય જીવન માં કથા આવે છે.



એક યવન શંકરાચાર્ય ને મળ્યો. કહ્યું-મારે ભૈરવ યજ્ઞ કરવો છે.પૃથ્વીના સાર્વભૌમ રાજા ના મસ્તક ની આહુતિ તેમાં આપવી પડે છે.



તે તો મળે તેમ નથી,માટે તમે તમારું મસ્તક મને આપો.તમે કહો છો-આત્મા –પરમાત્માથી –દેહ જુદો છે. દેહ આપવાથી તમે



મરવાના નથી. તો તમારુ મસ્તક મને આપો.



શંકરાચાર્યે કહ્યું-મારા મસ્તકથી તારું કામ થતું હોય તો  લઇ જા. પણ શિષ્યો ની હાજરીમાં મારું મસ્તક લેવા આવ્યો તો અનર્થ થશે.



માટે શિષ્યો ન હોય અને હું ધ્યાન માં બેસું ત્યારે આવીને મસ્તક લઇ જજે.



દેહાધ્યાસ દૂર થયો હતો. માથું આપવા તૈયાર થયા છે. મઠ માં કોઈએ તે જાણ્યું નથી. યવન મસ્તક કાપીને લઇ જવા આવ્યો.



શંકરાચાર્ય ના શિષ્ય પદ્મપાદ હતા.તેઓ નૃસિંહ સ્વામીના ભક્ત હતા.પદ્મપાદ ને ગંગાકિનારે અનેક અપશુકન થાય છે.



તે દોડતાં દોડતાં પાછા મઠ માં આવે છે. જોયું તો યવન તલવાર લઈને ગુરુદેવનું શિર કાપવા તૈયાર થયો છે. પદ્મનાભ ને એકદમ



ક્રોધ આવ્યો છે, સિંહ બની ને તેમણે –યવન ને ચીરી નાંખ્યો.



આ પ્રસંગ બતાવે છે-કે-ઉપાસક માં ઉપાસ્ય ( નૃસિંહ સ્વામી) ની દિવ્યશક્તિ આવે છે.



શુકદેવજી વર્ણન કરે છે-મદિરા પીધેલા ને જેમ દેહનું ભાન નથી રહેતું નથી-તેમ ધ્યાન કરતા જે દેહભાન ભૂલે છે તેની પાછળ પાછળ



ભગવાન ભમે છે-પ્રભુપ્રેમ માં જે પાગલ થયો છે તે સુખી છે-બાકીના સર્વ  દુઃખી છે.



ભગવાન વિના બીજું કંઈ નથી. હું જોનારો પણ ભગવદરૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે.



એવી તન્મયતા થાય તો ભક્તિ સુલભ છે.



ભગવાન ના પ્રેમ માં જે દેહભાન ભૂલે છે-તે જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે.



મનુષ્ય માં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.બ્રાહ્મણો માં વેદ ભણેલો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. વેદ ભણેલા કરતાં જે –વેદ નો અર્થ જાણે છે-તે શ્રેષ્ઠ છે.



વેદાર્થ જાણનાર કરતાં ત્રણ વખત સંધ્યા કરનાર શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનના પ્રેમ માં જે જગતને ભૂલી ગયો છે-તે સહુથી શ્રેષ્ઠ છે.



માતા ,આ સર્વ કરતાં શ્રીકૃષ્ણ નું ધ્યાન કરતાં જે  દેહભાન ભૂલે છે,તે સર્વ થી શ્રેષ્ઠ છે. ભગવદભક્તો પ્રારબ્ધકર્મ ને મિથ્યા કરી શકે છે.



પ્રેમ અન્યોન્ય હોય છે.તમે ઠાકોરજી નું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહિ.



ભગવાન કહે છે-મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા –પણ- કરતા નથી. મારી સેવા વિના બીજી કોઈ  ઈચ્છા



તેઓ રાખતા નથી. એવા નિષ્કામ ભક્તો ને મારી સેવાને છોડીને-(તેના બદલે) જો સાલોક્ય.સાષ્ટિ,સામીપ્ય,સારૂપ્ય અને સાયુજ્ય



મુક્તિઓ આપવામાં આવે તો પણ તે લેતા નથી. (ભાગવત-૩-૨૯-૧૩)





---------------------------------------------------------------------------------------------------------









ભાગવત રહસ્ય-૧૧૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૨૮ (સર્ગ લીલા)



એક વખત નારદજી વૈકુઠલોક માં આવ્યા. લક્ષ્મીજી ને જોયા પણ ભગવાન ન દેખાયા.



શોધતાં શોધતાં  છેવટે-ભગવાન ને - ધ્યાન માં બેઠેલા જોયા.



નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ?



ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તો નું ધ્યાન કરું છું.



નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે?કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ?



ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો.



ભગવાન પૂછે છે-જગતમાં મોટામાં મોટું કોણ ?  નારદજી-કહે-પૃથ્વી.



ભગવાન-કહે-પૃથ્વી શાની  મોટી ? પૃથ્વી તો શેષનાગ ના ફણા ઉપર રહેલી છે. નારદજી-તો શેષનાગ મોટા.



ભગવાન-અરે-એ શેષનાગ શાના મોટા ? એ તો શંકર ના હાથ નું કડુ છે. એટલે શેષનાગ કરતાં શિવજી મોટા થયા.



પણ તેમનાથી રાવણ જબરો –કે જેણે-શિવજી સાથે કૈલાસને ઉઠાવેલા. ત્યારે રાવણ મોટો. અરે રાવણ શાનો મોટો ?



વાલી રાવણ ને બગલ માં દબાવી સંધ્યા કરતો. માટે વાલી મોટો ?



નારદ-કહે-વાલી શાનો મોટો ?વાલી ને રામજી એ મારેલો-એટલે આપ જ સર્વ થી શ્રેષ્ઠ છો.



ભગવાન-કહે છે-કે-ના હું પણ શ્રેષ્ઠ નથી.મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે.કારણ આખું જગત મારા હૈયામાં,પણ હું રહું છું



ભક્ત ના હૈયામાં. મને હૈયા માં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે,એવા જ્ઞાની ભકતો મારાથી પણ શ્રેષ્ઠ છે.



મારા ભક્તો મારા પ્રેમરૂપ –અપ્રાકૃત સ્વ-રૂપને પામે છે. ત્યારે દેહ માં આસક્ત પુરુષ અધોગતિ પામે છે.



કપિલ ભગવાન કહે છે-મા, વધુ શું કહું ?ઈશ્વરથી વિખુટા પડેલા જીવ ને સુખ નથી. પરમાત્મા થી જે વિમુખ છે તે સંસારમાં



રખડતો જ રહે છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.



જે ઈશ્વર ને ભૂલ્યો છે,તે ભૌતિક સુખ ભલે ભોગવે,પણ તેને અંદરની શાંતિ મળતી નથી.



મા, વૃદ્ધાવસ્થા માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે. જુવાની માં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન



કરે છે. મન ભગવાન નું ચિંતન કરતુ નથી.



વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે.કોઈ સેવા કરતુ નથી.



વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં –સત્સંગ અને ભજન ન કરે તો –મન અને જીભ જુવાન બને છે.સારું સારું ખાવાનું મન થાય છે.



ડોસીને ખાવાની ઈચ્છા થાય છે-ત્યારે તે બાબાનું નામ દે છે –કહે-કે- આજે તો બાબાની ઈચ્છા છે-કે-પાના નાં ભજીયાં કરો.



ખાધેલું પચે નહિ-પણ વારંવાર ખાવાની ઈચ્છા –વૃદ્ધાવસ્થામાં થાય છે. લૂલી બહુ પજવે છે.



તેલ-મરચા ના ગરમ ગરમ પદાર્થ ખાય,ઉપર ઠંડું પાણી પીવે પછી ક્યાં જાય ? કફ વધે,રાત્રે ઉધરસ આવે, શ્વાસ માં ઘરડ-ઘરડ



અવાજ થાય છે. છોકરો કહે છે-કે બાપા તમને પચતું નથી.તો શું કામ વધારે ખાઓ છો? તમારી ઉધરસ થી અમને ઊંઘ આવતી નથી.



તમારી પથારી બહાર કુતરાંની પાસે કરશું.



ડોસાની પથારી બહાર કુતરાની જોડેજોડે થાય તો પણ ડોસો સંતોષ માને છે.



છોકરાંઓ તિરસ્કાર કરે-પણ ડોસાની –નફ્ફટ જેવી વૃત્તિ થાય છે-તે માને છે- અને કહે છે –કે-



‘આ છોકરાં છે તો -તે-કહે છે-જેને છોકરાં નથી એને કોણ કહેવાનું હતું ?’



વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે, રોગનું ઘર બને છે.શરીર સારું છે –ત્યાં સુધી બાજી તમારાં હાથમાં છે. શરીર સારું છે ત્યાં સુધી



પ્રભુને રાજી કરો તો બેડો પાર છે.



પથારી માં ડોસો પડ્યો છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. પથારી માં જ મળ-મૂત્ર થાય તે નરક જેવું જ



દુઃખ છે. આવી પથારી માં જ જયારે યમદૂત દેખાય છે, ત્યારે જીવ બહુ ગભરાય છે.



જે લોકો માટે પૈસાનું પાણી કર્યું હોય-તે-લોકો જ –ડોસો જલ્દી મરે તેવી –ઈચ્છા રાખતા હોય છે.



પોતાના થોડા કોઈ –કદીક –મને કંઈક આપશે તેવી ઇચ્છાથી સેવા કરે છે. બધાં સ્વાર્થ ના સગાં ભેગા થાય છે. છોકરીઓ પણ



લાલચુડી હોય છે,-મારા બાપાએ મારા માટે પંદર-વીસ તોલા જુદું રાખ્યું હશે. દોડતી દોડતી આવશે-બધા ડોસાને ઘેરીને બેઠા છે.



‘બાપા,મને ઓળખી ? બાપા હું તમારી મણી....’ પણ મણીબેન નું કંઈ અજવાળું પડતું નથી. એ ડોસો જવાની તૈયારી માં છે.



તે બોલી શકતો નથી.



વાણી નો લય મનમાં થાય છે,મન નો લય પ્રાણ માં થાય છે. ત્યારે જીવાત્મા ના હૃદય માં પ્રકાશ દેખાય છે.

તેના મનમાં જે વાસના હોય છે, તે પ્રમાણે –તે પ્રકાશ માં ચિત્ર થાય છે. તે સંસ્કાર જાગે છે તે પ્રમાણે તેને નવો દેહ મળે છે.





-----------------------------------------------------------------------------------







sivohm.com

ભાગવત રહસ્ય-૧૧૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૨૯ (સર્ગ લીલા)



જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.



ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.



પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.



જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.



અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ.



પાપ પુરુષ કહે છે-તેં બહુ પાપ કર્યા છે-એમ કહી મારે છે. પુણ્ય પુરુષ કહે છે –તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં –પુણ્ય-



કેમ કર્યું નહિ ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો-પણ ભક્તિ કેમ કરી નહિ? તેમ કરીને મારે છે.



આ જીવ મરે છે-ત્યારે અતિશય તરફડે છે.



યમદૂતો ની ગતિ પગ થી આંખ સુધી ની હોય છે.



બ્રહ્મરંઘ્ર (દશમ દ્વાર) માં જે પ્રાણ ને સ્થિર કરે છે,તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.



શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-



દશમ દ્વાર થી જીવ અંદર આવે છે, અને જો તે દ્વારમાં થી જીવ બહાર નીકળે –તો મુક્તિ-મળે છે.



અતિ પુણ્યશાળી હોય તો-તે જીવ- પ્રભુના દરબાર માં જાય છે.



આંખ માંથી જીવ બહાર નીકળે તો તે-જીવ સ્વર્ગ-લોક માં જાય છે.



મુખ માંથી જીવ બહાર નીકળે તો-તે જીવ મનુષ્ય યોનિ માં ફરીથી જાય છે.



મુખ થી નીચે અને ડુંટી થી ઉપર –ના ભાગ માંથી જીવ બહાર નીકળે-તો પશુ-પક્ષીની યોનિ માં જાય છે.



ડુંટી થી નીચેના ભાગ માંથી જીવ બહાર નીકળે-તો પ્રેત યોનિ માં જીવ જાય છે.



મર્યા પછી-પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીર ની અંદર સૂક્ષ્મ શરીર છે.અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.



યમદૂતો –જીવાત્મા ને –સૂક્ષ્મ શરીર (અને કારણ શરીર-વાસનાઓ) સાથે યમપુરી માં લઇ જાય છે.



અતિપાપી માટે યમપુરી નો માર્ગ અતિ ભયંકર છે. રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે. ગરમ રેતી પર ચાલવું પડે છે.



ત્યારે એકલો-રડતો રડતો જીવ જાય છે. તેને કોઈ સાથ આપતું નથી.



આ પંથે માત્ર ધર્મ  (સ્વ-ધર્મ) જ સાથ આપે છે. ધર્મ –જીવ ને ધીરજ આપે છે-કે –હું તને બચાવીશ. (ધર્મ સાચો મિત્ર છે.)



ચિત્રગુપ્ત જીવાત્મા એ કરેલાં પાપ-પુણ્ય, જીવાત્મા ને યમદરબાર માં સંભળાવે છે.



ચિત્રગુપ્ત=ચિત્ત ની ગુપ્ત વાતો જાણનાર. ચિત્ત ની ગુપ્ત વાતો જાણે –તેને ચિત્રગુપ્ત કહે છે.



સાક્ષી માં સૂર્યદેવ અને વાસુદેવ છે. દિવસ ના કરેલા પાપની સાક્ષી –સૂર્યદેવ આપે છે. રાત ના પાપની વાસુદેવ.(આત્મા-પરમાત્મા).



કેટલાંક બારણા બંધ કરીને પાપ કરે છે. મને કોઈ જોતું નથી. પણ તારો બાપ જે અંદર બેઠો છે-તે તો જુએ છે ને ?



પૃથ્વી,ચંદ્ર,સૂર્ય ....વગેરે ચૌદ સાક્ષીઓ છે. તે પરમાત્મા ના સેવકો છે. તે સાક્ષી આપે છે-અમે તેને પાપ કરતા નજરે જોયું છે.



પાપ ની જેમ પુણ્ય ની પણ સાક્ષી અપાય છે.



પછી જીવાત્મા એ –તે –કબુલ- કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવ ની ગતિ નક્કી થાય છે.



પાપ વધુ હોય તો-નરક ની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો-તે ચંદ્રલોક માં જાય છે. પુણ્ય હોય તો –તે સ્વર્ગ માં જાય છે.



સ્વર્ગ માં પુણ્ય ભોગવી ને –પુણ્ય નો ક્ષય કરીને-પુણ્ય ખૂટી જાય-એટલે ફરી મનુષ્ય લોક માં જન્મ લેવો પડે છે.



ચોર્યાસી લાખ નું –ચક્કર-કહે છે. જન્મ મરણ નું દુઃખ જ્યાં સુધી છે-ત્યાં સુધી જીવ ને શાંતિ નથી.



જીવ ને શાંતિ ત્યારે થાય –જયારે મનુષ્ય યોનિ માં તે પરમાત્મા નો સાક્ષાત્કાર કરે........



----------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૧૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  



સ્કંધ ત્રીજો-૩૦ (સર્ગ લીલા)



મહાભારત ના શાંતિ-પર્વ માં એક કથા આવે છે.         



વૃંદાવન માં એક મહાત્મા રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે એક ઉંદર આવી તેમની ગોદ માં ભરાયો.



ઉંદર ની પાછળ –બિલાડી પડી હતી. મહાત્મા ને દયા આવી. તેમણે ઉંદર ને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી નહિ શકે.



તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં......



(સાચાં સંતો-ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ ફેરફાર કરતા નથી-જે કરવા જાય તે પાછળથી પસ્તાય છે.-આ તો માત્ર ઉદાહરણ છે)



ઉંદર ની બુદ્ધિ કેટલી ?તેણે વિચાર્યું-આ બિલાડી બહુ સુખ ભોગવે છે.હું બિલાડી બની જાઉં તો-પછી તેની બીક રહે નહિ.



એટલે તેણે મહાત્મા ને કહ્યું –મને બિલાડી બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ....



એક દિવસ તે બિલાડી ની પાછળ કૂતરો પડ્યો. બિલાડી રડતી રડતી મહાત્મા પાસે આવી-અને કહે-મને ખાતરી થઇ કે –



બિલાડી થવા માં સુખ નથી. મને કૂતરો બનાવી દો....મહાત્માએ કહ્યું-તથાસ્તુ.....



થોડા દિવસ સુખ જેવું લાગ્યું.પણ એક દિવસ જંગલ માં કુતરાની પાછળ વાઘ પડ્યો. કુતરાએ વિચાર્યું-આના કરતા વાઘ થવું સારું.



એટલે ફરી રડતો રડતો મહાત્મા પાસે ગયો. અને કહે મને વાઘ બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ.....



વાઘ થયા પછી તેની બુદ્ધિ બગડી ગઈ. હિંસા કરતાં કરતાં તેની હિંસક વૃત્તિ જાગૃત થઇ ગઈ. તેણે વિચાર્યું-



આ મહાત્મા –જો કોઈ દિવસ નારાજ થશે-તો પાછો મને ઉંદર બનાવી દેશે.માટે ચલ મહારાજ ને જ પતાવી દઉં. તો પછી કાયમ નો



વાઘ રહી શકીશ. મહાત્મા કહે-અચ્છા, બેટા,તું મને ખાવા આવ્યો છે? તું ઉંદર હતો એ જ સારું હતું.



મહાત્મા એ તેને પાછો ઉંદર બનાવી દીધો.



જરા વિચાર કરો-



આ ઉંદર-બિલાડીની કથા નથી. આ આપણી જ કથા છે.



આ જીવ એક વખત ઉંદર હતો-એક વખત બિલાડી હતો.એક વખત કૂતરો કે પછી વાઘ હતો.



(માનવ- જીવન માં કદી કદી –આ વિવિધ પશુઓની જેવું જ વર્તન કરે છે-તે બતાવે છે-કે તે એક વખત આવો પશુ હતો)



આ જીવ ની પાછળ કાળ પડ્યો છે. કાળ જીવ ને વારંવાર કચડે છે. અનેક યોનિ ઓ માં જીવ રખડતો રખડતો છેવટે તે-પ્રભુની



ગોદમાં જાય છે. પ્રભુ કૃપા કરી-જીવ ને મનુષ્ય બનાવ્યો. પવિત્ર વિચાર કરવા મન-બુદ્ધિ આપ્યાં. કે જેથી તે કાળ અને કામ પર



વિજય મેળવી શકે. પ્રભુ એ વિચાર્યું-તે કાળ પર વિજય મેળવી મારી શરણ માં આવશે.



પણ માનવ થાય પછી-કુસંસ્કાર અને કુસંગ થી માનવ –એવો બગડે છે (વાઘ બની જાય છે) કે જેણે તેને બનાવ્યો,તેને જ તે



માનતો નથી. કહે છે-હું ઈશ્વર માં માનતો નથી,



ભગવાન તે વખતે વિચારે છે-કે બેટા તું ક્યાં જઈશ ? હું તને ફરી થી ઉંદર બનાવી દઈશ.



પરમાત્મા એ માત્ર –મનુષ્ય ને જ બુદ્ધિ (શક્તિ) આપી છે. પશુ ને પોતાના સ્વ-રૂપ નું ભાન નથી. ત્રણ વર્ષ પછી તો તે ભૂલી જાય છે-



કે આ મારી મા છે-કે આ મારો બાપ છે. જેણે પોતાના સ્વ-રૂપ નું ભાન નથી તે આત્મ-સ્વ-રૂપ ને ક્યાંથી જાણી શકે ?



આ મનુષ્ય જન્મ માં –તેની પાસે બુદ્ધિ હોવાથી- જો-તે-ઈશ્વરને ઓળખવાનો-ઈશ્વર નો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના કરે-તો-



ચોર્યાસી લાખ ના ચક્કર માં તે ફરે છે. તે ફરી ફરી સંસાર માં રખડે છે.



જન્મ-મરણ નું દુઃખ તે ભોગવે છે. અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવ ને શાંતિ પ્રાપ્ત થતી નથી.



------------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૧૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૩૧ (સર્ગ લીલા)



પશુ પક્ષી ની યોનિ માં અનેક પ્રકારના દુઃખ ભોગવી, તેનું  પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોક માં જાય છે.



ત્યાંથી સૂક્ષ્મ જીવ –વાદળ માં વર્ષા રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્ન માં દાખલ થાય છે.



અન્ન માંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિ માં આવે છે.



(આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!)



(ભાગવત માં ગર્ભ-અવસ્થાનું વર્ણન –અદભૂત છે, જેનું સાદી નીચે મુજબ વર્ણન કરી શકાય.)



જે દિવસે ગર્ભ રહે છે-તે દિવસે પાણી ના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે.



દસ દિવસ માં તે ફળ જેવડો મોટો થાય છે.



મા ના શરીરની જે નાડી માં થી અન્ન રસ વહેતો હોય તે નાડી સાથે ગર્ભ ની નાડી જોડવામાં આવે છે.



એક મહિનામાં સાત ધાતુ મળે છે. અને પાંચ મહિના માં ભુખ તરસ નું જ્ઞાન થાય છે.



છ મહિના ની ગર્ભ થાય એટલે-માતા ના પેટમાં ભ્રમણ કરે છે. જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે-



તે માતા ના મૂત્ર વિષ્ટા માં તે આળોટે છે. નાનકડી જગ્યામાં તેને બહુ સહન કરવું પડે છે.



તેને અનેક જંતુ ઓ કરડે છે,ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે.



વળી માતા એ ખાધેલા તીખા,ઉના,ખારા,ખાટા વડે તેના અંગ માં વેદના થાય છે.



આ પ્રમાણે તે ગર્ભ માં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. પાંજરામાં પંખી પુરાયું હોય તેમ તે રહે છે.



કંઈ પણ કરવાને માટે તે અસમર્થ હોય છે.



માટે ગર્ભવાસ અને નરકવાસ સરખો છે.



સાતમે મહિને માથું નીચે અને પગ ઉંચે થાય છે.



આઠ માસના જીવાત્મા ને પૂર્વજન્મ નું જ્ઞાન થાય છે. તે ગર્ભ માં પ્રભુ ને સ્તુતિ કરે છે.



નાથ,મને જલ્દી બહાર કાઢો,હવે હું બિલકુલ પાપ નહિ કરું,મને બહાર કાઢશો, તો હું તમારી ખુબ સેવા –ભક્તિ કરીશ.



ગર્ભ માં જીવ જ્ઞાની થાય છે. ભગવાન આગળ તે અનેક પ્રતિજ્ઞાઓ કરે છે.



પરમાત્મા કહે છે-આજ સુધી તેં મને અનેક વાર છેતર્યો છે.



જીવ કહે છે-ના-ના- હવે હું નહિ છેતરું. મને બહાર કાઢો.



પ્રસવપીડા વખતે અતિશય વેદના માં તે પૂર્વજન્મ નું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભ નું જ્ઞાન પણ ભૂલી જાય છે.



મા ને જે વેદના થાય છે-તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્મા ને થાય છે.



રાજા ને ઘેર જન્મ થાય કે રંક ના ઘેર જન્મ થાય-જન્મ એ જ મહાન દુઃખ છે.



જન્મ એનો સફળ છે-કે જેણે ફરીથી કોઈ મા ના પેટમાં જવા નો પ્રસંગ નાં આવે.



કોઈ ના પેટમાં જાય તેની દુર્દશા થાય છે.



કપિલ ભગવાન કહે છે-કે- મા જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે.



આ બંને દુઃખ સરખાં છે. આ દુઃખો નો અંત આવતો નથી.



આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો –જ- આ દુઃખ નો અંત આવે છે.



------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૧૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૩૨ (સર્ગ લીલા)



જીવ નો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસાર માં માયા કોઈને ય છોડતી નથી.



આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.



જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે.



જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.



તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકો નો મોહ ઉડી જાય છે.



પછી પૈસા જોડે પ્રેમ કરતો થા જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંક ના બેલેન્સ જોડે મોહ થઇ જાય છે.



અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.



કહે છે-કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું. પેલી નચાવે તેમ નાચે છે. માને છે-કે-તે સ્વર્ગનું સુખ ભોગવે છે.



પણ આ મોહ પણ ટકતો નથી-બેચાર છોકરાં થાય એટલે કંટાળે છે.



કોઈ પરણેલા ને પૂછશે-કે-તમે સુખી છો ? તો ફટ દઈને જવાબ આપશે કે-હું સુખી શાનો ? આ પલટણ ઉભી થઇ છે,



મોંઘવારી વધી ગઈ છે, દરેક ની ચિંતા છે,રાતદિવસ વૈતરું કરું છું, પણ કોઈને મારી દયા આવતી નથી, જેમતેમ જીવન પૂરું કરું છું.



એકલો હતો ત્યારે સુખી હતો.



ચામડીનું સુખ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થા માં ડહાપણ આવે છે. ત્યાં સુધી માં તો માયા થી ઘેરાઈ ગયો હોય છે.



છોકરાં ને ઘેર છોકરાં -આવ્યાં-અને કહેશે-કે-આ નાનો કનૈયો બહુ વહાલો લાગે છે. એમ કહી –ત્યાં માયા લગાડે છે.



આ માયા જીવ ને બે રીતે મારે છે,બાંધે છે. માયા ના બંધનના દોરડા માં થી છટકી તે જ દોરડાથી પ્રભુ ને બાંધવાના  છે.



તુલસીદાસજી એ કહ્યું છે-



જનની,જનક,બંધુ,સૂત,દારા-તનુ,ધનુ,ભવન સુર્હદ પરિવારા-સબ કૈ મમતા તાગ બટોરી,મમ પદ મનહિ બાંધ હરિ ડોરી.



(માતા,પિતા,ભાઈ,પુત્ર,પત્ની,શરીર,ધન,ઘર,મિત્ર,સગાં-સ્નેહીઓ-એ બધા માંથી જે મમતા છે-તે ત્યાગી –તે બધા માં જે –



પ્રેમ વિખરાયેલો છે, તે બધો પ્રેમ ભેગો કરી –એક જ પ્રેમ નુ દોરડું બનાવી –પ્રભુ ના ચરણને મન થી બાંધી દો-તો પ્રભુ બંધાય.)



કપિલ ભગવાન-કહે છે-મા,અનેક જન્મો થી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે, હજુ તને સંસારના વિષયોમાં ધૃણા આવતી નથી ?



ક્યાં સુધી તારે ભટકવું છે ? મા,તારા મન ને સંસાર ના વિષયો માંથી હટાવી, તે મન ને પ્રભુ માં જોડી દે.



પરમાત્મા ના ચરણ નો આશ્રય કરી, જન્મ-મરણ ના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી મુક્ત થા –તો જીવન સફળ થશે.



મારા ઉપદેશ માં શ્રદ્ધા રાખજે, મા, સાવધાન થઇ ને તારે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજે-મન છેતરે છે-મન ભયંકર છે.



કોઈ પણ સાધન (જેવુંકે ભક્તિ વગેરે) કરવાનું છે. અને સાવધાન રહેવાનું છે-કે અંદર અભિમાન વધે નહિ.



આમ કરી પરમાત્મા ને શરણે –જીવ-જાય તો ભગવાન અવશ્ય કૃપા કરે છે.



અંત માં કપિલ ભગવાન જે કહે છે-તે ખુબ જ મહત્વનું છે.



“મા.તારા મન ને તારે જ બોધ આપવો પડશે. મા, આ માર્ગ એકલા નો છે.”



મા, સાવધાન રહેજે, થોડા દિવસ માં જ તું કૃતાર્થ થઈશ. મારું કામ પૂરું થયું, મારે હવે અહીં થી જવું પડશે. સંસાર નો સંયોગ-વિયોગ



માટે જ હોય છે. મા,તું સતત ભક્તિ કરજે-પરમાત્મા ના નામ નો તને આધાર છે.



મા ને ઉપદેશ આપી, કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે,મા ની ત્રણ વાર પ્રદિક્ષણા કરી, મા ની આજ્ઞા માગી,ગંગાસાગર ના તીર્થ માં



પધાર્યા છે. કલકત્તાથી થોડે દૂર આ સ્થળ છે,ત્યાં ગંગાજી સમુદ્ર ને મળે છે. સામાન્ય નદીનાં પાણીને સમુદ્ર ખારાં બનાવે છે,ત્યારે



ગંગાજી ત્રણ ચાર માઈલ સુધી સમુદ્રના પાણી ને મીઠું બનાવે છે.



માતા દેવહુતિ, સરસ્વતી ના કિનારે વિરાજેલાં છે. સ્નાન,ધ્યાન કરી મન ની શુદ્ધિ કરી, નારાયણ નુ ચિંતન કરી મુક્ત થયાં છે.



દેવહુતિ મા ને સિદ્ધિ મળેલી,તેથી તે સ્થળ નુ નામ સિદ્ધપુર પડ્યું છે. માતા દેવહુતિ નો ત્યાં ઉદ્ધાર થયો છે, તેથી લોકો તેને



“માતૃગયા” પણ કહે છે.



કપિલગીતા અહીં સમાપ્ત થાય છે.



જુદા જુદા અનેક માર્ગો થી (નીચે બતાવેલા) પામવાનું તત્વ એક જ છે---પરમાત્મા.



(જુદા જુદા પ્રકારના કર્મો, યજ્ઞ, દાન, તપ, વેદાધ્યયન, મન અને ઇન્દ્રિયો નો સંયમ, કર્મ નો ત્યાગ, અનેક પ્રકારનો યોગાભ્યાસ,



ભક્તિ યોગ, પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મતત્વ નુ જ્ઞાન, દૃઢ વૈરાગ્ય, ......



આ બધા જ –જુદા જુદા સાધનો છે-અને આ સાધનો થી કાં તો સગુણ અથવા નિર્ગુણ –પરમાત્મા ની પ્રાપ્તિ જ થાય છે.)



ત્રીજો સ્કંધ સમાપ્ત



(અનુસંધાન-ચોથા સ્કંધ પર)



-----------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૮૩- to 100 સ્કંધ-૩ ડોંગરેજી મહારાજ ની કથા



ભાગવત રહસ્ય-૮૩- to 100 સ્કંધ-૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

 સ્કંધ ત્રીજો-૧ (સર્ગ લીલા)


સંસાર બે તત્વો નું મિશ્રણ છે.જડ અને ચેતન.



શરીર જડ છે અને આત્મા ચેતન છે.



આત્મા શરીર થી જુદો છે-એવું બધા જાણે છે. પણ તેનો અનુભવ કોઈક જ કરી શકે છે.(અનુભવ કોઈક જ કરે છે)



અતિશય ભક્તિ –કરે ,પરમાત્મા ના નામ માં તન્મય બને –(જ્ઞાન ક્રિયાત્મક બનાવે-કોઈ પણ સાધન કરે)-તો –જ-આનો અનુભવ થઇ શકે.બાકી-ઘણાં પુસ્તકો વાંચવાથી કે શાસ્ત્રો ભણવાથી-આનો અનુભવ થઇ શકતો નથી. પણ માત્ર જ્ઞાન વધે છે.



શુકદેવજી કહે છે-રાજન,તમે જેવા પ્રશ્નો કરો છો-તેવા પ્રશ્નો-વિદુરજી એ મૈત્રેયજી ને કર્યા હતા. આ વિદુરજી –એ એક એવા ભક્ત છે-



કે ભગવાન તેમને ત્યાં –વગર આમંત્રણે ગયા હતા.



પરીક્ષિત પૂછે છે-વિદુરજી ને મૈત્રેયજી નો ભેટો ક્યાં થયો હતો? વિદુરજી પરમ વૈષ્ણવ હતા,તે ઘર છોડી જાત્રા કરવા ગયા –તે-



આશ્ચર્યકારક લાગે છે.વૈષ્ણવ તો ઘરને જ તીર્થ બનાવી રહે છે. જેનું મન શાંત થયું છે-તેને ભટકવાની ઈચ્છા થતી નથી. અંદરથી



ભક્તિ નો રંગ લાગ્યો હોય તેને જાત્રા કરવા જવાની ઈચ્છા થતી નથી. વિદુરજી જાત્રા કરવા કેમ ગયા તે મને કહો.....



શુકદેવજી કહે છે-રાજન, પહેલાં હું તને,ભગવાન વગર આમંત્રણે-વિદુરજી ને ઘેર ગયેલા તેની કથા કહીશ.પછી આગળ ની કથા કહીશ



ધ્રુતરાષ્ટ પાંડવો ને લાક્ષાગૃહ માં બાળવાના કાવત્રામાં સામેલ હતા. વિદુરજી ને દુઃખ થયું. તેમણે ધ્રુતરાષ્ટ્રને ઉપદેશ કર્યો. કે-તમે



પાંડવો નો ભાગ પડાવી લેવા માગો છે તે ખોટું છે-અર્ધું રાજ્ય તેમને આપી દો .નહીતર હું ઘરમાં નહિ રહું. ધૃતરાષ્ટ્ર પર આ



ઉપદેશ ની કંઈ અસર થતી નથી. વિદુરજી એ વિચાર્યું-ધૃતરાષ્ટ્ર પાપ કરે છે,એના કુસંગ થી મારી યે બુદ્ધિ બગડશે. તેથી વિદુરજીએ



ઘરનો ત્યાગ કરી-પત્ની સુલભા સાથે ગંગા કિનારે આવ્યા છે.



પતિ-પત્ની નિયમ થી મન ને બાંધે છે. તપશ્ચર્યા કરે છે.



રોજ ત્રણ કલાક –પ્રભુની સેવા કરે,ત્રણ કલાક પ્રભુનું ધ્યાન કરે,ત્રણ કલાક કૃષ્ણ કથા કરે,ત્રણ કલાક કિર્તન કરે.



વિદુરજી એ એવો કાર્યક્રમ નક્કી કર્યો છે કે-એક ક્ષણ ની પણ ફુરસદ નથી. ફુરસદ હોય તો-સંસાર માં મન



જાય ને ?મન ને એક ક્ષણ પણ છૂટ મળતી નથી.પાપ કરવાનો અવસર મળતો નથી.



ધ્રુતરાષ્ટ્રની આજ્ઞા થી સેવકો-વિદુરજી પાસે ધન ધાન્ય લઈને આવેલા –ત્યારે વિદુરજી એ પત્ની ની પરીક્ષા કરવાં કહ્યું-



દેવી,આનો સ્વીકાર કરો,મારા ભાઈ એ મોકલાવ્યું છે. ત્યારે સુલભા એ ના પાડી છે. પાપી નું અન્ન ખાવાની ઈચ્છા નથી.



આ અનાજ પેટમાં જાય તો ભક્તિ માં બહુ વિઘ્ન આવશે. અન્ન દોષ મન ને બહુ બગાડે છે. ગંગા કિનારે ભક્તિ કરવાં આવી છું-



લૂલી ના લાડ કરવાં નહિ. વિદુરજી એ પૂછ્યું-કે ભૂખ લાગશે ત્યારે શું કરીશ ?



સુલભા કહે છે-ગંગા કિનારે ભાજી પુષ્કળ થાય છે-આપણે ભાજી ખાશું.



કેટલાંક ગંગા કિનારે ભક્તિ કરવાં જાય છે-પણ ત્યાં પણ લૂલી નાં લાડ કરે છે. ઘેર કાગળ લખે છે કે-મુરબ્બા ની બરણી મોકલજો.



મુરબ્બા માં મોહ હતો-તો ગંગા કિનારે આવ્યો શું કામ ?



ભોજન કરવું એ પાપ નથી,પણ ભોજન સાથે તન્મય થવું તે પાપ છે. ભોજન કરતાં ભગવાન ને ભૂલી જવા તે પાપ છે.



ઘણા લોકો કઢી ખાતાં –કઢી સાથે એક બને છે.કઢી સુંદર બની છે. તેથી બીજા દિવસે સેવા કરતાં ,માળા ફેરવતાં કઢી જ યાદ આવે છે.



મન માં થાય છે કે –ગઈકાલની કઢી સુંદર હતી.



એ જપ –શ્રીકૃષ્ણ નો કરતો નથી પણ કઢી નો જપ કરે છે. તે ભક્તિ કરી શકતો નથી.



જેનું જીવન સાદું-તે ભક્તિ કરી શકે છે. જીભ સુધરે તો જીવન સુધરે,જીભ બગડે તો જીવન બગડે.



ભક્તિ માં જીભ –મુખ્ય છે. જીભ પાસે સતત –પરમાત્મા ના જપ કરાવો અને જીભ ને સાત્વિક આહાર આપવાથી જ જીભ સુધરે છે.



આહાર જો સાદો અને શુદ્ધ હોય તો સત્વગુણ વધે છે, સત્વ ગુણ વધે તો સહનશક્તિ વધે છે, અને છેવટે બુદ્ધિ સ્થિર થાય છે.



છાંદોગ્ય ઉપનિષદ માં લખ્યું છે-કે-



આહાર ની શુદ્ધિ થી-અંતઃકરણ ની શુદ્ધિ થાય છે, અંતઃકરણ ની શુદ્ધિ થી સ્મૃતિ (બુદ્ધિ) સ્થિર થાય છે, અને સ્મૃતિ ની સ્થિરતા થી



જીવ અને માયા ના સંબંધ થી રાગ-દ્વેષાત્મક ગાંઠ છૂટી જાય છે.



(સત્વશુદ્ધિ,સત્વશુદ્ધો,ધ્રુવાસ્મૃતિ—સ્મૃતિલબ્ધે સર્વ ગ્રંથીનામ વિપ્રમોક્ષ.-- છાંદોગ્ય ઉપનિષદ)



વિદુરજી આખો દિવસ ભક્તિ કરે અને અતિશય ભૂખ લાગે ત્યારે –કેવળ-ભાજી નો આહાર કરે.



બાર વર્ષ આ પ્રમાણે ભગવાન ની આરાધના કરી. બાર વર્ષ સુધી કોઈ સત્કર્મ કરો તો-તે સિદ્ધ થાય છે.



આ બાજુ-પાંડવોએ પણ બાર વર્ષ વન માં વનવાસ ગાળી-વનવાસ પુરો કરી રહ્યા પછી-યુધિષ્ઠરે રાજ્યભાગ માગ્યો છે.



દુર્યોધને ના પડી. ધર્મરાજા એ કહ્યું-અડધું રાજ્ય નહિ તો કેવળ બેત્રણ ગામ આપશે તો પણ અમને સંતોષ છે. તો તે પ્રમાણે કરવાની



પણ –દૂર્યોધન ના પાડે છે.ધર્મરાજા એ વિચાર્યું-યુદ્ધ કરવાથી દેશ દુઃખી થશે-એટલે શ્રીકૃષ્ણ ને વિષ્ટિ માટે મોકલવાનું નક્કી કર્યું.



ધ્રુતરાષ્ટને ખબર પડી-કે શ્રીકૃષ્ણ આવે છે.એટલે તેમને એવું વિચાર્યું કે-શ્રીકૃષ્ણ નું એવું સરસ સન્માન કરીને –તેમને રાજી કરીને-



કહીશ-કે બે ભાઈ ઓના ઝગડામાં તમારે વચ્ચે પડવાની જરૂર નથી.



એટલે તેણે હુકમ કર્યો-કે –સ્વાગતની તૈયારી કરો-છપ્પન ભોગ તૈયાર કરાવો.



વિદુરજી ગંગા કિનારે સ્નાન કરવાં આવ્યા છે.ત્યાં સાંભળ્યું –આવતી કાલે મોટો વરઘોડો નીકળવાનો છે.



તેણે લોકો ને પૂછ્યું કે-કોણ આવવાનું છે ? લોકો કહે છે-તમને ખબર નથી ?આવતી કાલે દ્વારકાનાથ –દૂર્યોધન ને સમજાવવા આવે છે.



પ્રભુ પધારવાના છે-એટલે તોરણ બાંધ્યાં છે,આખું હસ્તિનાપુર શણગાર્યું છે.---વિદુરજીને આનંદ થયો છે.





-------------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૪



ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત        



સ્કંધ ત્રીજો-૨ (સર્ગ લીલા)



વિદુરજી ઘેર આવ્યા છે. આજે આનંદ માં છે. સુલભા પૂછે છે-આજે કેમ આટલા બધા આનંદ માં છો ?



વિદુરજી કહે છે-સત્સંગ માં બધી કથા કહીશ,



પતિ-પત્ની નો નિયમ હતો-કે- આખો દિવસ મૌન રાખે છે. માત્ર સત્સંગ કરવાં બેસે ત્યારે જ બોલે છે.



સત્સંગ શરુ થયો.ત્યારે વિદુરજી કહે છે-કે-બાર વર્ષ તેં તપશ્ચર્યા કરી તેનું ફળ આવતી કાલે તને મળશે. આવતીકાલે દ્વારકાનાથ,



હસ્તિનાપુર માં પધારે છે. બાર વર્ષ એક જગ્યાએ રહી, પરમાત્મા ની સેવા,સ્મરણ ધ્યાન કરે છે, તેના પર ભગવાન ને દયા આવે છે.



એવું કથા માં આવે છે. મને લાગે છે કે-દ્વારકાનાથ ,દૂર્યોધન માટે નહિ-પણ દયા કરી-આપણા માટે આવે છે.મારા માટે આવે છે.



સુલભા કહે છે-મને પરમ દિવસે સ્વપ્ન આવેલું-મને રથયાત્રા ના દર્શન થયાં.પ્રભુ એ મારા સામે જોયું,ગાલમાં સ્મિત હાસ્ય કર્યું.



મને સ્વપ્ન માં રથયાત્રાનાં દર્શન થયા હતા તે સફળ થશે.બાર વર્ષ થી મેં અન્ન લીધું નથી.



વિદુરજી કહે છે-દેવી,સ્વપ્ન ઘણું સુંદર છે,આ સ્વપ્ન નું શુભ ફળ મળશે,આવતી કાલે-માલિક નાં દર્શન જરૂર થશે.



સુલભા કહે છે-નાથ,પ્રભુ સાથે તમારો કોઈ પરિચય છે ?



વિદુર કહે છે-હું જયારે જયારે શ્રીકૃષ્ણને વંદન કરું છું,ત્યારે તેઓ મને નામથી બોલાવતા નથી, હું લાયક તો નથી,પણ વયોવૃદ્ધ છું,



એટલે મને –કાકા-કહી બોલાવે છે. એ તો અનંતકોટી બ્રહ્માંડ ના નાયક-માલિક છે,પણ મારા જેવા સાધારણ જીવ ને માન આપે છે.



હું તો એમને કહું છું- કે-હું તો અધમ છું,આપનો દાસાનુદાસ છું, મને કાકા ન કહો.



સુલભા ને આનંદ થયો છે. તેના મન માં એક જ ભાવના છે-લાલાજી –મારા ઘરની સામગ્રી આરોગે-અને હું પ્રત્યક્ષ નિહાળું.



વિદુરજી ને તે કહે છે-કે-તમારે તેમની સાથે પરિચય છે-તો તેમને આપણે ત્યાં આવવા આમંત્રણ આપો. ભાવના માં ,ભગવાન ને હું



રોજ ભોગ ધરાવું છું, પણ હવે એક જ ઈચ્છા છે-કે-ભગવાન આરોગે અને હું પ્રત્યક્ષ નિહાળું!!



લાલાજી, મારી આ આશા પૂરી કરે, પછી ભલે મારું શરીર પડે.



વિદુરજી કહે છે-હું આમંત્રણ આપું તો તે ના નહિ પાડે,પણ આ નાની ઝૂંપડી માં તેમને બેસાડીશું ક્યાં ?ઘરમાં એકે સારું આસન



પણ નથી. ખવડાવશું શું ?ભાજી સિવાય આપણી પાસે કશું ય નથી. માલિક ને ભાજી કેમ અર્પણ થાય ?



આપણે ઘેર પરમાત્મા આવે તો-આપણ ને આનંદ થશે-પણ મારા માલિક ને દુઃખ થશે. મારા ભગવાન ,છપ્પન ભોગ આરોગે છે,



ધ્રુતરાષ્ટ્ર ને ત્યાં તેમનું સ્વાગત –સારું થશે. મારે ત્યાં આવશે તો –ઠાકોરજીને પરિશ્રમ થશે. આપણા સુખ માટે હું મારા



ભગવાન ને જરા ય પરિશ્રમ નહિ આપું.



સુલભા કહે છે-મારા ઘરમાં ભલે કશું ના હોય-પણ મારા હૃદય માં પ્રભુ પ્રત્યે પ્રેમ છે. તે હું અર્પણ કરીશ.આપણે જે ભાજી ખાઈએ



છીએ-તે ભાજી હું મારા –લાલાજી ને પ્રેમ થી અર્પણ કરીશ.(પુષ્ટિ ભક્તિ-હરેક વ્યવહાર ભક્તિ બની જાય છે)



વિદુર કહે છે-દેવી, મને લાગે છે-ભગવાન આપણે ત્યાં આવતી કાલે નહિ આવે-ધ્રુતરાષ્ટ્ર એક માસ થી તૈયારી કરે છે.



પ્રભુ ને આવવું હશે તો પણ-આપણા જેવા ગરીબ-સાધારણ- ને ત્યાં કોઈ આવવા પણ નહિ દે.



સુલભા કહે છે-ભગવાન શ્રીમંત ના ત્યાં જાય છે-અને મારા જેવી ગરીબ ને ત્યાં આવતા નથી.હું ગરીબ છું-તે મેં શું ગુનો કર્યો છે?



તમે કથા માં અનેક વાર કહ્યું છે-પ્રભુ પ્રેમના ભૂખ્યા છે,ગરીબ ભક્તો પરમાત્માને વહાલા લાગે છે.



વિદુર કહે છે-દેવી,એ સાચું,પણ ભગવાન રાજ મહેલ માં જશે-તો સુખી થશે.આપણા ઘરમાં ભગવાન ને પરિશ્રમ થશે.



તેથી હું ના પાડું છું. આપણાં પાપ હજુ બાકી છે. હું તને આવતી કાલ, શ્રીકૃષ્ણ ના દર્શન કરવાં લઇ જઈશ. પણ ઠાકોરજી હાલ –



આપણા ઘેર આવે તેવી આશા રાખવા જેવી નથી. આપણે લાયક થઈશું-ત્યારે તે જરૂર પધારશે.



સુલભા વિચારે છે-મારા પતિ-સંકોચ થી આમંત્રણ આપતા નથી.પણ દર્શન કરતાં-હું ભગવાન ને મનથી આમંત્રણ આપીશ.



મારે તમારી પાસે કંઈ માગવું નથી-પણ મારા ઘેર –પ્રત્યક્ષ લાલાજી તમે આરોગો –પછી હું સુખે થી મરીશ.



પરમાત્મા નું કિર્તન કરતાં રાત્રી પૂરી થઇ. સવારે બાલકૃષ્ણ ની સેવા કરે છે.-લાલાજી હસે છે. સુલભાનું હૃદય દ્રવિત થયું  છે.



બંને પતિ-પત્ની -રથારૂઢ દ્વારકાનાથ ના રૂબરૂ-દર્શને ગયા છે.



સોનાનો રથ ને ચાર ઘોડા જોડેલા છે,ગરુડજી ધ્વજ લઈને ઉભા છે,ઉદ્ધવ અને સાત્યકી સેવામાં ઉભા છે. પ્રભુ ના દર્શન થયાં છે.



વિદુરજી વિચારે છે-હું લાયક નથી, પણ ભગવાન –મને એકવાર નજરે ય શું નહિ આપે ? નાથ,તમારાં માટે –મેં સર્વ વિષયોનો



ત્યાગ કર્યો છે,તમારાં માટે મેં કેટકેટલું સહન કર્યું છે.બાર વર્ષ થી અન્ન ખાધું નથી, શું એકવાર નજર નહિ આપો ? કૃપા નહિ કરો?



હજારો જન્મ થી વિખુટો પડેલો જીવ,તમારે શરણે આવ્યો છે,મારે કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, બસ ફક્ત એકવાર-મારા



સામું જુઓ, મારે બીજી કોઈ ઈચ્છા નથી. વિદુરજી વારંવાર પરમાત્મા ને મનાવે છે.



અંતર્યામી ને ખબર પડી કે- આ કોણ મને મનાવે છે. નજર ઉંચી કરી ત્યાં જ –દૃષ્ટિ વિદુરજી પર પડી છે. ગાલ માં સ્મિત કર્યું.



પરમાનંદ થયો છે.વિદુરજી નું હૃદય ભરાયું છે-ભગવાને મારી સામે જોયું, ભગવાન નું હૃદય પણ ભરાયું છે,દૃષ્ટિ પ્રેમ ભીની થઇ છે.



મારો વિદુર ઘણા વખત થી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે.



સુલભા ને પણ ખાતરી થઇ. મારા લાલાજી મને જોઈ હસતા હતા. પ્રભુ એ મને અપનાવી છે. મારા લાલાજીએ મારી સામે જોયું.



મને લાલાજી  ઓળખે છે-કે- હું વિદુરજી ની પત્ની છું. એટલે આંખ ઉંચી કરી ને નજર આપી છે.



પ્રભુએ –આંખ થી ઈશારો કર્યો-આંખથી આ ભાવ બતાવ્યો કે –હું તમારાં ત્યાં આવવાનો છું.

પણ પતિ-પત્ની અતિ આનંદ માં હતાં,આનંદ હૃદયમાં સમાતો નહોતો, આંખ વાટે બહાર આવતો હતો, તે ઈશારો સમજી શક્યા નહિ.



---------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૫



ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત            



સ્કંધ ત્રીજો-૩ (સર્ગ લીલા)



શ્રીકૃષ્ણ ધ્રુતરાષ્ટ અને દૂર્યોધન ને ખુબ સમજાવે છે. કહે છે કે-આજે દ્વારકાના રાજા તરીકે નહિ પણ પાંડવો ના દૂત તરીકે આવ્યો છું.



દુષ્ટ દુર્યોધન સમજતો નથી અને દ્વારકાનાથનું અપમાન કરે છે.કહે છે-ભીખ માગવાથી રાજ્ય મળતું નથી.



ભગવાન સમજી ગયા-આ મૂર્ખો છે-તેણે માર પડ્યા વગર અક્કલ આવશે નહિ.



ધ્રુતરાષ્ટ્ર કહે છે-બે ભાઈ ના ઝગડામાં તમે વચ્ચે ના પડો.આરામ થી ભોજન કરો.છપ્પન ભોગ તૈયાર છે.



શ્રીકૃષ્ણ કહે છે-તારા ઘરનું ખાઉં તો બુદ્ધિ બગડે. પાપી ના ઘરનું ખાવાથી બુદ્ધિ બગડે છે.



શ્રીકૃષ્ણ –બીજા રાજાઓને-બ્રાહ્મણોને-અરે...દ્રોણાચાર્ય ને પણ તેમના ઘેર ભોજન કરવાની ના પાડે છે.



ભગવાન વિચારે છે-વિદુર ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે,આજે મારે તેના ત્યાં જવું છે. સારથીને આજ્ઞા કરી કે-



વિદુરજી ની ઝૂંપડી પાસે લઇ જા. ગડગડાટ ઘંટાનાદ કરતો રથ ચાલ્યો છે.



આ બાજુ વિદુરજી વિચારે છે-હું હજી લાયક થયો નથી-એટલે પ્રભુ મારે ત્યાં આવતા નથી.



આજે સેવામાં સુલભા નું હૃદય આર્દ્ર બન્યું છે. સુલભા બાલકૃષ્ણ ને વિનવે છે-



લાલાજી,મેં તમારાં માટે સર્વસ્વ નો ત્યાગ કર્યો છે,તો પણ તું મારે ત્યાં નહિ આવે ? નાથ,ગોકુળની ગોપીઓ કહેતી હતી –તે સાચું છે.



કે-કનૈયો કપટી છે. આવું તો પ્રેમની મૂર્તિ-ગોપીઓ જ બોલી શકે.મને તો તેમ કહેવાનો અધિકાર નથી, હું તો પાપી છું.



નાથ,રોજ તમારાં માટે હું રડું છું-અને તમે હસો છો ?આ તમારી આદત સારી નથી.જે વૈષ્ણવ તમારી પાછળ પડે-તેને તમે રડાવો-



તો તમારી ભક્તિ કોણ કરશે ? મારી આ વૃદ્ધાવસ્થા છે,મારા જીવન નો છેલ્લો મનોરથ છે-આપ મારે ઘેર આવો અને તમે આરોગો –ને



હું તમારાં દર્શન કરું. પછી સુખેથી મરીશ.



વૈષ્ણવો-અતિ પ્રેમથી કિર્તન કરે છે-ત્યાં પરમાત્મા પધારે છે.કિર્તન ભક્તિ શ્રીકૃષ્ણ ને અતિપ્રિય છે.



સુરદાસજી ભજન કરે-ત્યારે કનૈયો આવી ને તંબુરો આપે છે.સુરદાસ કિર્તન કરે અને કનૈયો સાંભળે છે.



ભગવાન કહે છે-ન તો હું વૈકુંઠ માં રહું છું,ન તો યોગીઓના હૃદય માં. હું ત્યાંજ રહું છું-જ્યાં મારા ભક્તો-પ્રેમ માં મારું કિર્તન કરે છે.



ઝૂંપડી બંધ કરી વિદુર-સુલભા ભગવાન ના નામ નું કિર્તન કરે છે-પણ તેમને ખબર નથી કે –જેના નામ નું કિર્તન કરે છે-



તે આજ તેમના દ્વારે બહાર ઉભા છે. બહાર ઉભે ઉભે બે કલાક થયા, પ્રભુ વિચારે છે કે –આ લોકોનું કિર્તન પૂરું થાય તેમ લાગતું નથી.



સખત ભૂખ લાગી હતી, પ્રભુ એ વ્યાકુળ થઇ બારણા ખખડાવ્યાં,-કહે છે- કે કાકા-હું આવ્યો છું.



વિદુરજી કહે છે-દેવી,દ્વારકાનાથ આવ્યા હોય તેમ લાગે છે.



જ્યાં દરવાજો ઉઘાડ્યો-ત્યાં-શંખ-ચક્ર-ગદાધરી ચતુર્ભુજ નારાયણ નાં દર્શન થયા છે. પરમાનંદ થયો છે.



અતિ હર્ષ માં આસન આપ્યું નથી,પ્રભુ એ હાથે દર્ભ નું આસન લીધું છે. વિદુરજી નો હાથ પકડી બેસાડે છે.



ભગવાન કહે છે-કે તમે શું જુઓ છો?હું ભૂખ્યો છું,મને ભૂખ લાગી છે.કાંઇક ખાવાનું  આપો.



પરમાત્મા ખાતા નથી.એ તો જગતનું પોષણ કરે છે.એ તો વિશ્વંભર છે. આજે એ પરમાત્મા ને ભૂખ લાગી છે.



ભક્તિ માં એટલી શક્તિ છે-કે નિષ્કામ ભગવાન ને સકામ બનાવે છે. ભગવાન આજે માગી ને ખાય છે.



વિદુરજી પૂછે છે-તમે ત્યાં છપ્પન ભોગ આરોગી ને નથી આવ્યા ?



કૃષ્ણ કહે છે-કાકા, જેના ઘરનું તમે ના ખાવ-તે ઘરનું હું ખાતો નથી.



પતિ પત્ની વિચારમાં પડ્યાં છે-કે ભગવાન નું સ્વાગત કેમ કરી કરવું ?પોતે કેવળ ભાજી ખાઈ ને રહેતા હતા. ભાજી ભગવાન ને



કેવી રીતે અર્પણ કરું ? કંઈ સુઝતું નથી.



ત્યાં તો –દ્વારકા નાથે-પોતાના હાથે-ભાજી ચુલા ઉપરથી ઉતારી છે. પ્રભુ એ વિચાર્યું, મારું ઘર માની ને આવ્યો છું, તો પછી મારા હાથે



લેવામાં શું વાંધો છે ? પ્રેમ થી ભાજી આરોગી છે. ભાજી ના તો શું?પણ કાકીના પણ ખુબ વખાણ કર્યા છે.



સુલભા નો મનોરથ પુરો થયો છે. મીઠાશ ભાજીમાં નથી,મીઠાશ પ્રેમ માં છે.



ભગવાન ને દુર્યોધન ના મેવા ના ગમ્યા પણ –પરંતુ ભગવાને –વગર આમંત્રણે-વિદુર ના ઘેર જઈ-જાતે- ભાજી આરોગી.



તેથી તો લોકો આજ પણ ગાય છે-કે-



સબસે ઉંચી પ્રેમ સગાઇ....દુર્યોધન કા મેવા ત્યાગો-સાગ વિદુર ઘર ખાઈ,



                         પ્રેમ કે બસ –અર્જુન રથ હાંક્યો,ભૂલ ગયે ઠકુરાઈ.



માલિકે (ઠાકુરે) એક સામાન્ય સારથી(ડ્રાઈવર) બની- અને અર્જુન નો રથ હાંક્યો હતો—કેમ ? બસ ...માત્ર એક પ્રેમ ને કારણે......

બસ આ એક પ્રેમ  ને વશ.....પોતાની ઠકુરાઈ પણ ભૂલી ગયા હતા.





----------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૮૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૪ (સર્ગ લીલા)



ભગવાન ને ભુખ લાગે ? આના પર મહાત્માઓએ ચર્ચા કરી છે.



ઉપનિષદ નો સિદ્ધાંત છે-કે-ઈશ્વરને ભુખ લાગતી નથી. કહે છે-સંસાર વૃક્ષ માં બે પક્ષીઓ બેઠા છે. જીવ અને શિવ .



જીવ રૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે.તેથી તે દુઃખી છે. પરમાત્મા તેણે સાક્ષીરૂપે નિહાળે છે. ભગવાન ખાતા નથી.



ઉપનિષદ નો આ સિદ્ધાંત પણ ખોટો નથી ,અને ભાગવત ની સિદ્ધાંત પણ ખોટો નથી.



ભાગવત કહે છે કે-ઈશ્વર નિત્ય તૃપ્ત છે,ઈશ્વર નિત્યઆનંદસ્વરૂપ છે.-પણ-આનંદમય ભગવાન ને –ભક્તોનો પ્રેમ જોઈ ખાવાની



ઈચ્છા થાય છે. ભક્ત ના હૃદય માં અતિ પ્રેમ ઉભરાય તો-નિષ્કામ પણ સકામ બને છે. ત્યારે ભગવાન આરોગે છે.



નિરાકાર-સાકાર બને છે. ઈશ્વર પ્રેમ ના ભૂખ્યા છે.



કાશી માં એક વખત ચર્ચા થઇ કે-ભક્તિ શ્રેષ્ઠ કે જ્ઞાન ? પંડિતો, કૃષ્ણાનંદ સરસ્વતી પાસે ગયા. તેઓ એ કહ્યું કે-



જ્ઞાન વસ્તુ એવી છે-કે-જે -વસ્તુ -ને જાણે તેણે જ્ઞાન થયું કહેવાય. જે જેવું છે તેવું તેને જાણવું –તે જ્ઞાન. પણ ભક્તિમાં –પ્રેમ માં –



એવી શક્તિ છે કે –તે જડ ને ચેતન બનાવે છે. નિષ્કામ ઈશ્વરને સકામ બનાવે છે. નિરાકાર ને સાકાર બનાવે છે.



જ્ઞાન માં કોઈ વસ્તુ નું પરિવર્તન કરવવાની શક્તિ નથી,પણ ભક્તિમાં-પ્રેમ માં,કોઈ વસ્તુ ને પરિવર્તન કરવાની શક્તિ છે.



ભક્તિ-સ્વતંત્ર (ઈશ્વરને-પરતંત્ર બનવે છે.એટલે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે. જ્ઞાન થી પ્રેમ શ્રેષ્ઠ છે.



જ્ઞાનેશ્વર અને નામદેવ જાત્રા એ નીકળ્યા હતા. રસ્તા માં તરસ લાગી. એક કુવો જોયો,પાણી ઊંડું હતું અને દોરડી હતી નહિ.



કરવું શું ? જ્ઞાનેશ્વર-પાસે લઘુમા સિદ્ધિ હતી, તે સૂક્ષ્મ સ્વરૂપ લઇ કુવામાં જઈ પાણી પી આવ્યા.  પણ નામદેવ ભક્ત છે.



બહાર ઉભા રહી પ્રભુ ને પ્રાર્થના કરે છે. પ્રભુ એ પ્રાર્થના સાંભળી,કુવા માં પાણી ઉભરાયું અને ઉપર આવ્યું. નામદેવને પાણી જોડે



નીચે કુવામાં જવું પડ્યું નહિ પણ પાણી તેમની પાસે આવ્યું. તેથી સિદ્ધ થાય છે-ભક્તિ શ્રેષ્ઠ છે.



શુકદેવજી કહે છે-વિદુરજીએ કુસંગ નો ત્યાગ કર્યો અને સત્સંગ સ્વીકાર્યો –ત્યારે ભગવાન મળ્યા. મનુષ્ય સંગ થી જ સુધરે છે,અને



સંગ થી જ બગડે છે,મનુષ્ય જન્મ થી શુદ્ધ હોય છે,બગડેલો હોતો નથી, પણ મોટો થતાં જેના સંગ માં આવ્યો હોય તેવો બને છે.



તમારે જેવા થવું હોય તેવા લોકો ના સંગ માં રહો. અતિ વિલાસી ના સંગ થી જીવન બગડે છે,ભજનાનંદી સંત નો સંગ કરવાથી



જીવન સુધરે છે.કૃષ્ણપ્રેમ માં રંગાયેલા સંત મળે તો જ ભજન નો રંગ લાગે છે.



સાધારણ માણસ –રાજા ને –પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપે તો –રાજા તેના ઘેર આવે ? ના જ આવે......



પણ જીવ –જો પવિત્ર જીવન વિદુરજીની માફક ગાળે તો-તે લાયક બને અને પરમાત્મા –વગર આમંત્રણે તેના ઘેર આવે.



વિદુરજીએ વિચાર્યું-પ્રભુએ ધ્રુતરાષ્ટ્ર ના ઘરનું પાણી પણ પીધું નથી-એટલે હવે કૌરવો નો વિનાશ થશે-ગમે તેવો પણ મારો ભાઈ છે-



તેને ફરી એકવાર સમજાવું.



વિદુરજી-મધ્યરાત્રીએ ધ્રુતરાષ્ટ્ર ને મળવા ગયા-ઉપદેશ આપી સમજાવવા પ્રયત્ન કર્યો-છતાં તે માનતો નથી.



આ ઉપદેશ- મહાભારત ના ઉદ્યોગપર્વ માં –વિદુરનીતિ- ના નામે ઓળખાય છે.



ધ્રુતરાષ્ટ્ર કોણ છે ? જે બીજાનું ધન પડાવી લે-તે-ધ્રુતરાષ્ટ્ર. જેની આંખ માં પૈસો છે-તે આંખ હોવાં છતાં આંધળો થઇ જાય છે.



પાપી-દુષ્ટ –પુત્ર સાથે પ્રેમ કરનારો બાપ તે ધ્રુતરાષ્ટ્ર છે. (પહેલાં તો એક ધ્રુતરાષ્ટ્ર હતો,આજકાલ બહુ વધી પડ્યા છે.)



વિદુરજી-ધ્રુતરાષ્ટ્ર ને  બહુ સમજાવી ઘેર ગયા.



સવારે-દુર્યોધન ના સેવકોએ આવી તેને ચુગલી કરી કે-રાતે વિદુરકાકા આવ્યા હતા.તે પાંડવોના વખાણ કરતાં હતા,અને



તમારી નિંદા કરતા હતા,તમને કેદમાં રાખવાનું પણ કહેતાં હતા. દુર્યોધન ગુસ્સામાં આવી જઈ ને –વિદુરજી ને સભામાં બોલાવે છે.



અને બુધ્ધિપૂર્વક તેમનું અપમાન કરે છે, કહે છે-કે તું દાસીપુત્ર છે,મારા ઘરનું અન્ન ખાઈ ને મારી વિરુદ્ધ કામ કરે છે.



ભરી સભા માં દુર્યોધને કરેલા આવા અપમાન થી પણ વિદુરજી –ગ્લાનિ(દુઃખ) પામતા નથી. તેઓ ગુસ્સે થયા નથી.



વિદુરકાકા એ એકલી ભાજી ખાધેલી ને !!! સાત્વિક આહાર વગર-ગમ- ખાવાની- શક્તિ -નહિ આવે.



જીવન માં સુખી થવું હોય તો-કમ (ઓછું) ખા અને ગમ ખા. નો સિદ્ધાંત અપનાવવા જેવો છે.



મનુષ્ય ને બધું ખાતાં આવડે છે પણ ગમ ખાતાં આવડતું નથી. ગમ ખાતા કેમ આવડે ? ગમ –ને ઉલટાવો –તો થશે મગ.



બાર મહિના કેવળ બાફેલા મગ પર રહી જુઓ. મગ બાફી –બહુ જરૂર હોય તો –જ-સહેજ મીઠું અને ઘી નાખવું.



આહાર માં સંયમ હોય,કે સાદું- સાત્વિક ભોજન હોય તો –સત્વગુણ વધે છે.સહનશક્તિ વધે છે.ગમ ખાતા આવડે છે.



નિંદા સહન કરવાની-શક્તિ-આવે છે.



વિદુરજી વિચાર કરે છે-કે-ઝાડનું પાંદડું પણ ઠાકોરજીની ઈચ્છા વગર હાલતું નથી. બધાં કાર્ય ભગવાન ની ઈચ્છા થી થાય છે.



સર્વ માં શ્રીકૃષ્ણ વિરાજેલા છે,સજ્જન માં અને દુર્જન માં પણ. ભગવાન ની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. મારું અપમાન થાય એ પણ



ઠાકોરજી ની લીલા જ છે. દુર્યોધન ને પણ ,મારા ભગવાન ,કોઈ –પ્રેરણા આપતા હશે. મારી નિંદા કરનાર-અપમાન કરનાર નું પણ



પ્રભુ કલ્યાણ કરે. દુર્યોધન મારી નિંદા કરતો નથી પણ દુર્યોધન ના અંતરમાં રહેલ –નારાયણ મને કહે છે-કે-કૌરવોનો કુસંગ –તું



છોડી દે. કૌરવો નો કુસંગ છોડાવવાની –પ્રભુ ની આ પ્રેરણા છે.



વિદુરજી મહાન ભક્ત છે. કૌરવો નું રક્ષણ –વિદુરજી નું -પુણ્ય -કરે છે. કૌરવો ના મંડળ માં જો વિદુરજી વિરાજે- તો –કૌરવોનો વિનાશ



થાય નહિ-એટલે પ્રભુજીએ વિદુરજી ને ત્યાંથી –નીકળી જવા પ્રેરણા કરી છે.





-------------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૮૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      



સ્કંધ ત્રીજો-૫ (સર્ગ લીલા)



દુર્યોધને નોકરો ને હુકમ કર્યો કે- આ વિદુરજી ને ધક્કા મારી ને બહાર કાઢી મુકો.



વિદુરજી એ વિચાર્યું-કે આ દૂર્યોધન ના નોકરો ધક્કા મરે તો તેમણે પાપ લાગશે,હું જ સભા છોડી જઈશ. સમજી ને ઘરનો ત્યાગ કર્યો છે.



વિદુરજી ક્ષત્રિય હતા,હાથ માં ધનુષ્યબાણ ધારણ કરતાં હતા. ધનુષ્યબાણ  તેમણે ત્યાં જ મૂકી દીધાં છે.



વિદુરજી સભાની બહાર આવ્યા તો-ચતુર્ભુજ નારાયણ ના દર્શન થયાં. પ્રભુ એ ગાલમાં સ્મિત કર્યું છે- કહે છે-કે-



મેં જ તમારી નિંદા કરાવી છે,મારી ઈચ્છા હવે એવી છે-કે તમે હવે હસ્તિનાપુર માં રહેશો નહિ.હવે તમે તીર્થયાત્રા કરવા જાવ.



વિદુરજી ને પ્રભુ જે ઝૂંપડી માં પધારેલા તેની મમતા લાગી હતી. વિદુરજી કહે છે-બહુ ભટકવાથી મન અશાંત  રહે છે,



મારે તીર્થ માં ભટકવું નથી.પણ આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે-



પ્રભુ ને વંદન કરી તેમની આજ્ઞા મુજબ-વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા છે. ૩૬ વર્ષ સુધી ની યાત્રા કરવા નીકળ્યા છે-



પણ સાથે કંઈ લીધું નથી.



આજકાલ લોકો ૩૬ દિવસની યાત્રાએ નીકળે છે-તો ૩૭ જાતની ચીજવસ્તુઓ સાથે લે છે. પોતાની જરૂરિયાત ની મોટી યાદી બનાવે છે.



અને આ યાદી મુજબ બધું આવી ગયું નહિ? તેની પણ કાળજી રાખે છે.ઘણા તો ડબ્બા ભરીને નાસ્તા જોડે લઇ જાય છે.ગાડી માંજ



તેમણે વધારે ભુખ લાગે છે. ગાડીમાં જ ફાકા મારવાનું ચાલુ કરી દે છે. અપવિત્ર જગા અને ગમે ત્યાં રસ્તામાં ખાવાનું વર્જિત છે.



બહુ જ ભુખ લાગે તો –દૂધ કે ફળ લેવાય.



યાત્રા નો અર્થ છે-યાતિ ત્રાતિ. ઇન્દ્રિયો ને પ્રતિકૂળ વિષયો માંથી હટાવી લઇ,અનુકૂળ વિષયો માં જોડી દેવી –એ જ યાત્રા.



તીર્થયાત્રા તીર્થરૂપ થવા માટે છે. શાસ્ત્ર માં બતાવેલ વિધિ પૂર્વક યાત્રા કરે તો –તે તીર્થ જેવો પવિત્ર થાય છે.



આજકાલ તો લોકો પૈસા બહુ વધે-એટલે યાત્રા ના બહાને-લહેર કરવા નીકળી પડે છે.



મહાપ્રભુજી દુઃખ થી બોલ્યા છે-કે-અતિશય વિલાસી અને પાપી લોકો તીર્થ માં રહેવા જવા લાગ્યા,એટલે તીર્થ નો મહિમા લુપ્ત થયો છે.



યાત્રા કેવી રીતે કરવી ? તેનું વર્ણન ભાગવતમાં છે,પણ તે મુજબ અત્યારના આધુનિક જમાના માં –કોઈ યાત્રા કરે ?તે સવાલ છે.



વિદુરજી અવધૂત વેશે પૃથ્વી ઉપર ફરતા  હતા,જેથી સગાં-સંબંધી તેમને ઓળખી શકે નહિ.પવિત્ર અને થોડું ભોજન લેતા. પ્રત્યેક



તીર્થ માં સ્નાન કરતા,ભૂમિ ઉપર શયન કરતા અને ભગવાન ને પ્રસન્ન કરનારા વ્રતો કરતા.



કાશી,અયોધ્યા,નર્મદા ના કિનારે -,ગંગા ના કિનારે-એવા  અસંખ્ય તીર્થો  માં યાત્રા કરે છે.



કાશી અને ગંગા કિનારો- એ જ્ઞાન ભૂમિ છે.અયોધ્યા વૈરાગ્ય ભૂમિ છે.નર્મદા કિનારો તપોભૂમિ છે.વ્રજ એ પ્રેમભૂમિ છે.



જેનું મન શુદ્ધ છે,તેને યાત્રા કરવાની ખાસ જરૂર નથી,તેને ઘર બેઠાં જ ગંગા છે. તુલસીદાસજી એ કહ્યું છે-કે-



“તુલસી જબ મન શુદ્ધ ભયો-તબ તીર્થ તીર ગયો ન ગયો.”



મન ને શુદ્ધ કરવા તીર્થ યાત્રા ની જરૂર છે,પણ જેનું મન શુદ્ધ જ છે-જેને એક ઠેકાણે બેસીને સેવા સ્મરણ માં આનંદ મળે છે-જેને



ભક્તિનો રંગ લાગ્યો છે-તે તીર્થ યાત્રા કરવા માટે બહુ ભટકે નહિ.બહુ ભટકવાથી મન ચંચળ થાય છે.



વિદુરજી ની યાત્રા અલૌકિક છે. તીર્થો માં ફરતાં ફરતાં-યમુના કિનારે વૃંદાવનમાં આવ્યા છે. વૃંદાવન નો મહિમા બહુ છે.



વિદુરજી તન્મય-ભાવવિભોર થયા છે-અને અનુભવ થયો છે-એક એક લીલા પ્રત્યક્ષ દેખાય છે.



મારા શ્રીકૃષ્ણ ગાયો લઈને યમુના કિનારે આવ્યા છે.લાલાજીની મીઠી વાંસળી સંભળાય છે. આ કદમનું ઝાડ,જેને ટેર કદમ કહે છે, તેના



પર વિરાજેલા શ્રીકૃષ્ણ તમની વહાલી ગાયો ને-તેમના નામ દઈ બોલાવે છે. જે ગાય નું નામ દઈને માલિક બોલાવે તે ગાય ને બહુ



આનંદ થાય છે,તેને ખડ (ઘાસ) ખાવાનું ભાન રહેતું નથી,મોઢામાંથી ખડ નીચે પડે છે, અને ગાય હુંભ-હુમ્ભ કરતી દોડે છે. કદંબ ના



ઝાડ ને ઘેરી ને ગાયો ઉભી છે, તેમનાં મોઢાં ઉંચા છે,માલિકને જોઈ રહ્યા છે, કેટલીક ગાયો લાલા ના પગને ચાટી રહી છે, ગાયો



પરમાત્મા ને મન થી મળી રહી છે,આંખ થી પરમાત્મા ના રૂપ નું પાન કરે છે, આંખથી લાલાને મનમાં ઉતારે છે, શરીર માં રોમાંચ



થયો છે, અને આંચળમાંથી દૂધની ધારા વહે છે.



શ્રીકૃષ્ણ વાંસળી વગાડી કેવળ ગાયોને જ બોલાવતા નથી, આપણને પણ બોલાવે છે. પણ જીવ અભાગિયો છે,તેને પ્રભુને મળવાની



ઈચ્છા થતી નથી.



એક વૈષ્ણવે-શ્રીનાથજી બાવાને પૂછ્યું-કે- એ વખતે ગિરિરાજ ધારણ કરવો હતો એટલે એક હાથ ઉંચો કરેલો પણ હવે હાથ ઉંચો



રાખવાની શી જરૂર છે?



ભગવાને કહ્યું-કે-જીવ –માયારૂપી રમકડાં રમવામાં  માં એવા તન્મય થયા છે-કે મને ભૂલી ગયા છે,



એટલે હાથ ઉંચો કરી તેમણે બોલવું છું.



વિદુરજી વિચારે છે-કે- મારા કરતાં –આ વૃંદાવન નાં પશુઓ શ્રેષ્ઠ છે. પરમાત્મા ને મળવા આતુર થઇ દોડે છે.



આંખો પ્રેમભીની થઇ છે.એવો પ્રસંગ ક્યારે આવશે-કે-હું પણ ગાયો જેમ કૃષ્ણ મિલન માટે દોડીશ?





-----------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૬ (સર્ગ લીલા)



આ બાજુ પ્રભુએ દ્વારિકા નો ઉપસંહાર કરવાનો નિશ્ચય કર્યો છે. પ્રભુ તે વખતે પ્રભાસ માં હતા. ઉદ્ધવ ને ભાગવત-ધર્મ ના જ્ઞાન નો ઉપદેશ કર્યો.અને કહ્યું-ઉદ્ધવ સોના ની દ્વારકા સમુદ્ર માં ડૂબી જશે.તારાથી આ બધો ઉપસંહાર જોવાશે નહિ. તું બદ્રીકાશ્રમ જા.



ઉદ્ધવ કહે છે –કે-મને એકલા જતાં બીક લાગે છે,તમે મારી સાથે આવો. તમે મને છેવટ સુધી સાથ આપો.



શ્રીકૃષ્ણ કહે છે-ઉદ્ધવ તું મને બહુ વહાલો છે,પણ કાયદો ના પાડે છે. જીવ એકલો જ આવે છે- અને એકલો જ જાય છે.



આ સ્વરૂપે હું તારી સાથે નહિ આવી શકું. પણ ક્ષેત્રજ્ઞ રૂપે-ચૈતન્ય રૂપે હું તારા માં જ રહેલો છું. મારું સ્મરણ કરીશ એટલે હું હાજર



થઇ જઈશ.તું એવી હંમેશા ભાવના રાખજે-કે હું તારી સાથે જ છુ.



ઉદ્ધવજી પ્રાર્થના કરે છે-નાથ, ભાવના –આધાર વગર ના થઇ શકે-મને કોઈ એવો આધાર આપો-જેમાં હું તમારી ભાવના કરું.



કૃષ્ણ કહે છે કે-ઉદ્ધવ તે મારી બહુ સેવા કરી છે.અત્યારે હું તને શું આપું ?મારી ચરણપાદુકા લઇ જા.



રામાયણ માં ભરતજી ને અને ભાગવત માં ઉદ્ધવજી ને ચરણપાદુકા –પ્રભુ એ આપી છે.



ઉદ્ધવજી એ ચરણપાદુકા મસ્તક પર ધારણ કરી છે. મસ્તક એ બુદ્ધિપ્રધાન છે.તેમાં પ્રભુ ને પધરાવો તો મનમાં કોઈ વિકાર આવશે નહિ.



જે એકલો ફરે તે દુઃખી થાય છે,પણ પરમાત્મા ને સાથે રાખી ને ફરે છે-તે સુખી થાય છે. પરમાત્મા ને સાથે રાખો તો બધું શક્ય છે,



પરમાત્મા વગર બધું અશક્ય છે.



શુકદેવજી વર્ણન કરે છે-ઉદ્ધવ બદ્રીકાશ્રમ જવા નીકળ્યા છે. રસ્તામાં ઉદ્ધવજીને યમુનાજીનાં-વ્રજભૂમિ નાં દર્શન થયાં.



ઉદ્ધવજીએ યમુનાજી માં સ્નાન કર્યું છે.પરમાનંદ થયો છે.



ઉદ્ધવજી વિચારે છે-આ તો માલિક ની લીલાભૂમિ-નાના હતા ત્યારે અહીં રમ્યા છે. અહીં થોડા દિવસ રહીશ.કોઈ સંત મળશે તો



સત્સંગ કરીશ. કોઈ પ્રભુ નો લાડીલો મળી જાય તો જ બોલવું છે-નહીતર મૌન રાખીશ.



વૃંદાવન માં ગુપ્ત રીતે અનેક સાધુઓ –રાધાકૃષ્ણ ની લીલાઓનાં દર્શન કરતાં આજ પણ ફરે છે.



યમુના કિનારે રમણ રેતી માં વિદુરજી બેઠા છે,પંચકેશ વધ્યા છે,બાલકૃષ્ણ ની માનસી સેવામાં તન્મય છે, અષ્ટાક્ષર મંત્રનો જપ કરે છે.



‘શ્રીકૃષ્ણ શરણં મમ’-આંખમાંથી પ્રેમાશ્રુ નીકળે છે.ઉદ્ધવજી ની દૃષ્ટિ પડી અને ઓળખી ગયા. છત્રીસ વર્ષની યાત્રા માં –વિદુરજી ને



ઓળખાનાર એક ઉદ્ધવ –જ નીકળ્યા. ઉદ્ધવ ને આનંદ થયો –અને ત્યાં રમણ રેતી માં જ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તેજ વખતે –



વિદુરજી એ આંખો ઉઘાડી છે.કહ્યું-મને વંદન કરો તે યોગ્ય નથી. વિદુરજી-ઉદ્ધવ ને વંદન કરે છે.



ઉદ્ધવજી એ વિદુરજી ને ઉઠાવી લીધા છે. બે પરમ વૈષ્ણવો નું મિલન થયું છે.



કોઈ વંદન કરે તે પહેલાં વંદન કરો.વંદન માગે તે વૈષ્ણવ નહિ,સર્વને વંદન કરે તે વૈષ્ણવ.(સકળ લોક માં સહુ ને વંદે)



સંતો નું મિલન કેવું હોય છે?



ચાર મિલે-ચોસઠ ખીલે-વીસ રહે કર જોડ---હરિજન સે હરિજન મિલે –તો બિહસે સાત કરોડ.



(ચાર=ચાર આંખો, ચોસઠ=ચોસઠ દાંતો, વીસ=હાથ પગ ના આંગળા, સાત કરોડ=સાત કરોડ રુંવાટીઓ, હરિજન=હરિના લાડીલા જન)



વિદુર અને ઉદ્ધવ નો દિવ્ય સત્સંગ થાય છે. સાયંકાળે –બંને મળ્યા –આખી રાત કૃષ્ણ લીલાઓ નું –ભગવદવાર્તાઓ નું  વર્ણન



કર્યું છે. શ્રીકૃષ્ણ કથા કરતાં –ઉદ્ધવજી -તન્મય થયા છે. આખી રાત લાલાની વાતો કરી છે.



ઉદ્ધવજી ના જીવન માં આવું જ પહેલાં પણ એક વાર બનેલું.



ઉદ્ધવજી જયારે નંદ-યશોદાને આશ્વાસન આપવા ગયેલા,ત્યારે નંદ –યશોદાએ આખી રાત લાલા ની વાતો કરી હતી.



સવાર થયું-એટલે યમુનામાં સ્નાન કરી ઉદ્ધવજી આવ્યા. અને વિદુરજી ને કહે છે-કે-



મને પ્રભાસ માં પ્રભુએ –ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો અને બદ્રીકાશ્રમ માં જવાની આજ્ઞા આપી છે. તમારાં દર્શન-સત્સંગ થી ઘણો



આનંદ થયો છે,પણ મારે બદ્રીકાશ્રમ જવું છે.મને રજા આપો.



વિદુરજી કહે છે-પ્રભુ એ જે ભાગવતધર્મ નો તમને ઉપદેશ કર્યો-તે સાંભળવાની મને ઈચ્છા છે. હું લાયક તો નથી,પણ પ્રભુએ કૃપા



કરીને –આ- સાધારણ જીવને એક વખતે અપનાવ્યો હતો. આપ મારી ઈચ્છા પરિપૂર્ણ કરો.



વિદુરજી નું દૈન્ય જોઈને ઉદ્ધવજી ને આનંદ થયો છે-કહે છે-તમે ભલે એવું બોલો કે હું લાયક નથી, પણ તમે કોણ છો,તે હું જાણું છું.



વિદુરજી તમે સાધારણ નથી,તમે મહાન છે. વધારે તો શું કહું? મને જયારે ભાગવતધર્મ નો ઉપદેશ કર્યો-ત્યારે મૈત્રેયજી ત્યાં બેઠેલા



હતા,બીજા કોઈને ય નહિ પણ તમને ત્રણ વાર પ્રભુ એ યાદ કરેલા. કહેતા હતા-



“મને બધા મળ્યા પણ મારો વિદુર મને મળ્યો નહિ, મેં એક વખત વિદુરના ઘરની ભાજી ખાધેલી,તેની મીઠાશ હજુ સુધી ભુલાતી નથી.”



વિદુરજી- “મારો” શબ્દ મેં પરમાત્મા ના મુખ માંથી નીકળેલો કદી સાંભળ્યો નથી, પણ તમારાં માટે “મારો વિદુર” એવું બોલેલા.



ભગવાન ને બધાં કહે છે-કે-પ્રભુ હું તમારો છે,પણ જ્યાં સુધી ભગવાન કહેતાં નથી-કે-હું તારો છું. ત્યાં સુધી સંબંધ કાચો.



ભગવાન જેને –મારો- કહે તેનો બેડો પાર છે. ઠાકોરજી બહુ પરીક્ષા કરશે-પછી કહેશે –કે તું મારો છે.



જીવ મંદિરમાં જઈ ભગવાન ને કહેશે –કે-મારું સર્વસ્વ તમને અર્પણ કરું છું,હું તમારો છું. અને ઘેર આવી ને –બબલીની બા ને કહેશે-કે-



હું તારો છું,તારા વિના મને ચેન પડતું નથી.



ભગવાન કહે-કે-બેટા તારું સર્વસ્વ શું છે-તે હું જાણું છું.



ભગવાન ને બધા કહે છે-હું તમારો છું,પણ કોઈ એમ કહેતા નથી-કે હું તમારો છું અને બીજા કોઈનો નથી.



તુલસીદાસ –રામજી સાથે વાતો કરે છે-કહે છે-હું યુવાની માં કામી હતો, મારા જેવા કામી ને “તુલસી મારો છે” એમ કહેતાં –તમને



શરમ આવે તે સ્વાભાવિક છે,પણ નાથ,હું એવું નથી કહેતો કે હું તમારો છું,તમારો ભક્ત છું. પણ હું તો તમારે આંગણે રહેનારો એક કૂતરો છું.મને તમારાં આંગણ માં રહેવા દેજો, મને અપનાવજો.



“તુલસી કુત્તા રામકા,મોતિયા મેરા નામ, કાંઠે દોરી પ્રેમકી,જીત ખેંતો ઉત જાય.” મેં તમારો પટ્ટો (કંઠી) ગળામાં રાખી છે.



વિદુરજી ભાવમય થયા આંખ માં આંસુ આવ્યા છે –ઉદ્ધવ ને કહે છે-મારા ભગવાને મને યાદ કરેલો?



ઉદ્ધવજી કહે છે-વિદુરજી તમે ભાગ્યશાળી છો,પરમાત્મા એ તમારો સ્વીકાર કર્યો છે. ભગવાને એક વખત નહિ પણ ત્રણ વખત તમને



યાદ કરેલા, મૈત્રેયજી ને તેમણે કહેલું –કે-મેં વિદુરજી ના ઘરની ભાજી એક વખત ખાધેલી, હું તેના ઋણ માં છું, બધાને મેં આપ્યું છે,



પણ વિદુરજી ને કાંઇ આપ્યું નહિ, માટે જયારે તમને મારો વિદુર મળે ત્યારે –આ ભાગવતધર્મ નું જ્ઞાન તેને આપજો.



ગંગાકિનારે મૈત્રેયઋષિનો આશ્રમ છે-ત્યાં તમે જાવ.—આમ કહી ઉદ્ધવજીએ બદ્રીકાશ્રમ પ્રતિ પ્રયાણ કર્યું.



ભગવાને –પરમધામ જવાના સમયે-મને યાદ કરેલો-એવું જાણીને,અને ઉદ્ધવજી ના ચાલ્યા જવાથી-



વિદુરજી-પ્રેમથી વિહવળ થઇ રડવા લાગ્યા.





---------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૮૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૭ (સર્ગ લીલા)



દુર્જન નો –સંયોગ- દુઃખ આપે છે, જયારે વૈષ્ણવ નો –વિયોગ-દુઃખ આપે છે.



ઉદ્ધવજી બદ્રીકાશ્રમ પધાર્યા અને વિદુરજી –ગંગા કિનારે આવેલા મૈત્રેયઋષિ ના આશ્રમ તરફ જવા નીકળ્યા.



યમુનાજી એ કૃપા કરી –નવધા ભક્તિનું દાન કર્યું, પણ જ્ઞાન ,વૈરાગ્ય વગર ભક્તિ દૃઢ થતી નથી,



ગંગા જી જ્ઞાન- વૈરાગ્ય નું દાન કરે છે.



યમુનાજી ને વંદન કરી વિદુરજી ગંગા કિનારે આવ્યા છે. ગંગા-કિનારાનો બહુ મોટો મહિમા છે.



ગંગાજી ને વંદન કરી,સ્નાન કર્યું છે.ગંગા કિનારા ના પથ્થરો ઉપર પગ મુકતાં પણ વિદુરજી ને સંકોચ થાય છે. કેવાં કેવાં મહાત્માઓની



ચરણરજ –આ પથ્થરો પર પડેલી હશે!! તે ચરણરજ પર મારાથી પગ કેમ મુકાય ? આ પથ્થરો કેટલા ભાગ્યશાળી છે !!



પથ્થરોને જોતાં-વિદુરજી ને પરમાત્મા યાદ આવે છે.



પ્રત્યેક પદાર્થ ને જોતાં જેને પરમાત્મા યાદ આવે તો સમજવું કે આ છેલ્લો જન્મ છે. વિદુરજી નો આ છેલ્લો જન્મ છે.

દાસબોધ ના છેલ્લા પ્રકરણ માં રામદાસ સ્વામીએ –છેલ્લા જન્મ ના કેટલાંક લક્ષણો બતાવ્યા છે.



જેની બુદ્ધિ માંથી કામ નીકળી જાય, કે જેને બાલ્યાવસ્થા થી જ ભક્તિ નો રંગ લાગે,કે જેને ચોવીસ કલાક ભક્તિ નો રંગ લાગેલો રહે-



તેનો –તે છેલ્લો જન્મ છે,પણ જો કોઈ વખત ભગવતભાવ અને કોઈ વખત સંસારના ભાવ જાગે તો માનવું,કે હજુ જન્મ લેવાનો છે.



હરદ્વાર પાસે-કુશાવર્ત તીર્થ માં મૈત્રેયઋષિનો આશ્રમ છે. આશ્રમ માં આવી વિદુરજી- મૈત્રેયઋષિ ને સાષ્ટાંગ પ્રણામ કરે છે.



મૈત્રેયઋષિ એ તેમનું સ્વાગત કર્યું અને કહે છે-કે- વિદુરજી તમને હું ઓળખું છું.આપ ભલે મને વંદન કરો,પણ તમે મહાન છો.



એક દિવસ એવો આવે છે-કે-જીવ તમારી પાસે હાથ જોડી ને આવે છે. તમે યમરાજા નો અવતાર છે.



માંડવ્યઋષિ ના શાપથી તમારો આ દાસીપુત્ર તરીકે શુદ્ર ને ત્યાં જન્મ થયો છે.



માંડવ્યઋષિ ની કથા એવી છે કે-



એક વખત કેટલાંક ચોરો-રાજાના ખજાનામાંથી ચોરી કરી નાઠા. પાછળ સૈનિકો પડ્યા,એટલે ડરથી, રસ્તામાં આવતા માંડવ્યઋષિ ના



આશ્રમ માં બધું ઝવેરાત ફેંકી –નાસી ગયા. સૈનિકો માંડવ્યઋષિને પકડી રાજા પાસે લાવ્યા-રાજાએ માંડવ્યઋષિ ને શૂળી પર



ચઢાવવાની આજ્ઞા કરી. માંડવ્યઋષિ શૂળીની અણી પર ગાયત્રી મંત્ર નો જાપ કરે છે, ચોવીસ કલાક થયા પણ ઋષિના શરીર માં



શૂળી નો પ્રવેશ થયો નથી. ઋષિ નું દિવ્ય તેજ જોઈ રાજા ને લાગ્યું કે –આ કોઈ ચોર નથી પણ પવિત્ર તપસ્વી મહાત્મા લાગે છે.



ઋષિ ને શૂળી પર થી નીચે ઉતરાવ્યા.સઘળી હકીકત જાણી,રાજા ને દુઃખ થયું, અને ઋષિ ની માફી માંગે છે.



માંડવ્યઋષિ કહે છે-રાજન,તને ક્ષમા આપીશ –પણ યમરાજને હું માફ નહિ કરું. મેં પાપ નથી કર્યું તો મને આવી સજા કેમ ?



માંડવ્યઋષિ યમરાજના દરબારમાં આવી યમરાજ ને પૂછે છે-મને કયા પાપ ની સજા કરવામાં આવી છે ?



યમરાજા એ જોયું તો ઋષિ ના નામે કોઈ પાપ જમા ના મળે. યમરાજ ગભરાણા છે.યમરાજા એ વિચાર્યું-કે-ભૂલ થઇ છે-એમ કહીશ તો



શાપ આપશે, એટલે કહ્યું છે કે-તમે ત્રણ વર્ષના હતા-ત્યારે એક પતંગિયા ને કાંટો ભોંકેલો-તેની આ સજા છે.



માંડવ્યઋષિ કહે છે-શાસ્ત્ર માં આજ્ઞા છે-કે કોઈ મનુષ્ય અજ્ઞાનાવસ્થામાં કાંઇ પાપ કરે તો તેની સજા જાગૃત અવસ્થામાં નહિ,



સ્વપ્નાવસ્થામાં કરવામાં આવે છે. હું બાળક હતો ત્યારે અજ્ઞાન હતો, અને કરેલા પાપ ની સજા સ્વપ્નામાં કરવી જોઈતી હતી,



તમે ગેરવાજબી પણે ખોટી સજા કરી છે, ધર્મરાજા ના પવિત્ર આસન પર બેસવા તમે લાયક નથી, તેથી હું તમને શાપ આપું છું-



કે –જાઓ, શૂદ્રયોનિ માં તમારો જન્મ થાઓ.



આ પ્રમાણે માંડવ્યઋષિ ના શાપ થી –યમરાજા –વિદુર તરીકે દાસી ને ઘેર જન્મ્યા.



વિદુરજી વિચારે છે-એકવાર મારી ભૂલ થઇ અને દેવનો મનુષ્ય બન્યો,હવે હું અસાવધ રહીશ તો પશુ બનીશ. હવે મારા હાથે કોઈ



પુણ્ય ના થાય તો વાંધો નહિ-પણ પાપ તો ના જ થાય. પાપ ના કરે એ જ મહાપુણ્ય છે.

પીપા ભગતે કહ્યું છે-પીપા પાપ ના કીજીએ, તો પુણ્ય કિયા સો બાર.



તે પછી-વિદુરજી-મૈત્રેયજીને અનેક પ્રશ્નો પૂછે છે.



ભગવાન અકર્તા હોવાં છતાં-કલ્પ ના આરંભ માં આ સૃષ્ટિ ની રચના તેમણે કેવી રીતે કરી ?



સંસારના લોકો સુખ માટે પ્રયત્ન કરે છે પણ ના તેમણે સુખ મળે છે-કે ના તેમના દુઃખ દૂર થાય છે.



આનો જવાબ મળે એવી  કથા કહો. તેમજ ભગવાન ની લીલા ઓનું વર્ણન કરો.





-----------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૮ (સર્ગ લીલા)

મૈત્રેયજી એ કહ્યું-સૃષ્ટિની ઉત્પત્તિ ની કથા (સર્ગ સિધ્ધાંત) –ભાગવત માં વારંવાર આવે છે.



તત્વ દૃષ્ટિ થી જગત (સૃષ્ટિ) ખોટું છે. તેથી જગત નો બહુ વિચાર આપણા ઋષિઓ એ કરેલો નથી. પણ જગત (સૃષ્ટિ)



જેને બનાવ્યું છે,જેના આધારે જગત રહેલું છે –તે પરમાત્મા નો વારંવાર –બહુ વિચાર કર્યો છે.



નિરાકાર –પરમાત્માને રમવા ની “ઈચ્છા” થઇ. પરમાત્મા ને “માયા” નો સ્પર્શ થયો. એટલે “સંકલ્પ” થયો. કે-



હું એક માંથી અનેક થાઉં-ત્યારે-પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન થયું.



પ્રકૃતિ-પુરુષ માંથી-મહત્ તત્વ (બુદ્ધિ). અને મહત્ તત્વ માંથી અહંકાર.



અહંકાર ના ત્રણ પ્રકાર છે-



વૈકારીક (સાત્વિક)—ભૂતાદિ (તામસિક)—તેજસ (રાજસિક).



આ પાંચ તન્માત્રા ઓ માંથી પંચમહાભૂતો ની ઉત્પત્તિ થઇ.



પણ આ બધાં તત્વો કંઈ –ક્રિયા- કરી શક્યાં નહિ. એટલે તે એક એક તત્વ માં પ્રભુ એ પ્રવેશ કર્યો.



(આ જ વસ્તુને વધુ સરળતાથી –ઉદાહરણ થી સમજાવવા કહે છે!!!?)



ભગવાન ની- નાભિ -માં થી કમળ ઉત્પન્ન થયું. તેમાંથી બ્રહ્મા પ્રગટ્યા. બ્રહ્માજી એ કમળ નું મૂળ(મુખ) શોધવા પ્રયત્ન કર્યો.



ત્યાં ચતુર્ભુજ નારાયણ ના દર્શન થયાં. ભગવાને –બ્રહ્માજીને કહ્યું-તમે સૃષ્ટિની રચના કરો.



બ્રહ્માજી એ કહ્યું-હું રચના કરું-પણ રચના થયા બાદ –મેં આ રચના કરી છે-એવું મને અભિમાન –ના આવે તેવું વરદાન આપો.



પ્રભુ એ વરદાન આપ્યું.



બ્રહ્માજી એ તેમની રચના-ઋષિ ઓ ને-કહ્યું-તમે પ્રજા ઉત્પન્ન કરો. પણ ઋષિઓ કહે છે-અમને ધ્યાન માં આનંદ આવે છે.



બ્રહ્માજી વિચારે છે-આ સંસાર કેવી રીતે આગળ વધે ? મારે જગત માં કંઈ આકર્ષણ રાખવું જોઈશે.



આથી તેમણે –કામ-ની રચના કરી.(કામ ને ઉત્પન્ન કર્યો).



કામ –આમતેમ જોવા લાગ્યો-અને ઋષિઓ ના હાથમાંથી માળા પડી ગઈ.



બ્રહ્માજી હસવા લાગ્યા-હવે કોઈને કહેવું પડશે નહિ કે પ્રજા ઉત્પન્ન કરો.



આ –કામ- ને લીધે- મોહ ઉત્પન્ન થયો.



બ્રહ્માજી ના જમણા અંગ માંથી –સ્વયંભુ મનુ- ને ડાબા અંગ માંથી –શતરૂપા રાણી-પ્રગટ થયા.



(ભાગવત માં જે-જે-નામ  આપવામાં આવ્યા છે-તે તે  ઘણું બધું કહી જાય છે-જરા વિચાર કરવો પડે)



બ્રહ્માજી એ તેમને કહ્યું-તમે મૈથુન ધર્મ(કામ) થી પ્રજા ઉત્પન્ન કરો.



ધરતી(પૃથ્વી) –તે વખતે પાણી ની અંદર ડૂબેલી હતી. (દૈત્યો પૃથ્વીને રસાતાળ લોક માં લઇ ગયા હતા).



મનુ મહારાજ બોલ્યા-હું પ્રજા ઉત્પન્ન કરું,પણ તે પ્રજા ને રાખું ક્યાં ?



એટલે બ્રહ્માજી એ પરમાત્મા નું ધ્યાન કર્યું.



બ્રહ્માજી ને તે વખતે –છીંક- આવી. અને નાસિકા માંથી –વરાહ ભગવાન (પહેલો અવતાર) પ્રગટ થાય છે.



વરાહ ભગવાન પાતાળ માં ગયા છે અને ધરતી (પૃથ્વી) ને બહાર લઇ આવ્યા છે.



રસ્તામાં હિરણ્યાક્ષ નામનો રાક્ષસ મળ્યો-તેને વરાહ ભગવાને માર્યો છે.



અને પૃથ્વી નું રાજ્ય-મનુ મહારાજ ને અર્પણ કર્યું. અને કહ્યું-કે-તમે- ધર્મ-થી ધરતીનું પાલન કરો.



વરાહ નારાયણ –વૈકુંઠ લોક માં પધાર્યા છે.



વિદુરજી કહે છે-આપે બહુ સંક્ષેપ માં કથા સંભળાવી. આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની ઈચ્છા છે. આ કથાનું રહસ્ય કહો.



આ હિરણ્યાક્ષ કોણ હતો ?ધરતી રસાતાળ માં કેમ ડૂબી હતી ? વરાહ નારાયણ નું ચરિત્ર મને સંભળાવો.



મૈત્રેયજી-વિદુરજી ને અને શુકદેવજી –પરીક્ષિત ને –



આ દિવ્ય કથા સંભળાવે છે.



એક અધ્યાય માં હિરણ્યાક્ષના પૂર્વ જન્મ ની કથા છે. તે પછી ચાર અધ્યાય માં વરાહ નારાયણ ના ચરિત્ર નું વર્ણન કર્યું છે.





------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

     



સ્કંધ ત્રીજો-૯ (સર્ગ લીલા)



કશ્યપ- અગ્નિહોત્રી તપસ્વી ઋષિ છે. અને હંમેશા યજ્ઞશાળામાં અગ્નિ સમક્ષ વિરાજતા હતા. દિતિ-કશ્યપઋષિ નાં ધર્મપત્ની છે.



એક વખત –સાયંકાળે-શણગાર સજી –દિતિ –કામાતુર બની-કશ્યપઋષિ જોડે આવ્યા છે.



કશ્યપઋષિ કહે છે-દેવી આ સમય-કામાધીન-થવા માટે- યોગ્ય નથી. જાવ જઈને ભગવાન પાસે દીવો કરો.



મનુષ્ય હૈયા માં અંધારું છે. વાસના એ અંધારું છે.સ્વાર્થ એ અંધારું છે.કપટ એ અંધારું છે. પ્રભુ પાસે દીવો કરશો-તો હૈયા માં



અજવાળું થશે. અંતરમાં પ્રકાશ કરવાનો છે.



આગળ દશમ સ્કંધ માં લાલા ની કથા આવશે.-



ગોપીઓ યશોદા આગળ –લાલા ની ફરિયાદ કરે છે-કે કનૈયો અમારું માખણ ખાઈ જાય છે. યશોદા કહે છે-તમે અંધારામાં માખણ



રાખો,જેથી કનૈયો દેખે નહિ. ત્યારે ગોપીઓ કહે છે-કે-અમે અંધારામાં માખણ રાખ્યું હતું-પણ-કનૈયો આવે ત્યારે અજવાળું થાય છે.



એનું શ્રીઅંગ દીવા જેવું છે.તેજોમય છે.



ઈશ્વર સ્વયં-પ્રકાશ છે.ઈશ્વરને દીવા ની જરૂર નથી-દીવા ની જરૂર મનુષ્ય ને છે.



સાયંકાળે –સૂર્ય અસ્ત માં જવાની તૈયારી માં હોય છે.-તે દુર્બળ હોય છે. ચંદ્ર ઉદય ની તૈયારી માં છે-તેથી તે પણ દુર્બળ હોય છે.



સૂર્ય –બુદ્ધિ- ના માલિક છે.અને ચંદ્ર –મન- ના માલિક છે. એટલે કે-



સાયંકાળે –મન-બુદ્ધિ- ના –બળ- ઓછાં હોય છે.ત્યારે -કામ –મન-બુદ્ધિ  માં પ્રવેશ કરે છે.



બ્રાહ્મણો- સાયંકાળે-સંધ્યા કરે.વૈષ્ણવો-ઠાકોરજી પાસે દીવો કરી –પ્રભુ ના નામ નું કિર્તન કરે.



શાસ્ત્ર માં કહ્યું છે-કે સૌભાગ્યવતી સ્ત્રી માં લક્ષ્મી નો અંશ છે. સાયંકાળે લક્ષ્મી નારાયણ  ઘેર આવે છે.



એટલે સૌભાગ્યવતી સ્ત્રી-કોઈ દિવસ સૂર્ય ના અસ્ત પછી બહાર ફરે નહિ. સાયંકાળે તુલસીની પૂજા કરો,દીવો કરો.ધુપદીપ કરો.



કશ્યપઋષિ દિતિ ને સમજાવે છે કે--દેવી, અત્યારે પ્રદોષ કાળ છે. પ્રદોષ કાળ માં શિવ પૂજન થાય છે. ભગવાન શંકર –આ સમયે-



જીવ માત્ર ને નિહાળવા જગતમાં ભ્રમણ કરે છે. સાયંકાળે સ્ત્રીસંગ થી શંકરનું અપમાન થાય –તેથી અનર્થ થાય.



દિતિ કહે છે-કે મને તો ક્યાંય શંકર દેખાતા નથી. કશ્યપ કહે છે-દેવી તમે કામાંધ છો-એટલે તમને શંકર દેખાતા નથી.



એક ભક્તે શંકરદાદાને ને પૂછ્યું-તમે શરીર પર ભસ્મ કેમ ધારણ કરો છો?



શિવજી એ કહ્યું-હું સમજુ છું કે શરીર એ ભસ્મ છે.(ભસ્માન્તમ શરીરમ)



ભસ્મ ધરી શિવજી –જગતને વૈરાગ્ય નો બોધ કરે છે. શરીર રાજાનું હોય કે રંક નું હોય-તેની ભસ્મ બનવાની છે.



સ્મશાન ની ભસ્મ –શરીરની નશ્વરતા નો ખ્યાલ આપે છે.



ગૃહસ્થાશ્રમ વિલાસ માટે નથી-પણ વિવેક થી કામસુખ ભોગવી –કામ નો નાશ કરવા માટે છે, ગૃહસ્થાશ્રમ નિયમ થી કામ નો



વિનાશ કરવા માટે છે. કામ એવો દુષ્ટ છે-કે એક વાર હૃદય માં ઘર કરી ગયો પછી તે જલ્દી નીકળતો નથી.



કોઇ જ ડહાપણ પછી ચાલતું નથી.



કામ -દૂરથી જુએ છે-કે કોના હૃદય માં શું છે ? જેના હૃદય માં રામ હોય તો કામ ત્યાં આવી શકતો નથી.



માટે જીવન એવું સાદું અને પવિત્ર ગાળો કે –કામ ને મન-બુદ્ધિ માં પ્રવેશ કરવાનો અવસર જ ન મળે.



આ શરીર કેવું છે? તેની જરા કલ્પના કરો-વિચારો ......તો કદાચ શરીરસુખ ભોગવવામાં ધિક્કાર છૂટે –વૈરાગ્ય આવે.



આ શરીર માં આડાંઅવળાં હાડકાં ગોઠવી દીધેલા છે,તેને નસો થી બાંધ્યા છે,તેના પર માંસના લોચા મારીને



ઉપર ચામડી મઢી દીધી છે.



ઉપર ચામડી છે-એટલે અંદરનો મસાલો દેખાતો નથી,જો ચામડી કાઢી નાખવામાં આવે તો શરીર જોવાની ઈચ્છા પણ થતી નથી.



જોતાં જ ધૃણા થાય છે.



રસ્તામાં કોઈ હાડકાં નો ટુકડો જોવામાં આવે –તો તેને કોઈ અડકતું પણ નથી, પણ દેહમાં રહેલા હાડકાં ને આપણે પ્રેમ કરીએ છીએ.



આ આપણે સમજી શકતા નથી –એના જેવી મૂર્ખતા બીજી કઈ હોઈ શકે ?



શરીર નું સુખ એ આપણું સુખ નથી, આત્મા થી શરીર જુદું છે. શરીર માંથી પ્રાણ નીકળી ગયા પછી –તેને જોતાં બીક લાગે છે.



નારી-સ્તન ભર નાભિ-નિવેશમ, મિથ્યા માયા મોહાવેશમ,



એતાન્માંસ વસાદિ વિકારમ, મનસિ વિચારય વારંવારમ-



ભજ ગોવિન્દમ-ભજ ગોવિન્દમ મૂઢમતે....



નારીનાં સ્તનો અને નાભિ-નિવેશ માં મિથ્યા મોહ ના કર.એ તો માંસ મેદ નો વિકાર જ છે. મન માં આનો વારંવાર વિચાર કર.



ભાગવત માં તો એક જગ્યાએ કહ્યું છે-આ શરીર એ-શિયાળ-કુતરાં નું ભોજન છે. અગ્નિસંસ્કાર ના થાય તો-શિયાળ-કુતરાં તેને ખાય છે.



એવા શરીર પર નો મોહ છોડો.



દિતિ- એટલે –ભેદ બુદ્ધિ- સર્વમાં નારાયણ છે-એવો અભેદ- ભાવ રાખે તો પાપ થાય નહિ.



દિતિએ કશ્યપ નું માન્યું નહિ. દિતિ દુરાગ્રહી છે. (પિતા દક્ષ ની જેમ).કશ્યપ દિતિ ના દુરાગ્રહ ને વશ થયા. દિતિ સગર્ભા થયા છે.



પાછળથી દિતિ ને પોતાની ભૂલ સમજાઈ,પસ્તાયાં છે,પશ્ચાતાપ થયો, શિવજી ની પૂજા કરી ક્ષમા માગી છે.



કશ્યપે –દિતિ ને કહ્યું-અપવિત્ર સમયે તમારા પેટમાં ગર્ભ રહ્યો છે.તેથી તમારાં ગર્ભ માંથી બે રાક્ષસો નો જન્મ થશે.



પોતાના પેટે થી રાક્ષસો અવતરશે –એવું જાણી દિતિ ગભરાઈ ગઈ છે.



કશ્યપ કહે છે-તારાં બાળકો જગતને રડાવશે. તે વખતે પરમાત્મા અવતાર ધારણ કરી તેને મારશે.



દિતિ કહે છે-તો તો મારા પુત્રો ભાગ્યશાળી થશે-પ્રભુ ભલે મારા બાળકોને મારશે-પણ તેમને પ્રભુના દર્શન તો થશે ને !!



કશ્યપે આશ્વાસન આપતા કહ્યું-તારા બે બાળકો ભલે જગતને રડાવશે-પણ તારા પુત્ર નો પુત્ર –મહાન ભગવદભક્ત થશે.



મહાન વૈષ્ણવ થશે અને પ્રહલાદ ના નામ થી ઓળખાશે.......દિતિ ને સંતોષ થયો છે.



એકલો-માત્ર- ઠાકોરજી ની સેવા-સ્મરણ કરે-તે સાધારણ વૈષ્ણવ. પરંતુ-



જેના સંગ માં આવ્યા પછી-સંગ માં આવેલા નો સ્વભાવ સુધરે-ઈશ્વરની સેવા-સ્મરણ કરવવાની ઈચ્છા થાય, સત્કર્મ ની ઈચ્છા થાય-



ભક્તિ નો રંગ લાગે તે –મહાન વૈષ્ણવ.



પ્રહલાદ મહાન વૈષ્ણવ છે.



------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૯૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  

  



સ્કંધ ત્રીજો-૧૦ (સર્ગ લીલા)



દિતિ ને ગર્ભ રહ્યો છે. પુત્રો દેવો ને દુઃખ આપશે-એટલે સો વર્ષ સુધી દિતિ એ ગર્ભ ધારણ કરી રાખ્યો. સૂર્ય-ચંદ્ર નું તેજ ઘટવા લાગ્યું.



દેવો ગભરાયા. દેવો ને શંકા ગઈ-કે આ દિતિ ના પેટમાં કોઈ રાક્ષસો તો આવ્યા નથી ને ?



દેવો બ્રહ્મલોક માં બ્રહ્માજી પાસે આવ્યા છે.અને પૂછ્યું –દિતિના ગર્ભ માં વિરાજેલા –એ છે કોણ ?



બ્રહ્માજી દેવોને –દિતિના પેટમાં કોણ છે –તેની કથા સંભળાવે છે.



“એક વાર મારા માનસપુત્રો સનત-સનકાદિક (ચાર) મારી પાસે આવ્યા. તેઓને પ્રવૃત્તિ ધર્મ ગમેલો નહિ.એ નિવૃત્તિ ધર્મ ના આચાર્ય



થયા છે. તેઓએ કહ્યું-અમે આખું જગત જોઈ લીધું. મેં કહ્યું-તમે વૈકુંઠ લોક ના દર્શન કર્યા ? તો- તે કહે છે-ના –વૈકુંઠલોક ના દર્શન



અમે કર્યા નથી. મેં તેમને કહ્યું-પરમાત્મા નું ધામ આનંદમય છે. જોવાલાયક તો તે પરમાત્માનું –વૈકુંઠધામ છે. વૈકુંઠલોક ના દર્શન –



ના કરે તેનું જીવન વૃથા છે.



તેથી તેઓ વૈકુંઠલોક ના  દર્શન કરવા જાય છે. (ઈશ્વરના દર્શન કરવા જાય છે)



અંતઃકરણ –ચતુષ્ટ્ય- શુદ્ધ થાય ત્યારે જ ઈશ્વરના દર્શન થાય છે.



એક જ અંતઃકરણ ચાર કામ કરે છે. તેથી તેના ચાર ભેદ માન્યા છે.



અંતઃકરણ –જયારે -સંકલ્પ-વિકલ્પ કરે છે-ત્યારે –તેને –મન -કહે છે.



જયારે-તે-કોઈ વિષય નો નિર્ણય કરે છે-ત્યારે તેને –બુદ્ધિ-કહે છે.



જયારે-તે-સત્ય પરમાત્મા નું ચિંતન કરે છે-ત્યારે –તેને –ચિત્ત- કહે છે.



અને જયારે તેનામાં ક્રિયાનું અભિમાન જાગે છે-ત્યારે-તેને-અહંકાર કહે છે.



મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર –આ ચારે ને શુદ્ધ કરો-તો પરમાત્મા ના દર્શન થાય છે.આ ચારેની શુદ્ધિ-બ્રહ્મચર્ય -વગર થતી નથી.



સનતકુમારો બ્રહ્મચર્ય નો અવતાર છે. બ્રહ્મચર્ય ત્યારે સિદ્ધ થાય જયારે –બ્રહ્મનિષ્ઠા-સિદ્ધ થાય.



સનતકુમારો-મહાજ્ઞાની છે-છતાં પોતાને બાળક જેવા અજ્ઞાની માને છે. જ્ઞાન માં અભિમાન ના આવે તેના માટે આવો ભાવ જરૂરી છે.



સનતકુમારો આદિ નારાયણ ના દર્શન કરવા વૈકુંઠમાં જાય છે. એ પછી તો વૈકુંઠ નું વર્ણન કરેલું છે.



રામાનુજાચાર્ય ની આજ્ઞા પ્રમાણે-દક્ષિણ માં કાવેરી નદીના કાંઠે –રંગનાથ નું મંદિર –આ વૈકુંઠ ના વર્ણન ને અનુસરીને બનાવ્યું છે.



બાકી તો ભૂ-વૈકુંઠ (જમીન પરના વૈકુંઠ) માં બદ્રીનારાયણ નું મંદિર-બાલાજી નું મંદિર-શ્રીરંગમ નું મંદિર અને પંઢરપુર ને પણ- વૈકુંઠ



ગણવામાં આવે છે.



આદિનારાયણ નું સ્મરણ કરતાં કરતાં સનતકુમારો વૈકુંઠલોકના છ દરવાજાઓ ઓળંગી ને સાત મા દરવાજે આવ્યા.  સનતકુમારો ને



પ્રભુના દર્શન ની તીવ્ર આતુરતા છે. સાતમે દરવાજે ભગવાન ના દ્વારપાળો જય-વિજય ઉભા હતા –તેમણે અટકાવ્યા.



સનતકુમારોએ કહ્યું-લક્ષ્મી-મા અને નારાયણ-પિતાને મળવા જઈએ છીએ.અમને કોઈને પૂછવાની શી જરૂર ? જયવિજય ને પૂછ્યા વગર



જ સનતકુમારો અંદર જવા લાગ્યા. જય વિજય ને આ ઠીક લાગ્યું નહિ,તેમણે લાકડી આડી ધરી. કહ્યું-મહારાજ,ઉભા રહો,અંદરથી હુકમ



આવશે –તે પછી જવા દઈશું.



સનતકુમારોને દર્શન ની આતુરતા છે-અને જય-વિજય વિઘ્ન કરે છે.



કામાનુજ (કામ નો અનુજ-નાનો ભાઈ)-ક્રોધ-સનતકુમારોને ક્રોધ આવ્યો છે. સનતકુમારો જ્ઞાની છે,જ્ઞાની ઓને બહુ માન મળે-એટલે



કોઈનું અપમાન સહન કરી શકતા નથી. એમણે ક્રોધ આવી જાય છે. કામ પર વિજય મેળવ્યો પણ ક્રોધને આધીન થયા છે.



અતિ સાવધ  રહે તે કામ ને મારી શકે-પણ કામ ના નાના ભાઈ ક્રોધ ને મારવો મુશ્કેલ છે.



છ દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે છે-પણ સાતમે દરવાજે જય-વિજય તેને અટકાવે છે.



યોગ ના સાત અંગો-યમ,નિયમ,આસન,પ્રાણાયામ,પ્રત્યાહાર---ધ્યાન અને ધારણા.(છેલ્લું-અંગ- સમાધિ)



પ્રથમ પાંચ ને –બહિરંગ યોગ કહે છે-અને પછીના ત્રણ ને અંતરંગ યોગ કહે છે.



આ સાત દરવાજા વટાવ્યા પછી-બ્રહ્મ-સાક્ષાત્કાર થાય છે.પરમાત્માના દર્શન થાય છે.(સમાધિ-યોગ નું છેલ્લું અંગ)



ધારણા માં સર્વાંગ નું ચિંતન હોય છે.જયારે ધ્યાન માં એક અંગ નું ચિંતન હોય છે.



જય-વિજય એ કીર્તિ-પ્રતિષ્ઠા(સિદ્ધિ-પ્રસિદ્ધિ) નું સ્વરૂપ છે. એક-કે-સર્વાંગ નું ચિંતન કરવા જતાં સિદ્ધી-પ્રસિદ્ધિ અટકાવે છે.



બદ્રીનારાયણ  જતાં-વિષ્ણુપ્રયાગ આવે છે,ત્યાંથી આગળ ચાલો એટલે જય-વિજય નામના પહાડો આવે છે. તે ઓળંગો એટલે-



બદ્રીનાથ ભગવાન ના દર્શન થાય છે. જય-વિજય ના પહાડો ઓળંગવા કઠણ છે. સાંકડી કેડી પર ચાલવાનું હોય છે.



જરા પગ લપસે તો છેલ્લો વરઘોડો જ નીકળે છે.



------------------------------------------------------------------------------------------







sivohm.com

ભાગવત રહસ્ય-૯૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત

    



સ્કંધ ત્રીજો-૧૧ (સર્ગ લીલા)



જય-વિજય એટલે કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ. કદાચ પૈસાનો મોહ છૂટી શકે છે-અતિસાવધ રહેવાથી કામ ને જીતી શકાય છે.



પણ દ્રવ્યત્યાગ અને કામત્યાગ કર્યા પછી –કેટલાંક મહાત્માઓને-માયા-એ- કીર્તિ માં ફસાવે છે.



સાધુ મહાત્મા ઓ ને થાય છે-કે મારા પાછળ મારો આશ્રમ ચાલે,લોકો મને યાદ કરે.



મોટા મોટા રાજાઓ ને જગત ભૂલી ગયું છે,તો મારી પાછળ મારું નામ રહે તે -આશા રાખવી વ્યર્થ છે.



મઠ-મંદિર અને આશ્રમ ની આસક્તિ –એ ભક્તિ માં વિઘ્ન કરનારી છે.



જ્ઞાની પુરુષો પરમાત્માના દ્વાર સુધી પહોંચે છે-પણ જો કીર્તિ માં ફસાય તો ત્યાંથી નીચે ગબડી પડે છે.



મનુષ્ય ને પણ કીર્તિ-પ્રતિષ્ઠા નો મોહ છૂટતો નથી. ઘરનું નામ આપે છે-અનિલનિવાસ. પણ અનિલભાઈ તેમાં કેટલા દિવસ રહેવાના?



ઘરને ઠાકોરજીનું નામ આપો.



ચેલા ઓ વખાણ કરે એટલે-ગુરુને લાગે કે હું બ્રહ્મ રૂપ થઇ ગયો છું. પછી સેવા-સ્મરણ માં ઉપેક્ષા જાગે-અને પતન થાય છે.



યોગીઓ ને સિદ્ધિ મળે-એટલે તેનો ઉપયોગ કરવાનું મન થાય છે. સિદ્ધિ ના ઉપયોગથી પ્રસિદ્ધિ વધે-એટલે પતન થાય છે.



ક્રોધ કરવાથી સનતકુમારોને ભગવાન ના સાતમાં દરવાજે થી  પાછા વળવું પડ્યું.



સનતકુમારો નો ક્રોધ સાત્વિક છે-(દ્વારપાળો ભગવદદર્શન માં વિઘ્ન કરે છે-તેથી ક્રોધ આવ્યો છે.)



એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધાં.પરંતુ સનતકુમારો ભગવાન ના મહેલ માં દાખલ થઇ શક્યા નહિ.



કર્મ માર્ગ માં વિઘ્ન કરનાર-કામ-છે.-કશ્યપ-દિતિ ને કામે વિઘ્ન કર્યું.



ભક્તિ માર્ગ માં વિઘ્ન કરનાર લોભ છે. જ્ઞાનમાર્ગ માં વિઘ્ન કરનાર ક્રોધ છે.-સનતકુમારોને ક્રોધે વિઘ્ન કર્યું.



એકનાથજી મહારાજે-ભાવાર્થ રામાયણ માં લખ્યું છે-કે-



કામી-લોભી-ને તત્કાળ કદાચ થોડો લાભ થાય છે.કામી,કામસુખ ભોગવે છે અને લોભી પૈસા ભેગા કરે છે-



પણ ક્રોધ કરનાર ને તો કાંઇ મળતું નથી-માટે ક્રોધ છોડવો જોઈએ.



ગીતામાં પણ કહ્યું છે-પુરુષનો નાશ કરનાર ત્રણ નરક ના દ્વાર છે-માટે એ ત્રણ કામ,ક્રોધ અને લોભ નો



(ક્રોધ ની કોઈ વ્યાખ્યા નથી. ક્રોધ એ –કામ અને લોભ ની એક સાઈડ-નિપજ-By product  છે. કામ- એટલે જે પોતાની પાસે નથી તે



પામવાની ઈચ્છા.- અને- લોભ -એટલે પોતાની પાસે જે છે તે નહિ ગુમાવવાની ઈચ્છા. આ બંને ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ આવે છે)



ભક્તિ માર્ગ માં લોભ વિઘ્ન કરે છે.



ઘણા બાબા નો શુટ બનાવવો હોય તો-સો રૂપિયે વારનું કાપડ લાવે –અને ઠાકોરજીના વાઘા માટે દશ રૂપિયે વારનું કપડું લાવે.



ઠાકોરજી માટે ફૂલ લેવા નીકળે –અને ગુલાબ મોંઘુ હોય તો ચાર આના ના કરેણ ના ફૂલ લાવે-પણ જો ઘરવાળીએ કીધું હોય –કે



આજે મારી માટે સારી વેણી લાવજો-તો-ગમે તેટલાં રૂપિયા ખર્ચી વેણી લઇ આવે.



સત્યનારાયણ ની કથામાં પાંચસો નું પીતાંબર પહેરી બેસે-અને જયારે ઠાકોરજી ને પીતાંબર પહેરાવવાનું આવે ત્યારે કહેશે-કે-



પેલું નાડું લાવ્યા હતા તે ક્યાં ગયું ?નાડું (નાડાછડી) લાવજો. ભગવાન કહે છે-બેટા,હમ સબ સમજતે હૈ.હું પણ તને એક દિવસ



લંગોટી પહેરાવીશ. મેં પણ તારા માટે લંગોટી પહેરવા કંદોરાનું નાડું તૈયાર રાખ્યું છે.



આવું બધું ના કરો. લોભ રાખ્યા વગર-ભગવાન ને સારામાં સારી વસ્તુ અર્પણ કરો.



૨૫૨- ભક્તોની વાર્તાઓ માં –જમનાદાસ ભક્તનું એક દ્રષ્ટાંત આવે છે.



જમનાદાસ ભક્ત એક વખત ઠાકોરજી માટે બજારમાં ફૂલ લેવા નીકળ્યા. ફૂલવાળાની દુકાને એક સારું કમળનું ફૂલ જોયું .અને



જમનાદાસજી એ વિચાર્યું કે આ સુંદર કમળ જ ઠાકોરજી માટે લઇ જઈશ.



બરોબર એજ વખતે એક યવનરાજા ત્યાં આવે છે-તેને પોતાની રખાત વેશ્યા માટે ફૂલ જોઈતું હતું.



જમનાદાસ માળીને ફૂલની કિંમત પૂછે છે. માળી પાંચ રૂપિયા કિંમત જણાવે છે. તે જ વખતે યવન રાજા વચ્ચે કુદી પડે છે.



અને કહે-કે હું દશ રૂપિયા આપવા તૈયાર છું. જમનાદાસ માળીને કહે છે-કે હું પચીસ રૂપિયા આપવા તૈયાર છું. પછી તો ફૂલ –લેવા



હરીફાઈ ચાલે છે.જમનાદાસ નો છેવટ ની બોલી-એક લાખ થઇ ગઈ. યવન રાજા વિચારે છે કે-એક લાખ રૂપિયા હશે તો બીજી



સ્ત્રી મળશે. ત્યારે જમનાદાસજી ને મન તો ઠાકોરજી સર્વસ્વ હતા.તેમનો પ્રેમ સાચો-શુદ્ધ હતો. યવન રાજાને તો વેશ્યા તરફ સાચો



પ્રેમ નહોતો-તે તો મોહ હતો.



પોતાની સઘળી મિલકત વેચીને –એક લાખ રૂપિયા કિંમત આપી-ફૂલ ખરીદી-ઠાકોરજીની સેવામાં અર્પણ કરે છે.



ઠાકોરજી ના માથા પરથી આજે મુગુટ નીચે પડી જાય છે. ભગવાન તે દ્વારા બતાવે છે-કે-ભક્તના આ કમળ નું વજન



મારાથી સહન થતું નથી.



સનતકુમારોએ ક્રોધ માં –જય-વિજય ને શાપ આપ્યો છે. કહે છે-



ભગવાન સર્વમાં સમભાવ રાખે છે. પણ તમારા માં વિષમતા છે. અમને સાધારણ બાળકો સમજી ને અટકાવો છો. અમારી લાયકાત



ના હોત તો અમે અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત ? વિષમતા તો રાક્ષસો કરે છે. માટે જાવ તમે રાક્ષસો થાવ.



દૈત્ય કુળ માં તમારે ત્રણ વખત જન્મ લેવા પડશે.



---------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૯૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત   

 



સ્કંધ ત્રીજો-૧૨ (સર્ગ લીલા)



સનતકુમારો(સનકાદિ) ઋષિઓ એ જય-વિજય ને શાપ આપ્યો. ભગવાને વિચાર્યું-કે-મારા દ્વારે આવી પાપ કર્યું-તેથી તેઓ મારા ધામ માં



આવવા માટે લાયક નથી. (ભગવાન પ્રથમ પરીક્ષા કરે છે.પછી જ વૈકુંઠ માં આવવા દે છે.) પણ ભગવાન અનુગ્રહ કરીને –બહાર આવી



સનકાદિ ને દર્શન આપે છે. છતાં એમની નજર ધરતી પર છે. નજર આપતા નથી.



સનતકુમારો વંદન કરે છે-પણ ઠાકોરજી નજર આપતા નથી.



જેનાં કપડાં મેલાં હોય-જેનું ચારિત્ર્ય સારું ના હોય તો તેની સામે આપણ ને પણ જોવાની ઈચ્છા થતી નથી.



ભગવાન નજર એટલા માટે નથી આપતા કે-મારો કહેવડાવે છે-અને પાપ છોડતો નથી. મારો પટ્ટો (કંઠી) ગળામાં રાખે છે,



વૈષ્ણવ છે-તેમ કહેવડાવે છે-અને ક્રોધ કરે છે-તને જોતાં મને શરમ આવે છે.



બાકી-જો- અગર ખુદા નજર દે-તો-સબ સુરત ખુદા કી હૈ...........



સનતકુમારો એ જોયું-કે પ્રભુ આજ હસતા નથી-નજર આપતા નથી. પોતાના દોષ (સ્વ-દોષ) નું ભાન થયું. પરમાત્મા ને વંદન કરી



કહ્યુંકે- અમારા અપરાધ ની ક્ષમા કરો,તમારાં પાર્ષદો ને અમે સજા કરી છે-હવે તમે અમને સજા કરો.



‘ જબ લગ નહિ દીનતા,તબ લગ ગિરિધર કૌન ? કૃપા ભઈ તબ જાનિએજબ દિખે અપનો દોષ ‘



સનકાદિ ને સ્વ-દોષ નું ભાન થયું. વિચારે છે-કે પ્રભુ હજી તેમના ધામ માં બોલાવતા નથી,નજર આપતા નથી, અમારે વધુ તપશ્ચર્યા



કરવાની જરૂર છે-હજુ ક્રોધ અમારામાંથી ગયો નથી.---સનકાદિ ત્યાંથી પાછા બ્રહ્મલોક માં પધારે છે.



ગંગાકિનારે માધવરાય ના ચરણ માં બેસીને શ્રીધરસ્વામીએ ટીકા લખી છે. ટીકા પર માધવરાયે સહી કરી છે.



“શ્રીધરસ્વામી એ –જે- લખ્યું છે તે બધું મને માન્ય છે.”



આ પ્રસંગ પર શ્રીધરસ્વામીએ બહુ વિચાર કર્યો છે. કહ્યું છે-કે-



--જે સતત બ્રહ્મચિંતન કરે –તેને ક્રોધ આવે નહિ-સનતકુમારોને ક્રોધ આવે તે અનુચિત છે.(યોગ્ય નથી)



--પ્રભુના પાર્ષદો માં પ્રભુ જેવા જ ગુણો હોય છે-પણ જય-વિજય માં સનતકુમારો ને ઓળખી નહિ શકવાનું અજ્ઞાન અને



   તેમને અટકાવવા -તે અનુચિત છે.



--વૈકુંઠ માં આવનાર નું પતન થતું નથી, પણ જય-વિજય નું વૈકુંઠ માંથી પતન થવું તે અનુચિત છે.



--જય-વિજય એ પ્રભુ ના આશ્રિત છે,આશ્રિત નો ભગવાન ત્યાગ કરે –તે ભગવાન માટે –અનુચિત છે.



આ ચારેય યોગ્ય નથી.



પણ પછી વિચાર કરીને ટીકામાં લખ્યું છે-કે-ના-ના- આ બધું જ બરાબર છે –યોગ્ય છે.



પરમાત્મા ની લીલા-માનવનું આકર્ષણ કરવા માટે છે. ઘણા સમયથી વૈકુંઠ માં નારાયણ આરામ કરતા હતા. તેમણે કુસ્તી કરવાની



ઈચ્છા થઇ. ભગવાન જોડે –વૈકુંઠ માં કોણ કુસ્તી કરી શકે ?



ભગવાને વિચાર્યું-કે-મારા પાર્ષદો –પૃથ્વી પર જાય તો –તેમની સાથે હું કુસ્તી કરી શકું.



તેથી ભગવદ-ઈચ્છા થી જય-વિજય માં અજ્ઞાન આવ્યું છે.



સનતકુમારો ને ક્રોધ આવે નહિ.પણ ભગવદ-ઇચ્છાથી –તેઓ માં ક્રોધ આવ્યો છે.



જયવિજય નું વૈકુંઠ માંથી પતન થયું નથી- ત્રણ જન્મ પછી –ફરી તેમનો વૈકુંઠ વાસ થયો છે.



આ બધું જ ભગવદ-ઈચ્છા થી થયું છે. ભગવાન ને અવતાર લેવાની –ઈચ્છા-થાય –એટલે ભગવાન આવું-કારણ- ઉભું કરે છે.



ભગવાન આપણા માટે લીલા કરે છે. લીલા ની કથા ઓ આપણું કલ્યાણ કરવા માટે છે.



જય-વિજય ને સાંત્વના આપી પ્રભુ કહે છે-કે-



તમારાં ત્રણ અવતારો થશે-(૧) હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ (૨) રાવણ-કુંભકર્ણ (૩) શિશુપાલ-દંતવક્ત્ર



અને તમારો ઉદ્ધાર કરવા-હું પણ અવતાર લઈશ.



સનતકુમારો ના શાપ થી-જય-વિજય, -અનુક્રમે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ –તરીકે અવતર્યા છે.



શુકદેવજી વર્ણન કરે છે-સનકુમારોએ જય-વિજય ને શાપ આપ્યો.તે જ સમયે કશ્યપ-દિતિ નો સંબંધ થયો છે. દિતિ ના ગર્ભ માં



જય-વિજય આવ્યા છે. દિતિ ને બે બાળકો નો જન્મ થયો છે-તેમના નામ રાખ્યા છે- હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુ.



કુસમયે કરેલા કામોપભોગ થી દિતિ-કશ્યપ ને ત્યાં રાક્ષસો નો જન્મ થયો છે.



મહાપ્રભુજી એ –આ ચરિત્ર ની સમાપ્તિ કરતાં કશ્યપ પર ત્રણ દોષો નાંખેલા છે-કર્મત્યાગ-મૌનત્યાગ-સ્થાનત્યાગ.



---------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૯૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૩ (સર્ગ લીલા)



ભાગવત માં વ્યાસજી એ લખ્યું છે-કે- હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ - રોજ ચાર-ચાર હાથ વધતા.



આમ ખરેખર બને તો વિચાર કરો-કે- માતા-પિતાની શું સ્થિતિ થાય ?રોજ નવાં કપડાં જોઈએ,રોજ નવાં બારીબારણાં જોઈએ.



પણ ભાગવત ની આ સમાધિ ભાષા છે,કે જે મુખ્ય ભાષા છે.- લૌકિક ભાષા અહીં ગૌણ છે.



અહીં લોભ નું સ્વરૂપ બતાવ્યું છે. રોજ ચાર-ચાર હાથ વધતા એટલે કે લોભ રોજ ને રોજ વધતો જાય છે. લાભ-થી લોભ-વધે છે.



હિરણ્ય-એટલે સોનું –અને અક્ષ એટલે-આંખો. જેની આંખ માં સોનું –ભર્યું છે –જેને સોનું જ દેખાય છે-તે હિરણ્યાક્ષ.



હિરણ્યાક્ષ –એ સંગ્રહવૃત્તિ- લોભ છે. તેને ભેગું કર્યું –અને હિરણ્યકશિપુ એ ભોગવ્યું. એટલે તેનો ભોગવૃત્તિ –લોભ છે.



આ લોભ ને જીતવો –એ-બહુ મુશ્કેલ કામ છે.



ભગવાન ને આ લોભ –(હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ) ને મારવા બે અવતાર લેવા પડ્યા છે.



હિરણ્યાક્ષ ને મારવા-વરાહ અવતાર અને હિરણ્યકશિપુ ને મારવા નૃસિંહ અવતાર.



કામ  (રાવણ-કુંભકર્ણ) ને મારવા –એક જ રામજી નો અવતાર.અને



ક્રોધ  (શિશુપાલ-દંતવક્ત્ર) ને મારવા –એક જ કૃષ્ણાવતાર.



લોભ –જેમ જેમ વધે તેમ તેમ –ભોગ- વધે છે. ભોગ વધે તેમ પાપ વધે છે.



જ્યારથી લોકો એમ માનવા લાગ્યા કે-કેવળ પૈસાથી જ સુખ મળે છે-ત્યારથી જગતમાં પાપ બહુ વધી ગયું છે.



પૈસા થી થોડી સગવડતા મળે છે,પણ શાંતિ મળતી નથી. શાંતિ –સંતોષ થી મળે છે.



આ પૃથ્વીની –બધી જ સંપત્તિ અને ભોગસામગ્રી –કોઈ એક જ વ્યક્તિ ને આપવામાં આવે તો –પણ તેને શાંતિ મળશે નહિ.



કામ –વૃદ્ધાવસ્થામાં શરીર ક્ષીણ થાય - કામ જાય અને ડહાપણ આવે-–એમાં શું ગઢ જીત્યો ?(યુવાની માં કામ જીતવાનો છે)



ક્રોધ- વૃદ્ધાવસ્થામાં –ડોસાને કોઈ ગણકારે નહિ-પછી ક્રોધ જાય એમાં શું નવાઈ ? પણ



લોભ-તો વૃદ્ધાવસ્થામાં યે છૂટતો નથી, સંતોષ થતો નથી.



લોભ સંતોષ થી મરે છે. પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ હશે તો લોભ મરશે.



વિચારો-કે-દુનિયાના ઘણા જીવો કરતાં આપને સુખી છીએ. ઘણા જીવો ને તો ભોજન ના પણ સાંસાં હોય છે.



ઈશ્વરે આપણી લાયકાત કરતાં વધારે સુખ સંપત્તિ આપ્યાં છે-એમ માનશો તો સંતોષ થશે અને શાંતિ આવશે.



વરાહ ભગવાન –એ સંતોષ નો અવતાર છે-યજ્ઞ (સત્કર્મ) નો અવતાર છે.(યજ્ઞાવતાર)



સત્કર્મ ને –યજ્ઞ- કહે છે (ગીતા).જે દિવસે તમારે હાથે સત્કર્મ થાય-શ્રેષ્ઠ કર્મ થાય-તે દિવસ –યજ્ઞ-નો-કે- શ્રેષ્ઠ દિવસ છે.



વરાહ=વર+અહ-જ્યાં-વર=શ્રેષ્ઠ અને અહ=દિવસ.



શ્રેષ્ઠ દિવસ એ સત્કર્મ નો(યજ્ઞ નો) દિવસ છે. સત્કર્મ માં(યજ્ઞ માં)- વિઘ્ન –કરનારો-હિરણ્યાક્ષ-લોભ- છે.



મનુષ્ય ના હાથે સત્કર્મ થતું નથી-કારણ તેને એમ લાગે છે-કે-પ્રભુ એ મને બહુ ઓછું આપ્યું છે.(બહુ મેળવવાનો લોભ છે-સંતોષ નથી)



વરાહ ભગવાને-પૃથ્વી-જે સમુદ્ર માં ડૂબેલી હતી-તેને સમુદ્ર માંથી બહાર કાઢી. પરંતુ પૃથ્વીને પોતાની પાસે રાખી નથી.



પૃથ્વી-મનુને-એટલે –મનુષ્યોને –સોંપી. જે પોતાની પાસે આવ્યું તે બીજા ને આપી દીધું.



વરાહ નારાયણ –એ સંતોષ નું સ્વરૂપ છે. (હિરણ્યાક્ષ લોભનું સ્વરૂપ છે)



વરાહ ભગવાન યજ્ઞાવતાર  છે-યજ્ઞ ના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ (સત્કર્મ) કરવાથી-લોભ વગેરેનો નાશ થઇ-મનશુદ્ધિ- ચિત્તશુદ્ધિ થાય છે.



ચિત્તશુદ્ધિ થાય એટલે જ્ઞાન-બ્રહ્મવિદ્યા-કપિલમુનિ પ્રાપ્ત થાય. કપિલમુનિ-નો જ્ઞાનાવતાર છે.



હિરણ્યાક્ષ-એક વખત પાતાળ માં ગયો-અને વરુણ જોડે લડવાની તૈયારી કરી.(વરુણ –જળ ના દેવ છે)



વરુણે કહ્યું-તું વરાહ નારાયણ સાથે યુદ્ધ કર. એટલે હિરણ્યાક્ષ –વરાહ નારાયણ જોડે યુદ્ધ કરવા આવ્યો.



મુષ્ટિપ્રહાર કરી વરાહ ભગવાને હિરણ્યાક્ષ નો વધ કર્યો. અને પૃથ્વી ની સ્થાપના જળ માં કરી. પૃથ્વીનું રાજ્ય મનુ મહારાજ ને



આપીને કહ્યું-ધર્મ થી પૃથ્વીનું પાલન કરો. વરાહ નારાયણ બદ્રીનારાયણ ના સ્વરૂપ માં લીન થયા છે.



સમાજ ને સુખી કરવો-એ-મનુષ્ય માત્ર નો ધર્મ છે-આ આદર્શ વરાહ ભગવાને પોતાના આચરણ થી શીખવ્યો છે.



----------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૪ (સર્ગ લીલા)



ત્રીજા સ્કંધ ના પ્રકરણો ના બે વિભાગ છે. પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા.



પૂર્વમીમાંસા માં વરાહ નારાયણ ના અવતારની કથા કહી. ઉત્તરમીમાંસા માં કપિલ નારાયણ ના ચરિત્ર નું વર્ણન છે.



વરાહ એ યજ્ઞાવતાર છે-જયારે કપિલ એ જ્ઞાનાવતાર છે.



જે યજ્ઞ (સત્કર્મ) કરે છે,તેનું અજ્ઞાન દૂર થાય છે. અજ્ઞાન દૂર થાય એટલે જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.



વાદળાં જેમ સૂર્ય ને ઢાંકે છે,તેમ અજ્ઞાન-જ્ઞાનને ઢાંકે છે.વાદળ દૂર થાય એટલે સૂર્ય દેખાય છે.તેમ અજ્ઞાન દૂર થતાં જ્ઞાન દેખાય છે.



યજ્ઞ માં -આહુતિ આપવામાં આવે-તો જ યજ્ઞ થાય(કહેવાય) એવું નથી. પણ-સત્કર્મ--જેવા કે –પરોપકારમાં શરીર ને ઘસાવો-તે યજ્ઞ છે,



કાયા,વાણી,મનથી કોઈને દુભાવવું નહિ તે યજ્ઞ છે,સદા પ્રસન્ન રહેવું તે યજ્ઞ છે,બ્રહ્મચર્યનું પાલન કરવું તે યજ્ઞ છે, મૌન રાખી



ભગવદસ્મરણ કરવું તે પણ યજ્ઞ છે. સત્કર્મ કરતાં-ચિત્ત શુદ્ધ થાય-તો જ્ઞાન અંદરથી સ્ફુરણ પામે છે. અને અંદરથી આવતું આ જ્ઞાન



કદી ભૂલાતું નથી-ટકે છે. જ્ઞાન તો પુસ્તકો દ્વારા પણ મળે છે, પણ પુસ્તકો વાંચવાનું બંધ કરો-ત્યારે જ્ઞાન ભૂલાઈ જાય છે.



માનવ શરીર –એક –ઘડો છે.જેને ઇન્દ્રિયો રૂપી નવ કાણાં પડેલા છે. ઘડામાં કાણાં હોય તો ઘડો ભરાય નહિ. એક એક ઇન્દ્રિયોરૂપી



કાણા માંથી જ્ઞાન વહી જાય છે. આમ ના થાય તે માટે-ઇન્દ્રિયો ને સત્કર્મ માં પરોવી,પ્રભુ માર્ગે વાળો.



જ્ઞાન મેળવવું-કદાચ સહેલું હશે-પણ ટકાવવું અઘરું છે.સમજણ આવે છે-પણ સમજણ માં સ્થિરતા આવતી નથી.



અનેક વાર વિકાર વાસનાના આવેગ માં જ્ઞાન વહી જાય છે. કોણ નથી જાણતું-કે –હંમેશાં સત્ય બોલવું જોઈએ ?



દુકાનદાર પણ સમજે છે-કે સત્ય બોલવું એ ધર્મ છે. પણ જ્યાં- કોઈ ઘરાક આવ્યો-અને લાગે કે થોડું જુઠ્ઠું બોલવાથી ફાયદો થાય એવો



છે-તો દુકાનદાર વિચારે છે-કે-ભલે પાપ લાગે-થોડું જુઠ્ઠું બોલી ફાયદો કરી લેવા દે-મંદિરમાં એક રાજભોગ કરીશું, એટલે પાપ બળી



જશે !!! પણ-એમ કંઈ પાપ બળતા નથી.



જ્ઞાની ઓ ઈન્દ્રિયોને વિષય માં જતી અટકાવે છે,ત્યારે વૈષ્ણવો (ભક્તો) ઈન્દ્રિયોને પ્રભુના માર્ગ માં વાળે છે.



જ્ઞાન ટકતું નથી-તેનું એક કારણ છે-મનુષ્યનું જીવન વિલાસી બન્યું છે, જ્ઞાન બધું પુસ્તકમાં રહ્યું છે-મસ્તક માં રહ્યું નથી.



પુસ્તક વાંચીને મેળવેલું જ્ઞાન –શાંતિ નહિ આપે. અંદરથી પ્રગટ થયેલું જ્ઞાન શાંતિ આપે છે.



પુસ્તકો માં શું છે-તે જાણવા કરતાં-મારા મન માં શું છે તે જાણવું અતિ ઉત્તમ છે.(માટે કોઈ પણ સાધન કરી જ્ઞાનને પ્રગટ કરો)



પુસ્તકોની પાછળ પડે તે વિદ્વાન અને પ્રભુના પ્રેમ માં –પરમાત્માની પાછળ પડે તે સંત.



વિદ્વાન શાસ્ત્ર પાછળ દોડે છે-જયારે શાસ્ત્ર સંત ની પાછળ દોડે છે.



શાસ્ત્રો વાંચીને જે બોલે છે તે વિદ્વાન-જયારે-પ્રભુ ને રિઝાવીને-તેના પ્રેમ માં પાગલ થયેલા- જે બોલે તે સંત.



સંત-પોતાની અંદરની –પ્રેમ ની-ભક્તિની-પોથી વાંચી-પ્રભુ પ્રેરણા થી બોલે છે.



મીરાંબાઈ ના જીવનચરિત્ર માં –ક્યાંય લખ્યું નથી-કે તેમના કોઈ ગુરુ છે-કે-તે કોઈના ઘેર શાસ્ત્રો ભણવા ગયા છે. તેમ છતાં –



મીરાંબાઈ ના મુખમાંથી જે શબ્દ નીકળે છે-એની પાછળ શાસ્ત્રો દોડે છે.મીરાંબાઈ ના ભજન માં જે શક્તિ છે-તે કોઈ સામાન્ય મનુષ્યના



ભજન માં આવે નહિ. મીરાંબાઈ –પ્રભુના પ્રેમ માં તરબોળ થઇ બોલ્યાં છે.



તુકારામ મહારાજ પણ કોઈને ઘેર શાસ્ત્રો ભણવા ગયા નથી.



ગીતાજી માં ભગવાન કહે છે-અર્જુન,જ્ઞાન તારામાં જ છે,(જ્ઞાન બહારથી આવતું નથી,જ્ઞાન અંદરથી પ્રગટ થાય છે, હૃદયમાં સાત્વિક



ભાવ જાગે-મન શુદ્ધ થાય –એટલે –હૃદયમાંથી જ્ઞાન આપોઆપ પ્રગટ થાય છે.)



આમ –પૂર્વમીમાંસા માં –સત્કર્મ કરવાની આજ્ઞા કરી, હવે સંયમથી જ્ઞાન ને કેવી રીતે સંપાદન કરવું તે ઉત્તરમીમાંસા માં



કપિલમુનિ જે ભગવાન નો જ્ઞાનાવતાર છે-તેના દ્વારા બતાવે છે.



ભાગવતમાં જ્ઞાન વિષે નું –આ અગત્યનું પ્રકરણ છે-જેને કપિલ ગીતા પણ કહે છે.



સ્વયંભુવ-મનુ અને રાણી શતરૂપા ને ત્યાં –પાંચ સંતાનો થયાં.



બે પુત્રો-પ્રિયવ્રત અને ઉત્તાનપાદ.અને ત્રણ પુત્રીઓ-આકુતિ,દેવહુતિ,અને પ્રસૂતિ.



તેમાં –આકુતિ-રુચિ ને,દેવહુતિ –કર્દમ ને અને પ્રસૂતિ –દક્ષને પરણાવેલી.



દેવહુતિ નું લગ્ન કર્દમઋષિ જોડે થયેલું, તેમને ત્યાં કપિલ ભગવાન પધારેલા. 



---------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૭

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  



સ્કંધ ત્રીજો-૧૫ (સર્ગ લીલા)



વિદુરજી –મૈત્રેયજી ને કહે છે-કે-આપ કર્દમ અને દેવહુતિ ના વંશ ની કથા કહો. કપિલ ભગવાન ની કથા સાંભળવાની ઈચ્છા છે.



મૈત્રેયજી કહે છે-કે-કર્દમઋષિ જીતેન્દ્રિય છે, એટલે કપિલ ભગવાન (બ્રહ્મ-જ્ઞાન) તેમણે ત્યાં પ્રગટ થયા છે.



કર્દંમ=ઇન્દ્રિયોનું દમનકરનાર-ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર.



ઇન્દ્રિયોના નિગ્રહ થી શરીરમાં સત્વ-ગુણ ની વૃદ્ધિ થાય અને સત્વ-ગુણ ની વૃદ્ધિ થાય એટલે આપોઆપ જ્ઞાન નો ઝરો ફૂટે છે.



સત્વ-ગુણ ની વૃદ્ધિ-સંયમથી,શુદ્ધ આચારથી,શુદ્ધ વિચારથી,શુદ્ધ આહાર થી,ઇન્દ્રિયોના નિગ્રહ થી થાય છે.



લૂલી (જીભ) માગે-તે તેને આપશો નહિ.(ઇન્દ્રિય નિગ્રહ).



લૂલી ને ખાતરી થઇ જાય –કે હું માગું તે મળવાનું નથી- તો તે શાંત થઇ જાય છે.



આ લૂલી માં એકે ય હાડકું નથી-છતાં પણ એ બધા ને નચાવે છે.



ઇન્દ્રિયો-તો નોકર છે,અને તમે માલિક છો. જો માલિક નોકરને આધીન રહે તો તેનું પતન થાય છે.



ઈન્દ્રિયોને જ્યાં જવું હોય ત્યાં તમારે જવાનું નથી-તમારે જ્યાં જવું હોય ત્યાં ઇન્દ્રિયો ને લઇ જાવ.



માનવ નો શત્રુ કોણ ? એના જવાબ માં શંકરાચાર્યજી કહે છે-પોતાની ઇન્દ્રિયો-એ-જ-પોતાનો શત્રુ છે.



કર્દમઋષિ-સરસ્વતી નદીના કિનારે આખો દિવસ તપ કરે છે. સરસ્વતી નો કિનારો એ સત્કર્મ નો કિનારો છે.



તેઓ આદિનારાયણ નું ધ્યાન કરે છે,શરીર –પ્રાણ –મન ને સતત –સત્કર્મ માં પરોવી રાખે છે. એક પળ નવરા બેસતા નથી.



એવો કાર્યક્રમ નક્કી કર્યો છે-કોઈ વિષય માં મન જાય નહિ. દુઃખ સહન કરીને જેણે તપ કર્યું છે,તેઓ જ જગતમાં મહાન થયા છે.



બુધ્ધિપૂર્વક જે –દુઃખ સહન કરે –તેના પાપ બળે છે. તેના પર ભગવાન પ્રસન્ન થાય છે-ભગવાન તેના ત્યાં પધારે છે.



આજકાલ લોકો, એક-બીજા સાથે- ગપ્પાં માર્યા માં સમય વિતાવી દે છે.પણ સમયનો નાશ એ સર્વસ્વ નો નાશ છે.



ભગવાન સર્વ રીતે ઉદાર છે-પણ સમય આપવામાં ઉદાર નથી. ભગવાન અતિશય સંપત્તિ આપે છે,પણ અતિશય સમય આપતા નથી.



કોઈ કહે કે-ભગવાન બે લાખ રૂપિયા આપું-મારું આયુષ્ય –બે –દિવસ વધારી આપો-તો ભગવાન આયુષ્ય વધારશે ?



લક્ષ્ય ને લક્ષમાં રાખો-તો જીવન સફળ થશે. લક્ષ્ય વગરનો આદમી સઢ વગરના વહાણ જેવો છે.



સિદ્ધપુર પાસે કર્દમઋષિ નો આશ્રમ છે.કર્દમઋષિ અતિશય દુઃખ સહન કરીને તપશ્ચર્યા  કરે છે, શરીરમાં હાડકાં જ જાણે બાકી રહ્યા છે.



ઋષિની તપશ્ચર્યા જોઈ પ્રભુ પ્રસન્ન થયા.”મારા માટે બહુ દુઃખ સહન કર્યું” આંખ માંથી હર્ષ ના આંસુ નીકળ્યા છે.



આ આંસુ નું  થયું-બિંદુ સરોવર.



સિદ્ધપુર માં બિંદુ સરોવર-કચ્છ માં નારાયણ સરોવર-દક્ષિણ માં ઋષ્યક પર્વત પાસે, પંપા સરોવર-અને ઉત્તરમાં માન સરોવર.



વ્રજ માં પ્રેમ સરોવર છે. ત્યાં રાધાકૃષ્ણ નું પ્રથમ વાર મિલન થયેલું. મિલન-દર્શન નો એટલો આનંદ થયો કે-



આંખ માંથી પ્રેમ આંસુ-રૂપે બહાર આવ્યો. અને તેનું થયું પ્રેમ સરોવર. આ સરોવરો નો મહિમા છે.



કર્દમ –પ્રભુને કહે છે-કે-તમારાં દર્શન કરવાથી મારી આંખ સફળ થઇ છે. આમ સદાય તમારું દર્શન રહે. તપ માં મને આનંદ આવે છે.



મને સંસાર સુખ ની  કામના નથી, પરંતુ બ્રહ્માજી એ મને લગ્ન કરવાની આજ્ઞા કરી છે, મારે પત્ની જોઈતી નથી,પણ મારે ઘરમાં



સત્સંગ જોઈએ છે.મને એવી સ્ત્રી આપજો કે ભક્તિમાં સાથ આપે,મારા મનમાં કદાચ પણ પાપ આવે તો મને પાપ કરતાં અટકાવે.



પરમાત્મા એ સ્મિત કર્યું અને કહ્યું-મેં બધી તૈયારી રાખી છે.બે દિવસ પછી-મનુ મહારાજ તમારી પાસે આવશે અને પોતાની પુત્રી-



દેવહુતિ તમને આપશે. દેવહુતિ બહુ લાયક છે,તમારો ગૃહસ્થાશ્રમ જગત ને આદર્શરૂપ થશે.



પરમાત્મા એ આજ્ઞા કરી છે-કે-મનુ મહારાજ  કન્યા લઈને આવે ત્યારે બહુ નખરાં કરતા નહિ.



આજકાલ લોકો નખરાં બહુ કરે છે-કે-મારે પરણવું નથી.



પતિ પત્ની પવિત્ર જીવન ગાળે તો –ભગવાન ને ઈચ્છા થાય કે –હું તેમને ત્યાં જન્મ લઉં.



“હું તમારે ત્યાં પુત્ર તરીકે આવીશ-જગતને મારે સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ કરવાનો છે.” એવું કહી હરિ અંતર્ધ્યાન થયા.



આ બાજુ-નારદજી ફરતા ફરતા મનુ મહારાજ પાસે આવ્યા. મનુ મહારાજ ને ચિતા માં જોઈ પૂછ્યું-આપ શાની ચિંતા કરો છો?



મનુ મહારાજ કહે છે- મારી પુત્રી મોટી થઇ છે -તેના વિવાહ ની ચિંતા છે. નારદજી એ કહ્યું-દેવહુતિ ને બોલાવો.



તેના હાથની રેખા જોઈ-નારદજી એ કહ્યું-કે આ કોઈ રાજાની રાણી થશે નહિ,પણ કોઈ તપસ્વી ઋષિ ની પત્ની થશે.



મનુ મહારાજ કહે છે-મારી પુત્રીની પણ એવીજ ઈચ્છા છે કે-કોઈ તપસ્વી પુરુષ જોડે તેનું લગ્ન થાય. રાજ મહેલ નું આ વિલાસી



જીવન તેને જરા ય ગમતું નથી.રોજ સવારે વહેલી ઉઠી,જપ-ધ્યાન કરે છે.



નારદજી એ કહ્યું-કે –તો તો તમે કર્દમઋષિ ને કન્યાદાન કરો. તે મહાન તપસ્વી છે.



મનુ મહારાજ કહે-પણ તેઓ રાજ કન્યા સથે લગ્ન કરશે ?



નારદજી કહે છે-મેં સાંભળું છે-કે તેમણે લગ્ન કરવાની ઈચ્છા છે,એટલે કરશે.



--------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૯૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૬ (સર્ગ લીલા)



મનુ મહારાજ-રાણી શતરૂપા અને દેવહુતિ સાથે-કર્દમઋષિ ના આશ્રમ માં આવે છે. કર્દમઋષિ ઉભા થયા છે-સ્વાગત કરે છે.



વિચારે છે-પ્રભુ એ કહ્યું હતું તેમ –મનુ મહારાજની પાછળ ઉભેલી જે કન્યા છે-તે મારી પત્ની થવાની છે, પ્રભુએ બહુ વખાણ કર્યા છે,



પણ હું કન્યાની પરીક્ષા કરું.કર્દમ વિવેક થી કન્યા ની પરીક્ષા કરે છે.



કર્દમઋષીએ ત્રણ આસનો પાથર્યા છે,તેના ઉપર બેસવા બધાને કહે છે. મનુ-શતરૂપા આસન પર બેસે છે-પણ દેવહુતિ આસન પર



બેસતા નથી. કર્દમઋષિએ કહ્યું-આ ત્રીજું આસન –દેવી-તમારા માટે છે.



દેવહુતિ બહુ ભણેલાં ન હતાં,પણ સુશીલ છે, સ્ત્રીધર્મને જાણે છે. દેવહુતિ એ વિચાર કર્યો-કે-ભવિષ્ય માં આ મારા પતિ થવાના છે,



પતિએ પાથરેલા આસન પર બેસું તો પાપ લાગશે, અને જો આસન પર ના બેસું તો આસન આપનાર નું અપમાન થશે.



તેથી દેવહુતિ –જમણો હાથ આસન પર રાખી,આસન ની બાજુ માં બેસે છે. જમણો હાથ આસન પર રાખી –બતાવ્યું –કે-મેં આસન નો



સ્વીકાર કર્યો છે,પણ તમે પાથરેલા આસન પર બેસું તે –મારો ધર્મ નથી.



આજકાલ છોકરીઓની પરીક્ષા કરવાની રીત જુદી છે, એવું પણ બને કે છોકરીઓ છોકરાની પરીક્ષા કરે છે. ગમે તે હોય-પણ પ્રશ્નો 



પૂછવાથી-કે વાતો કરવાથી શું પરીક્ષા થાય છે ? પરીક્ષા શીલ ની થાય છે. કે સુશીલતા કેટલી છે ?



કર્દમ વિચારે છે-છોકરી છે તો લાયક.લગ્ન કરવામાં હરકત નથી.



મનુ મહારાજે કહ્યું-કે આ કન્યા હું આપને અર્પણ કરવા આવ્યો છું. કર્દમઋષિ એકદમ સરળ છે.તે છળકપટ જાણતા નથી.



કર્દમઋષિ એ સ્પષ્ટ કહ્યું છે-લગ્ન કરવાની મને ઈચ્છા છે.પણ લગ્ન પહેલાં હું એક પ્રતિજ્ઞા કરવાનો છું. એક પુત્ર ના થાય ત્યાં સુધી



હું લૌકિક સંબંધ રાખીશ.એક પુત્ર થાય પછી હું સંન્યાસ લઈશ.મારે ભોગ પત્ની નહિ,ધર્મપત્ની જોઈએ છે.



લગ્ન ની વિધિ માં –કન્યાદાન ના મંત્ર માં લખ્યું છે-કે-વંશ નું રક્ષણ કરવા –એક-પુત્ર માટે હું કન્યા અર્પણ કરું છું.



માટે...શાસ્ત્ર માં પહેલા –એક-પુત્ર ને –જ-ધર્મ પુત્ર કહ્યો છે. બીજા પુત્રો-સંતાનો-થાય તેને કામજ પુત્રો ગણવા.



કામાચરણ માટે નહિ પણ ધર્માચરણ માટે લગ્ન છે.



પતિ એ –પત્ની માં –પુત્રરૂપે જન્મે છે. એક પુત્ર થાય પછી-પત્ની માતા –જેવી-બને છે. (સંસ્કૃતમાં તેથી પત્ની ને –જાયા-કહે છે.)



તેથી એક પુત્ર થયા પછી –પતિપત્ની તરીકે નો લૌકિક સંબંધ રાખવો નહિ.



કામ-એ-ઈશ્વર ની જેમ –વ્યાપક-થવા માગે છે. સ્ત્રી માં જ્યાં સુંદરતા દેખાય છે-કે-કામ ઉત્પન્ન થાય છે.



આ-કામ-ને –એક જ-સ્ત્રીમાં સંકુચિત કરી-કામ નો નાશ કરવા માટે લગ્ન હોય છે.



લગ્ન ના દિવસે –વર કન્યા માં –લક્ષ્મી નારાયણ ની ભાવના કરવા માં આવે છે.



લગ્ન વખતે બ્રાહ્મણ બોલે છે-શુભ લગ્ન સાવધાન-વર કન્યા સાવધાન.



લગ્ન માં –આ-સાવધાન શબ્દ નો ઉચ્ચાર કરવામાં આવે છે,કારણ બધા જાણે છે-કે-લગ્ન પછી –આ કઈ સાવધાન રહેવાનો નથી.



આ ચેતવણી છે. લગ્ન પહેલાં જ જે સાવધાન થાય અને લગ્ન પછી જે સાવધ રહે –તે જીત્યો.



રામદાસ સ્વામી-લગ્ન પહેલાં સાવધાન થયા હતા.લગ્ન મંડપ માં-જેવા-ગોર મહારાજ સાવધાન બોલ્યા-કે

રામદાસ સ્વામી સાવધ થઇ ગયા-અને લગ્ન મંડપ માં થી નાસી ગયા. (લગ્ન થતાં પહેલાં જ).



લગ્ન કર્યા પછી –પણ -માનવી-સાવધાન રહે તો-લગ્ન એ પુણ્ય છે. ગાફેલ રહે તો પાપ છે.



કામસુખ ભોગવ્યા પછી મનુષ્ય વિવેક રાખે તો-તે કામ નો ત્યાગ કરી શકે છે.



ઋષિઓએ સ્ત્રીને ધર્મપત્ની માની છે. સ્ત્રી એ ભોગ નું સાધન નથી,પણ ધર્મ નું સાધન છે.



ભોગ ની પાછળ રોગ ઉભા જ છે. ભોગ વગર રોગ થાય જ નહિ. હા,કેટલાક રોગ,પૂર્વજન્મના પાપ થી થાય છે, પણ મોટા ભાગના



રોગો આ જન્મ ના ભોગવિલાસ થી થાય છે. ભોગ વધે એટલે આયુષ્ય નો ક્ષય થાય છે.



ભોગો ભોગવાતા નથી- પણ આપણે જ-ભોગવાઈ જઈએ છીએ.



હાલ ના વરરાજાઓ –ઘોડાની બગી-કે મોટર માં બેસવા લાગ્યા છે. તેમને ઘોડા પર થી પડી જવાની બીક લાગે છે.



એક ઘોડો પાડી નાખશે –તેની બીક લાગે છે –તો અગિયાર ઘોડાઓ શું દશા કરશે ? ૧૧ ઘોડાઓ ૧૧ ઇન્દ્રિયો છે.



આ અગિયાર ઇન્દ્રિયો ને કાબુ માં રાખવા લગ્ન છે. જીતેન્દ્રિય થવા માટે લગ્ન છે.



કર્દમઋષિ કહે છે-મારું લગ્ન એક સતપુત્ર ને માટે છે-પછી હું સંન્યાસ લઈશ. આ મારો નિયમ તમારી કન્યાને માન્ય છે ?



દેવહુતિ એ કહ્યું-મને માન્ય છે.મારી ઈચ્છા પણ કોઈ જીતેન્દ્રિય પુરુષ મળે તેવી જ છે.



મનુ મહારાજે વિધિપૂર્વક કન્યાનું દાન કર્યું છે. દેવહુતિ અને કર્દમ ના લગ્ન થયાં. દેવહુતિ કર્દમ ના આશ્રમ માં વિરાજ્યાં છે.



‘આજસુધી હું રાજ કન્યા હતી,પણ હવે હું ઋષિપત્ની થઇ છું. મારા પતિ તપસ્વી છે-તો મારે પણ તપસ્વીની બનવું જોઈએ.’



આમ સમજી-કીમતી વસ્ત્રો-આભૂષણો ઉતારી નાખ્યા છે. પતિ પત્ની બંને એક આશ્રમ માં રહી તપશ્ચર્યા કરે છે.મૌન રાખે છે.



બાર વર્ષ સુધી એક જ ઘરમાં સંયમ થી નિર્વિકાર રહ્યા છે. સંયમ કેવો હોવો જોઈએ?તે કર્દમ પાસેથી શીખવા મળે છે.



---------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૯૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૧૭ (સર્ગ લીલા)



અગિયારસો વર્ષ પૂર્વે-દક્ષિણ દેશમાં વાચસ્પતિ મિશ્ર નામના ઋષિ થઇ ગયા. ષડશાસ્ત્રો પર તેમને લખેલી ટીકાઓ પ્રખ્યાત છે.



ગ્રંથો લખે અને આખો દિવસ તપશ્ચર્યા કરે.લગ્ન થયેલું પણ ૩૬ વર્ષ સુધી જાણતા નહોતા કે –મારી પત્ની કોણ છે ?



એક દિવસ બ્રહ્મસૂત્રના શાંકરભાષ્ય પર ટીકા લખતા હતા.એક લીટી બરાબર બેસતી નહોતી.દીવો થોડો મંદ થયો હતો એટલે



બરોબર દેખાતું નથી.તે વખતે પત્ની આવી દીવાની વાટ સંકોરે છે. વાચસ્પતિ ની નજર તેમના પર પડી-તેઓ પૂછે છે-કે-



દેવી તમે કોણ છો ? પત્ની એ યાદ દેવડાવ્યું-કે ૩૬ વર્ષ પહેલાં નાની ઉમરમાં આપણાં લગ્ન થયેલાં છે. હું તમારી પત્ની છું.



વાચસ્પતિ ને સઘળું જ્ઞાન થાય છે. કહે છે-કે-૩૬ વર્ષ સુધી કંઈ પણ બોલ્યા ચાલ્યા વગર,મારી આટલી સેવા કરી,તારા અનંત



ઉપકાર છે. તારી કંઈ ઈચ્છા છે?



પત્ની કહે છે-મારી કાંઇ ઈચ્છા નથી,જગતના કલ્યાણ માટે શાસ્ત્રોની ટીકા લખો છો, હુ આપની સેવા કરી કૃતાર્થ થઇ.



વાચસ્પતિ નું હૃદય ભરાયું. કાંઇ માગવા કહ્યું,છતાં પત્ની એ કંઇ માગ્યું નહિ.તેમણે પત્ની ને તેનું નામ પૂછ્યું-



જવાબ મળ્યો-ભામતિ. વાચસ્પતિ કહે છે-આજે જે હું બ્રહ્મસૂત્ર ના શાંકરભાષ્ય પર ટીકા લખું છું-તેનું નામ –ભામતિ ટીકા-રહેશે.



આજે પણ એ વેદાંત નો અદભૂત ગ્રંથ ગણાય છે.



આવો હતો ભારત વર્ષ. આવા પુરુષોને –સાચું જ્ઞાન –મળે છે.



બાકી જ્ઞાન બજારમાં મળતું નથી.પુસ્તકો નો આજકાલ બહુ પ્રચાર થયો છે.પણ કોઈના મસ્તક માં –સાચું જ્ઞાન જોવામાં મળતું નથી.



વાતો બધા જ્ઞાન ની કરે છે.પણ પૂર્ણ સંયમ વગર જ્ઞાન આવે નહિ,પરમાત્મા(સત્ય) પ્રગટ થાય નહિ.



કર્દમ એ જીવાત્મા છે-અને દેવહુતિ તે નિષ્કામ બુદ્ધિ છે. નિષ્કામ બુદ્ધિ દેવને બોલાવી શકે છે.



દેવહુતિ પતિની સેવા કરે છે,પતિના મન માં મન મેળવી દીધું છે. પતિ માગે તે પહેલાં જ વસ્તુ હાજર રાખે છે.



લગ્ન નો અર્થ છે --તન-બે –પણ મન એક. ગૃહસ્થાશ્રમ –એ-અદ્વૈત (એક) નું પહેલું પગથિયું છે.



પતિ-પત્ની નો સ્વભાવ એક હોવો જોઈએ.મતભેદ હોય તો બંને ને શાંતિ મળતી નથી.



બંને ના મન એક હોય-બંને નું લક્ષ્ય એક હોય-તો સંસાર દીપે છે....ગૃહસ્થાશ્રમ દિવ્ય બને છે.



અનેક વર્ષો સુધી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું છે. સેવા કરતાં કરતાં દેવહુતિ નું શરીર બહુ દુર્બળ થયું છે, જાણે હાડકાં જ



બાકી રહ્યાં છે. એક દિવસ કર્દમ ની નજર દેવહુતિ પર ગઈ, દેવહુતિ ને કહે છે-દેવી,તમને ધન્ય છે, સર્વ ને પોતાનું શરીર પ્રિય હોય છે,



પણ મારી સેવા કરવામાં તમે શરીર નો મોહ ના રાખ્યો. મારા માટે તમે ઘણું સહન કર્યું, આજે હું પ્રસન્ન છું, તમારે જે માગવું હોય



તે માગો. દેવહુતિ કહે છે-મને કોઈ પણ અપેક્ષા નથી. તમારાં જેવા સમર્થ –ભગવદપરાયણ પતિ મળ્યા પછી શું જોઈએ ?



છતાં કર્દમ આગ્રહ કરે છે-એટલે –દેવહુતિ કહે છે-કે-આપે મારી પાસે પ્રતિજ્ઞા કરી હતી-કે એક બાળક થાય પછી –સંન્યાસ લઈશ.



મારા મન માં એવી ભાવના છે કે –એક બાળક હોય  તો સારું.



કર્દમઋષિ એ આજ્ઞા કરી કે તમે બિંદુ સરોવર માં સ્નાન કરો. હાથ માં પાણી લીધુ અને સો વર્ષની તપશ્ચર્યા નું ફળ અર્પણ કર્યું.



દેવહુતિ નું શરીર બદલાય છે,અલૌકિક શરીર ની પ્રાપ્તિ થઇ છે. સંકલ્પ થી કર્દમ-ત્રણ માળનું વિમાન બનાવે છે, ને પોતે પણ



કામદેવ જેવા સુંદર થઇ વિમાન માં બેઠા. કર્દમ –દેવહુતિ ના કામ-શૃંગાર નું બહુ વર્ણન કર્યું છે.



વક્તા તે શૃંગાર  નું વર્ણન કરે નહિ. કથા મન ને પવિત્ર કરવા માટે છે. શૃંગાર-રસ મન ને બગાડે છે.



કથા માં શાંત અને કરુણરસ પ્રધાન છે,શૃંગાર અને હાસ્યરસ ગૌણ છે. કથામાં કવચિત હાસ્ય અને વીર રસ આવે પણ શૃંગારરસ નહિ.



કથામાં શૃંગારરસ નું વર્ણન કરવાની મહાત્માઓ એ આજ્ઞા આપી નથી.



ગ્રંથ નો ગુહ્યાર્થ કહેવો પણ લૌકિકાર્થ ન કહેવો.



ભાગવત ના બીજા સ્કંધના –સાતમાં અધ્યાય માં કથા કેમ કરવી?-તે બ્રહ્માજીએ નારદજીને બતાવ્યું છે.



આ સો વર્ષ માં કર્દમ-દેવહુતિ ને ત્યાં –નવ કન્યાઓ થઇ.



કહેવાનો મતલબ એવો છે-કે-



નવ કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ ના આવે ત્યાં સુધી કપિલ એટલે જ્ઞાન  ના આવે.



(શ્રવણ-કિર્તન-સ્મરણ-પાદસેવન-અર્ચન-વંદન-દાસ્ય-સખ્ય અને આત્મનિવેદન –આ નવધા ભક્તિ છે.)



(તત્વ દ્રષ્ટિએ –છેવટે જ્ઞાન અને ભક્તિમાં બહુ અંતર નથી. ભક્તિમાં પહેલાં –દાસોહમ-અને પછી-સોહમ થાય છે.)



(સામાન્ય અર્થ કરીએ તો –નવ કન્યાઓના પિતાને –એક એકને પરણાવતાં પછી અક્કલ ઠેકાણે આવે-કે મેં આ શું કર્યું ?)





------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત     



સ્કંધ ત્રીજો-૧૮ (સર્ગ લીલા)



નવ કન્યાઓ ના જન્મ પછી કર્દમ સંન્યાસ લેવા તૈયાર થયા. દેવહુતિ ગભરાયા.



કર્દમ કહે છે-કે મેં તારા પિતાને કહ્યું હતું –કે સંન્યાસ લઈશ.હું કઈ નવી વાત કરતો નથી.



દેવહુતિ કહે છે-નાથ,હું પણ ત્યાગ કરવા તૈયાર છું. પણ આપે પ્રતિજ્ઞા કરેલી કે –એક પુત્રના જન્મ પછી હું સંન્યાસ લઈશ.



તો હજુ પુત્ર નો જન્મ થયો નથી, આ નવ કન્યાઓ અને મારી દેખભાળ કોણ રાખશે ?



(આ પલટણ ઉભી કરી છે-તેને ઠેકાણે પાડજો-અને પછી સંન્યાસ લેજો)



કર્દમ કહે છે-કે-મને ભગવાને વચન આપ્યું છે-હું તારે ત્યાં પુત્ર રૂપે જન્મીશ.-પણ હજુ સુધી તે કેમ પધારતા નથી ?



આપણે વિલાસી જીવન ગાળવા લાગ્યા તે સારું નથી. વિલાસી જીવ થી ભગવાન દૂર રહે છે.



સરસ્વતી ને કિનારે સાદું જીવન જીવી,કંદમૂળ ખાતા હતાં-તેવું સાત્વિક જીવન ગાળીએ તો જ ભગવાન પધારે.



કર્દમ-દેવહુતિ એ વિમાન નો ત્યાગ કર્યો, વિલાસી જીવન નો અંત કર્યો. પછી અનેક વર્ષ સુધી પરમાત્મા નું આરાધન કર્યું.



તે પછી દેવહુતીના ગર્ભ માં સાક્ષાત નારાયણ પધાર્યા છે. પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે.



યોગીઓના અને સાધુઓના આચાર્ય પ્રગટ થવાના છે. કપિલ નારાયણનાં દર્શન કરવા બ્રહ્માદિક દેવો કર્દમ ના આશ્રમ માં આવ્યા છે.



કારતક માસ,કૃષ્ણ પક્ષ અને પંચમી ને દિવસે કપિલ ભગવાન પ્રગટ થયા છે. બ્રહ્માજી એ કર્દમ ને ધન્યવાદ આપ્યા છે.



તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો. બાળકના પગમાં કમળનું ચિહ્ન છે,તેથી માનુ છું –તે ભગવાન નો અવતાર છે.



તમે જગત પિતા ના પણ પિતા બન્યાં છો.

તે- માતા ને નિમિત્ત કરીને-જગતને તત્વજ્ઞાન નો ઉપદેશ કરશે. મા ને સદગતિ આપશે.



કર્દમ કહે છે-દિકરો આવ્યો તેથી આનંદ છે-પણ આ નવ કન્યાની ચિંતા થાય છે.



બ્રહ્મા નવ ઋષિઓને સાથે લાવેલા. એક એક ને એકેક કન્યા વળાવી છે.અત્રિ ને અનસુયા આપી,વશિષ્ઠ ને અરુંધતી આપી..વગેરે...



કર્દમઋષિ એ વિચાર કર્યો કે હવે માથે થી બોજો ઉતરી ગયો. પ્રભુ ની કૃપા અપાર છે.



કપિલ ધીરે ધીરે મોટા થયા. એક દિવસ પિતા –કર્દમ -પુત્ર પાસે આવી સંન્યાસ લેવાની આજ્ઞા માગે છે.



કપિલે કહ્યું-પિતાજી,તમારો વિચાર બહુ સુંદર છે.બહોત ગઈ અને થોડી રહી. સંન્યાસ લઇ તમે પરમાત્માનું ધ્યાન કરો. સંન્યાસ લીધા



પછી –મારી મા નું –કે સંસાર નું ચિંતન કરશો નહિ. હું મારી મા ને સાચવીશ. વૈરાગ્ય થી સન્યાસી દીપે છે.



કર્દમઋષિ એ- ગંગા કિનારે સંન્યાસ લીધો.પરમાત્મા માટે સંસાર ના સર્વ સુખો નો ત્યાગ-એ જ સંન્યાસ.



સંન્યાસ ની વિધિ બરાબર થાય તો જોનાર ને પણ વૈરાગ્ય આવે છે.



પ્રથમ પ્રાયશ્ચિત કરવું પડે છે. જે દિવસે સંન્યાસ લેવાનો હોય –તે દિવસે ગંગા માં ૧૦૮ વાર સ્નાન કરવું પડે છે.



છેલ્લા સ્નાન વખતે-શિખા (ચોટી), સૂત્ર (જનોઈ) અને વસ્ત્રનો પણ ત્યાગ કરવો પડે છે. લંગોટી પણ ફેંકી દઈ –નગ્ન અવસ્થામાં



પાણી ની બહાર આવવું પડે છે. તે પછી બહાર જે કોઈ કુટુંબીજનો આવ્યા હોય-તેમણે વંદન કરવાં પડે છે. પત્ની માં પણ



માતૃભાવ રાખવો પડે છે.પત્ની તે વખતે –પતિ ને વસ્ત્ર આપે છે-પત્ની તે વખતે કહે છે-કે-તમે આજ થી વાસનારહિત થયા છો.



તમને લંગોટી ની જરુર નથી,પણ લોક લજ્જા ના માટે તમે લંગોટી ધારણ કરો.



તે લંગોટી પહેરીને પછી-દેવ,બ્રાહ્મણ,સૂર્ય,અગ્નિ,ગુરુ-આ બધાની સમક્ષ વિરજા હોમ કરવો પડે છે. વેદ ના મંત્રોથી અગ્નિ માં આહુતિ



આપવી પડે છે. અગ્નિ,બ્રાહ્મણ,ગુરુ –સમક્ષ અનેક પ્રતિજ્ઞા ઓ કરવી પડે છે.



“મને કોઈ ભોગ ભોગવવાની ઈચ્છા નથી,મારા મન માં કોઈ વાસના રહી નથી. હું સંસાર સુખ નો ત્યાગ કરું છું.



હું હવે ભગવદમય જીવન ગાળીશ....વગેરે”



એક વાર જેનો ત્યાગ કર્યો- પછી તેનું ચિંતન ન થાય.



પાપ ના ,વાસના ના-સંસ્કાર અતિ દૃઢ હોય છે.મનુષ્ય કેટલીક વાર પાપ-તેના જુના સંસ્કારો ને આધારે કરે છે. 



દુર્યોધન –મહાભારત માં બોલ્યો છે-



‘જાનામિ ધર્મમ ન ચ મેં પ્રવૃત્તિ,જાનામિ અધર્મ ન ચ મેં નિવૃત્તિ--કેનાપિ દેવેન હૃદિ સ્થિતેન યથા નિયુક્તોસિ તથા કરોમિ.’



(હું ધર્મ શું છે –અને અધર્મ શું છે તે જાણું છું પણ તે પ્રમાણે વર્તી શકતો નથી, હૃદયના જુના સંસ્કારો મને પાપ કરાવે છે)



અહીં દેવ શબ્દ નો અર્થ ઈશ્વર નથી પણ  જુના સંસ્કારો (દૈવ્ય) છે.



કર્દમઋષિ મન ને સમજાવે છે.મન ના માને તો તેને પરમાત્મા ના જપમાં રાખે છે. આદિ નારાયણ નું ચિંતન કરતાં કરતાં

ભાગવતી મુક્તિ મળી છે.(પ્રભુ નું ધ્યાન કરતાં કરતાં ભક્ત પ્રભુ બને છે)



-----------------------------------------------------------------------------------------------