Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Tuesday, September 19, 2017

અધ્યાય ૦૧ - શ્લોક ૨૬

અધ્યાય ૦૧ - શ્લોક ૨૬

મૂળ શ્લોક: 
तत्रापश्यत्स्थितान्पार्थः पितृनथ पितामहान् ।
आचार्यान्मातुलान्भ्रातृंपुत्रान्सखींस्तथा ॥ २६ ॥
श्चशुरान्सुहृदश्चैव सेनयोरुभयोरपि ।
શ્લોક ભાવાર્થ: 
એ પછી પૃથાનંદન અર્જુને એ બન્નેય સેનાઓમાં ઊભેલા પિતાઓને, પિતામહોને, આચાર્યોને, મામાઓને, ભાઇઓને, પૌત્રોને તથા મિત્રોને, સસરાઓને અને સુહૃદોને પણ જોયા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
જ્યારે ભગવાને અર્જુનને કહ્યું કે આ રણભૂમિમાં એકઠા થયેલા કુરુવંશીઓને જોમ ત્યારે અર્જુનની દ્રષ્ટિ બન્ને સેનાઓમાં ઊભેલા પોતાના કુટુંબીઓ ઉપર ગઇ. એમણે જોયું કે એ સેનાઓમાં યુદ્ધ માટે પોતપોતાના સ્થાન ઉપર ભૂરિશ્રવા વગેરે પિતાજીના ભાઇ ઊભા છે, જે મારે માટે પિતા સમાન છે. ભીષ્મ, સોમદત્ત વગેરે પિતામહ ઊભા છે. દ્રોણ, કૃપ વગેરે આચાર્યો (વિદ્યા ભણાવનાર અને કુલગુરુ) ઊભા છે. પુરુજિત, કુંતીભોજ, શલ્ય, શકુનિ વગેરે મામાઓ ઊભા છે. ભીમ, દુર્યોધન વગેરે ભાઇઓ ઊભા છે. અભિમન્યુ, ઘટોત્કચ, લક્ષ્મણ (દુર્યોધનનો પુત્ર) વગેરે મારા અને મારા ભાઇઓના પુત્રો ઊભા છે. લક્ષ્મણ વગેરેના પુત્રો ઊભા છે, જેઓ મારા પૌત્રો છે. દુર્યોધનના અશ્વત્થામા વગેરે મિત્રો ઊભા છે. દ્રુપદ, શૈબ્ય વગેરે સસરાઓ ઊભા છે. કોઇ પણ કારણ વગર પોતપોતાના પક્ષનું ભલું ઇચ્છનારા સાત્યકિ, કૃતવર્મા વગેરે સુહ્રદો પણ ઊભા છે.
શ્લોક માહિતી: 
સંબંધ - અગાઉના શ્લોકમાં ભગવાને અર્જુનને કુરુવંશીઓને જોવા માટે કહ્યું. એ પચી શું થયું - એનું વર્ણન સંજય આગળના શ્લોકોમાં કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૪-૨૫

અધ્યાય ૦૧ - શ્લોક ૨૪-૨૫

મૂળ શ્લોક: 
संजय उवाच
एवमुक्तो हृषीकोशे गुडाकेशेन भारत ।
सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् ॥ २४ ॥
भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्
उवाच पार्थ पश्यैतान्समवेतान्कुरूनिति ॥ २५ ॥
શ્લોક ભાવાર્થ: 
સંજય બોલ્યા - હે ભરતવંશી રાજન ! નિદ્રાવિજયી અર્જુને આ પ્રમાણે કહ્યું એટલે અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણએ બન્ને સેનાઓના મધ્યભાગમાં પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણની સામે તથા સઘળાં રાજાઓની સામે શ્રેષ્ઠ રથને ઊભો રાખીને આ પ્રમાણે કહ્યું કે, 'હે પાર્થ ! આ એકઠા થયેલા કુરુવંશીઓને જો.'
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'गुडाकेशेन' - 'गुडाकेश' શબ્દના બે અર્થ થાય છે. - (૧) 'गुडा' ગોળાકારને કહે છે અને 'केश' વાળને કહે છે. જેના માથાના વાળ ગોળાકાર અર્થાત્ ગુચ્છાદાર છે, એનું નામ 'गुडाकेश' છે, (૨) 'गुडाका' નિદ્રાને કહે છે અને 'ईश' સ્વામીને કહે છે. જે નિદ્રાનો સ્વામી છે અર્થાત્ નિદ્રા લે, ચાહે ન લે - એવો જેનો નિદ્રા ઉપર અધિકાર છે, એનું નામ 'गुडाकेश' છે. અર્જુનના વાળ ગુચ્છાદાર હતા અને નિદ્રા ઉપર એનો કાબૂ હતો; આથી એને 'गुडाकेश' કહ્યો છે.

'एवमुक्तः' - જે નિદ્રા-આળસના સુખનો ગુલામ બનતો નથી અને વિષયભોગોનો દાસ બનતો નથી, કેવળ ભગવાનનો જ દાસ (ભક્ત) બને છે, એ ભક્તની વાત ભગવાન સાંભળે છે; માત્ર સાંભળતા જ નથી, એની આજ્ઞાનું પાલન પણ કરે છે. આથી પોતાના મિત્ર ભક્ત અર્જુને આજ્ઞા આપી એટલે ભગવાન શ્રીકૃષ્ણે બન્ને સેનાઓની વચમાં અર્જુનનો રથ ઊભો રાખ્યો.

'हृषीकेशः' - ઇંદ્રિયોને 'हृषीक' કહે છે. જે ઇંદ્રિયોનો ઇશ અર્થાત્ સ્વામી છે, એને ઋષિકેશ કહે છે. પહેલાં એકવીસમા શ્લોકમાં અને અહીં 'हृषीकेश' કહેવાનું તાત્પર્ય એ છે કે મન, બુદ્ધિ, ઇંદ્રિયો વગેરે બધાના પ્રેરક છે અને બધાને આજ્ઞા આપનારા છે, એ જ અંતર્યામી ભગવાન અહીં અર્જુનની આજ્ઞાનું પાલન કરનારા બની ગયા છે. આ એમની અર્જુન ઉપર કેટલી કૃપા છે !

'सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्' - બન્ને સેનાઓની વચમાં જ્યાં ખાલી જગા હતી, ત્યાં ભગવાને અર્જુનના શ્રેષ્ઠ રથને ઊભો કર્યો.

'भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम्' - એ રથને પણ ભગવાને અદ્ભુત ચતુરાઈથી એવી જગાએ ઊભો રાખ્યો, કે જ્યાંથી અર્જુનને કૌટુંબિક સંબંધવાળા આચાર્ય દ્રોણ અને કૌરવસેનાના મુખ્ય-મુખ્ય રાજાઓ સામે દેખાઈ આવે.

'उवाच पार्थ पश्यैतांसमवेतान्कुरूनिति' - 'कुरु' પદમાં ધૃતરાષ્ટ્રના પુત્રો અને પાંડુના પુત્રો - એ બન્ને સમાઇ જાય છે; કેમ કે એ બન્ને કુરુવંશના છે. 'યુદ્ધને માટે એક્ઠા થયેલા આ કુરુના વંશજોને જો' - એવું કહેવાનું તાત્પર્ય એ છે કે કુરુવંશીઓને જોઇને અર્જુનના મનમાં એ ભાવ પેદા થઇ જાય કે અમે બધા એક જ છીએ ને ! આ પક્ષના હોય કે પેલા પક્ષના હોય; ભલા હોય ચાહે બૂરા હોય; સદાચારી હોય ચાહે દુરાચારી હોય; પણ બધા છે તો આપણા જ કુટુંબીઓ. આ કારણે અર્જુનના મનમાં છુપાયેલો કુટુંબની મમતાવાળો મોહ જાગ્રત થઇ જાય અને મોહ જાગ્રત થવાથી અર્જુન જિજ્ઞાસુ બની જાય, જેથી અર્જુનને નિમિત્ત બનાવીને ભાવી કળિયુગના જીવોના કલ્યાણ માટે ગીતાનો મહાન ઉપદેશ આપી શકાય - એ ભાવથી ભગવાને અહીં 'पश्यैतान् समवेतान् कुरून्' કહ્યું છે. નહિતર ભગવાન 'पश्यैतान् धार्तराष्ट्रान् समानिति' - એમ પણ કહી શકત. પરંતુ એવું કહેવાથી અર્જુનના મનમાં યુદ્ધ કરવાનો જુસ્સો આવી જાત, જેથી ગીતાના પ્રાકટ્યનો અવસર જ ન આવત ! અને અર્જુનના મનમાં છુપાયેલો કૌટુંબિક મોહ પણ દૂર ન થાત, જેને દૂર કરવાની ભગવાન પોતાની જવાબદારી માને છે. જેવી રીતે કોઇ ફોલ્લો થાય તો વૈદ્ય પહેલાં એને પકવવાની ચેષ્ટા કરે છે અને જ્યારે એ પાકી જાય, ત્યારે એમાં ચીરો કરીને સાફ કરી કે છે, તેવી જ રીતે ભગવાન ભક્તના મનમાં છુપાયેલા મોહને પ્રથમ જાગ્રત કરીને પછી એને દૂર કરે છે. અહીં પણ ભગવાન અર્જુનના મનમાં છુપાયેલા મોહને 'कुरून् पश्य' કહીને જાગ્રત કરી રહ્યા છે, જેનો આગળ ઉપદેશ આપીને નાશ કરી નાખશે.

અર્જુને કહ્યું હતું કે, 'એમને હું જોઇ લઉ' - 'निरीक्षे' (અ. ૧/૨૨), 'अवेक्षे' (અ. ૧/૨૩); આથી અહીં ભગવાને 'पश्य' ('તું જોઇ લે') - એમ કહેવાની જરૂર જ ન હતી. ભગવાને તો ફક્ત રથ ઊભો રાખવાનો હતો. પરંતુ ભગવાને રથ ઊભો રાખીને અર્જુનના મોહને જાગ્રત કરવા માટે જ 'कुरून् पश्य' (આ કુરુના વંશજોને જો) - એમ કહ્યું છે.

કૌટુંબિક સ્નેહ અને ભગવત્-પ્રેમ એ બેમાં ઘણો ફેર છે. કુટુંબમાં મમતાવાળો સ્નેહ થઇ જાય છે ત્યારે કુટુંબના અવગુણો તરફ નજર જતી જ નથી; પરંતુ 'આ મારા છે' - એવો ભાવ રહે છે. એવી જ રીતે ભગવાનનો ભક્તમાં ખાસ સ્નેહ થઇ જાય છે ત્યારે ભક્તના અવગુણો તરફ ભગવાનની નજર જતી જ નથી. પરંતુ 'આ મારો જ છે' - એવો ભાવ રહે છે. કૌટુંબિક સ્નેહમાં ક્રિયા તથા પદાર્થ (શરીર વગેરે) નું અને ભતવત્-પ્રેમમાં ભાવનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં મૂઢતા (મોહ) નું અને ભગતવ્-પેમમાં આત્મીયતાનું પ્રાધાન્ય રહે છે. કૌટુંબિક સ્નેહમાં અંધારું અને ભગવત્-પેમમાં પ્રકાશ રહે છે. કૌટુંબિક સ્નેહમાં મનુષ્ય કર્તવ્યચ્યુત થઇ જાય છે અને ભગવત્-પ્રેમમાં તલ્લીનતાને કારણે કર્તવ્યના પાલનનું વિસ્મરણ તો થઇ શકે છે, પરંતુ ભક્ત કદીય કર્તવ્યચ્યુત નથી થતો. કૌટુંબિક સ્નેહમાં કુટુંબીઓનું અને ભગવત્-પેમમાં ભગવાનનું પ્રાધાન્ય હોય છે.
શ્લોક માહિતી: 
સંબંધ - અર્જુનના આમ કહેવાથી ભગવાને શું કર્યું - એને સંજય આગળના બે શ્લોકોમાં કહે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૩

અધ્યાય ૦૧ - શ્લોક ૨૩

મૂળ શ્લોક: 
योत्स्यमानानवेक्षेङहं य एतेङत्र समागताः ।
धार्तराष्ट्रस्य दुर्बुद्धीर्युद्धे प्रियचिकीर्षवः ॥ २३ ॥
શ્લોક ભાવાર્થ: 
દુષ્ટબુદ્ધિ દુર્યોધનનું યુદ્ધમાં પ્રિય કરવાની ઇચ્છાવાળા જે જે રાજાઓ આ સેનામાં આવ્યા છે, તે યુદ્ધ કરવા અધીરા બનેલા બધાને હું જોઇ લઉ.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'धार्तराष्ट्रस्य [૧] दुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः' - અહીં દુર્યોધને દુષ્ટબુદ્ધિવાળો કહીને અર્જુન એમ બતાવવા માગે છે કે આ દુર્યોધને અમારો નાશ કરવા માટે આજ સુધી અનેક પ્રકારનાં ષડયંત્રો રચ્યાં છે. અમને અપમાનિત કરવા અનેકવિધ પ્રવૃત્તિઓ કરી છે. નિયમ પ્રમાણે અને ન્યાયની રીતે અમે અરધા રાજ્યના અધિકારી છીએ, પણ એનેય એ હડપ કરી જવા માગે છે અને આપવા માગતો નથી. એવી તો એની દુષ્ટબુદ્ધિ છે; અને અહીં આવેલા રાજાઓ એનું યુદ્ધમાં પ્રિય કરવા માગે છે ! વાસ્તવમાં તો મિત્રોનું એ કર્તવ્ય છે કે તેઓ એવું કામ કરે, એવી વાત બતાવે, જેથી પોતાના મિત્રનું આ લોકમાં અને પરલોકમાં ભલું થાય. પરંતુ આ રાજાઓ દુર્યોધનની દુષ્ટબુદ્ધિને શુદ્ધ નહિ કરતાં ઊલટી એને વધારવા માગે છે અને દુર્યોધનની દુષ્ટબુદ્ધિને શુદ્ધ નહિ કરતાં ઊલટી એને વધારવા માગે છે અને દુર્યોધનને યુદ્ધ કરાવીને, યુદ્ધમાં એને મદદ કરીને એનું પતન જ કરવા માગે છે. તાત્પર્ય એ છે કે દુર્યોધનનું ભલું કઇ વાતમાં છેલ એને કઇ રીતે રાજ્ય પણ મળશે અને એનો પરલોક પણ કઇ રીતે સુધરશે - આ વાતોનો તેઓ વિચાર જ નથી કરી રહ્યા. જો રાજાઓ એને એવી સલાહ આપત, કે ભાઇ ! ઓછામાં ઓછું અરધું રાજ્ય તમે અને પાંડવોનું અરધું રાજ્ય પાંડવોને આપી દો તો એનાથી દુર્યોધનનું અરધું રાજ્ય પણ રહેત અને એનો પરલોક પણ સુધરત.

'योत्स्यमानानवेक्षेङहं च एतेङत्र समागताः' - આ યુદ્ધને માટે ઉતાવળા થનારાઓને જરા જોઇ તો લઉ ! એમણે અધર્મનો અને અન્યાયનો પક્ષ લીધો છે, એટલે એ અમારી સામે ટકી નહિ શકે, નાશ પામશે.

'योत्स्यमानान्' - કહેવાનું તાત્પર્ય એ છે કે એમના મનમાં યુદ્ધની તડપ વધારે આવી રહી છે, એટલે જોઉ તો ખરો કે એ છે કોણ?

અધ્યાય ૦૧ - શ્લોક ૨૧-૨૨

અધ્યાય ૦૧ - શ્લોક ૨૧-૨૨

મૂળ શ્લોક: 
अर्जुन उवाच
सेनायोरुभयोर्मध्ये रथं स्थापय मेङच्युत ॥ २१ ॥
यावदेतान्निरीक्षेङहं योद्धुकामानवस्थितान् ।
कैर्मया सह योद्धव्यमस्मिन् रणमुद्यमे ॥ २२ ॥
શ્લોક ભાવાર્થ: 
અર્જુન બોલ્યા - હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારા રથને આપ ત્યાં સુધી ઊભો રાખો, જ્યાં સુધી હું યુદ્ધભૂમિમાં ઊભા રહેલા આ યુદ્ધની ઇચ્છાવાળાઓને જોઇ ન લઉં કે આ યુદ્ધ રૂપી ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવું યોગ્ય છે.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अच्युत सेनयोरुभयोर्मध्ये रथं स्थापय' - બન્ને સેનાઓ જ્યાં યુદ્ધ કરવાને માટે એકબીજાની સામે ઊભી હતી, ત્યાં એ બન્ને સેના વચ્ચે એટલું અંતર હતું, જેથી એક સેના બીજી સેના ઉપર બાણ વગેરે મારી શકે. એ બન્ને સેનાઓનો મધ્યભાગ બે દ્રષ્ટિએ મધ્યમાં હતો - (૧) સેનાઓ જેટલી પહોળી ઊભી હતી, એ પહોળાઈનો મધ્યભાગ અને (૨) બન્ને સેનાઓનો મધ્યભાગ, જ્યાંથી કૌરવસેના જેટલી દૂર ઊભી હતી. એવા મધ્યભાગમાં રથ ઊભો રાખવા માટે અર્જુન ભગવાનને કહે છે, જ્યાંથી બન્ને સેનાઓને સહેલાઈથી જોઇ શકાય.

'सेनयोरुभयोर्मध्ये' પદ ગીતામાં ત્રણ વાર આવ્યું છે - અહીં આ જ અધ્યાયના ચોવીસમા શ્લોકમાં અને બીજા અધ્યાયના દસમા શ્લોકમાં. ત્રણવાર આવવાનું તાત્પર્ય એ છે કે પહેલાં અર્જુન બહાદૂરીથી પોતાનો રથ બન્ને સેનાઓની મધ્યમાં ઊભો રાખવાની આજ્ઞા આપે છે (અ. ૧/૨૧), પછી ભગવાન બન્ને સેનાઓની વચ્ચે રથ ઊભો રાખીને કુરુવંશીઓને જોવાને માટે કહે છે (અ. ૧/૨૪) અને અંતે તેઓ બન્ને સેનાઓની વચમાં જ વિષાદમગ્ન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે (અ. ૨/૧૦). આ રીતે પહેલાં અર્જુનમાં બહાદૂરી હતી, વચમાં કુટુંબીઓને જોઇને મોહને કારણે એમની યુદ્ધથી ઉદાસીનતા થઇ ગઇ અને અંતમાં એમને ભગવાન દ્વારા ગીતાનો મહાન ઉપદેશ મળ્યો, જેથી એમનો મોહ દૂર થઇ ગયો. આનાથી એ ભાવ નીકળે છે કે મનુષ્ય જ્યાં કંઇ અને જે કોઇ પણ પરિસ્થિતિમાં મુકાયો હોય, ત્યાં જ રહીને તે પ્રાપ્ત પરિસ્થિતિનો સદુપયોગ કરીને નિષ્કામ બની શકે છે અને ત્યાં એને પરમાત્માની પ્રાપ્તિ થઇ શકે છે. કારણ કે પરમાત્મા બધી જ પરિસ્થિતિઓમાં હંમેશા એકરૂપે રહે છે.

'यावदेतान्नितीक्षेङहं ... रणसमुद्यमे' - બે સેનાઓની વચ્ચે રથ ક્યાં સુધી ઊભો રાખે? એ અંગે અર્જુન કહે છે કે યુદ્ધની ઇચ્છાને લઇને કૌરવસેનામાં આવેલા સેનાસહિત જેટલા રાજાઓ ઊભેલા છે, એ બધાને જ્યાં સુધી હું જોઇ ના લઉં, ત્યાં સુધી આપ રથને ત્યાં જ ઊભો રાખો. આ યુદ્ધના ઉદ્યોગમાં મારે કોનીકોની સાથે યુદ્ધ કરવાનું છે? એમાં કોણ મારા જેટલા બળવાળા છે? કોણ મારાથી ઓછા બળવાળા છે? અને કોણ મારાથી વધારે બળવાળા છે? એ બધાને હું જરા જોઇ લઉં.

અહીં 'योद्धुकामान्' પદથી અર્જુન કહી રહ્યા છે કે અમે તો સંધિની વાત જ વિચારી હતી, પણ એમણે સંધિની વાત સ્વીકારી નહીં; કેમ કે એમના મનમાં યુદ્ધ કરવાની વધારે ઇચ્છા છે. એટલે એમને હું જોઉ કે કેટલું બળ લઇને તેઓ યુદ્ધ કરવાની ઇચ્છા રાખે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૦

અધ્યાય ૦૧ - શ્લોક ૨૦

મૂળ શ્લોક: 
अथ व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रांकपिध्वजः ।
प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः ॥ २० ॥
हृषीकेशं तदा वाक्यमिदमाह महिपते । (श्लोक क्रमशः)
શ્લોક ભાવાર્થ: 
હે મહિપતિ ધૃતરાષ્ટ્ર ! હવે જે સમયે શસ્ત્રો ચલાવવાની તૈયારી થઇ રહી હતી તે સમયે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કરવાવાળા રાજાઓ અને એમના સાથીદારોને વ્યવસ્થિત રીતે સામે ઊભેલા જોઇને કપિધ્વજ પાંડુપુત્ર અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ્ય ઉઠાવ્યું અને અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણને આ વચન કહ્યું.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अथ' - આ પદનું તાત્પર્ય એ છે કે હવે સંજય ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદરૂપ 'ભગવદ્ગીતા' નો આરંભ કરે છે. અઠારમા અધ્યાયના ચુંમોતેરમા શ્લોકમાં આવેલા 'इति' પદથી આ સંવાદ પૂરો થાય છે. એવી જ રીતે ભગવદ્ ગીતાના ઉપદેશનો આરંભ એના બીજા અધ્યાયના અગિયારમા શ્લોકથી થાય છે અને અઠારમા અધ્યાયના છાસઠમા ઉપદેશ પૂરો થાય છે.

'प्रवृत्ते शस्त्रसंपाते' - જોકે પિતામહ ભીષ્મે યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો, પરંતુ કેવળ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તેમ છતાં કૌરવો અને પાંડવોની સેનાએ એને યુદ્ધના આરંભની ઘોષણા જ માની લીધી અને પોતપોતાનાં અસ્ત્રશસ્ત્ર હાથમાં ઉઠાવીને તૈયાર થઇ ગયા. આ રીતે સેનાએ શસ્ત્રો ઉઠાવેલાં જોઇને વીરતામાં આવી જઇને અર્જુને પણ પોતાનું ગાંડીવ ધનુષ્ય હાથમાં ઉઠાવી લીધું,

'व्यवस्थितान् धार्तराष्ट्रान् दृष्ट्वा' - આ પદોથી સંજયનું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇ, ત્યારે તે દોડતોદોડતો દ્રોણાચાર્ય પાસે ગયો. પરંતુ જ્યારે અર્જુને કૌરવોની સેનાને જોઇ, ત્યારે એનો હાથ સીધો ગાંડીવ ધનુષ્ય ઉપર જ ગયો - 'धनुरुद्यम्य'. આથી જણાઈ આવે છે કે દુર્યોધનના અંતરમાં ભય છે અને અર્જુનના હૈયામાં નિર્ભયતા છે, ઉત્સાહ છે તથા વીરતા છે.

'कपिध्वजः' - અર્જુનને માટે 'કપિધ્વજ' વિશેષણ વાપરીને સંજય ધૃતરાષ્ટ્રને અર્જુનના રથની ધજા ઉપર બિરાજેલા હનુમાનજીનું સ્મરણ કરાવે છે. જ્યારે પાંડવો વનમાં રહેતા હતા, ત્યારે એક દિવસ વાયુદેવે અકસ્માત્ એક દિવ્ય હજાર પાંખડીઓવાળું કમળ લાવી દ્રૌપદી આગળ નાખ્યું. એને જોઇને દ્રૌપદી બહુ જ પ્રસન્ન થઇ ગઇ અને તેણે ભીમસેનને કહ્યું કે, 'હે પરાક્રમીઓમાં શ્રેષ્ઠ ! આપ એવાં ઘણાં કમળો લાવી આપો.' દ્રૌપદીની ઇચ્છા પૂર્ણ કરવા માટે ભીમસેન ત્યાંથી ચાલી નીકળ્યા. જ્યારે તેઓ કદલીવનમાં પહોંચ્યા, ત્યારે ત્યાં એમને હનુમાનજીનો મેળાપ થઇ ગયો. એ બન્નેયની આપસમાં કેટલીય વાતો થઇ. છેવટે હનુમાનજીએ ભીમસેનને વરદાન માંગવા આગ્રહ કર્યો ત્યારે ભીમસેને કહ્યું કે, 'મારા ઉપર આપની કૃપા કાયમ રહે.' એના જવાબમાં હનુમાનજીએ કહ્યું કે, 'હે વાયુપુત્ર ! જ્યારે તમે બાણ અને શક્તિના આઘાતથી વ્યાકુળ બનેલી દુશ્મનોની સેનામાં પેસી જઇને સિંહગર્જના કરશો, તે વખતે હું મારી ગર્જનાથી એ સિંહગર્જનાને વધારીને ઘણી મોટી બનાવી દઇશ. એ ઉપરાંત હું અર્જુનના રથની ધજા ઉપર બેસીને એવી ભયંકર ગર્જના કરીશ, જે શત્રુઓના પ્રાણોનું હરણ કરનારી બનશે અને જેથી તમે તમારા શત્રુઓને સુગમતાથી મારી શકશો.' [૧] આવી રીતે જેમના રથની ધજા ઉપર હનુમાનજી બિરાજેલા છે, તેમનો વિજય નિશ્ચિત છે.

'पाण्डवः' - ધૃતરાષ્ટ્રે પોતાના પ્રશ્નોમાં 'पाण्डवः' પદનો પ્રયોગ કર્યો હતો, એટલે સંજય ધૃતરાષ્ટ્રને પાંડવોની યાદ અપાવવા માટે વારંવાર (અ. ૧/૧૪માં અને અહીં) 'पाण्डवः' શબ્દનો પ્રયોગ કરે છે.

'हृषिकेशं तदा वाक्यमिदमाह महीपते' - પાંડવોની સેનાને જોઇને દુર્યોધન તો ગુરુ દ્રોણાચાર્ય પાસે જઇને ચાલાકીથી ભરેલાં વચનો બોલે છે; પરંતુ અર્જુન કૌરવોની સેનાને જોઇને જે જગદ્ગુરુ છે, અંતર્યામી છે, મનબુદ્ધિ, વગેરેનાં પ્રેરક છે - એવા ભગવાન શ્રીકૃષ્ણને શૂરવીરતા, ઉત્સાહ અને પોતાના કર્તવ્યથી ભરેલાં (આગળ કહેવાશે તે) વચનો બોલે છે.


[૧] -
तदाहं बृंहयिष्यामि स्वरवेण रवं तव । विजयस्य ध्वजस्थश्च नादान् मोक्ष्यामि दारुणान् ॥
शत्रूणां ये प्राणहराः सुखं येन हनिष्यथ । (મહાભારત, વન. ૧૫૧/૧૭-૧૮)
શ્લોક માહિતી: 
સંબંધ - ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં પોતાના અને પાંડુના પુત્રો અંગે પ્રશ્ન કર્યો હતો. એનો ઉત્તર સંજયે બીજા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી આપી દીધો. હવે ભગવદ્ ગીતાના પ્રાકટ્યનો સંજય આગળના શ્લોકથી આરંભ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૯

અધ્યાય ૦૧ - શ્લોક ૧૯

મૂળ શ્લોક: 
स घोषो धार्तराष्ट्राणां ह्रदयानि व्यदारयत् ।
नभश्च पृथिवीं चैव तुमुलो व्युनुनादयन् ॥ १९ ॥
શ્લોક ભાવાર્થ: 
પાંડવસેનાના શંખોના એ ભયંકર શબ્દે આકાશ અને પૃથવીને પણ ગજાવી નાખતાં અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા દુર્યોધન વગેરેનાં હ્રદયોને ચીરી નાખ્યાં.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
પાંડવસેનાનો એ શંખધ્વનિ એટલો વિશાળ, ઊંડો, ઊંચો અને ભયંકર થયો કે એ (ધ્વનિ-પ્રતિધ્વનિ) થી પૃથ્વી અને આકાશ વચ્ચેનો ભાગ ગાજી ઊઠ્યો. એ શબ્દથી અન્યાયપૂર્વક રાજ્ય હડપ કરી જનારા અને તેમને મદદ કરવા (એમના પક્ષે) ઊભા રહેલા રાજાઓનાં હ્રદયો ચિરાઇ ગયાં. તાત્પર્ય એ છે કે હ્રદયને કોઇ અસ્ત્રશસ્ત્ર દ્વારા ચીરવાથી જેવી પીસા થાય છે, એવી જ પીડા એમના હ્રદયમાં યુદ્ધનો શંખધ્વનિથી થઇ ગઇ. એ શંખધ્વનિએ કૌરવસેનાના હ્રદયમાં યુદ્ધનો જે ઉત્સાહ હતો, બળ હતું, એને કમજોર બનાવી દીધું, જેથી એમના હ્રદયમાં પાંડવસેનાનો ભય પેસી ગયો.

સંજય એ વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રની જ સમક્ષ 'ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા સંબંધીઓનાં હ્રદયોને ચીરી નાખ્યાં' એવું સંજયનું કહેવું વિવેકપૂર્ણ અને યુક્તિસંગત જણાતું નથી. માટે સંજયે 'धार्तराष्टाणाम्' નહીં કહેતાં 'तावकीनानाम्' (આપના પુત્રો અથવા સંબંધિઓના - એમ) કહેવું જોઇતું હતું; કારણ કે એમ કહેવું એ જ વિવેક છે. એ દ્રષ્ટિએ અહીં 'धार्तराष्टाणाम्' પદનો અર્થ 'જેમણે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું' [૧] - એવો લેવો જ યુક્તિસંગત અને સભ્યતાપૂર્ણ જણાય છે. અન્યાયનો પક્ષ લેવાથી જ એમનાં હ્રદય ચિરાઇ ગયાં - એ દ્રષ્ટિએ પણ આ અર્થ લેવો જ યુક્તિસંગત જણાય છે. અહીં શંકા થાય છે કે કૌરવોની અગિયાર અક્ષોણી [૨] સેનાનાં શંખ વગેરે વાજાં વાગ્યાં તો એમના અવાજની પાંડવસેના ઉપર કંઇ પણ અસર થઇ નહિ, પરંતુ પાંડવોની સાત અક્ષોણી સેનાના શંખ વાગ્યા તો એમના અવાજથી કૌરવોની સેનાનાં હ્રદયો કેમ ચિરાઇ ગયાં? એનું સમાધાન એ છે કે જેમના હ્રદયમાં અધર્મ, પાપ કે અન્યાય નથી અર્થાત્ જેઓ ધર્મપૂર્વક પોતાના કર્તવ્યનું પાલન કરે છે, એમનાં હ્રદય મજબૂત હોય છે અને એમના હ્રદયમાં ભય પેદા થતો નથી. ન્યાયનો પક્ષ હોવાથી એમનામાં ઉત્સાહ હોય છે અને શૂરવીરતા હોય છે. પાંડવોએ વનવાસ પહેલાં પણ ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કર્યું હતું અને વનવાસ પછી પણ નિયમ અનુસાર કૌરવો પાસે ન્યાયપૂર્વક રાજ્યની માગણી કરી હતી. આથી એમના હ્રદયમાં ભય ન હતો, પરંતુ ઉત્સાહ હતો. આ કારણથી કૌરવોની અગિયાર અક્ષોણી સેનાના વાજાંના અવાજની પાંડવોની સેના ઉપર કઇ અસર થઇ નહિ. પરંતુ જે અધર્મ, પાપ, અન્યાય વગેરે કરે છે એમનાં હ્રદય કુદરતી રીતે શંકાવિહીનતા રહેતાં નથી. એમનાં પોતાનાં કરેલાં પાપ અને અન્યાય જ એમનાં હ્રદયને નિર્બણ કરી દે છે. અધર્મ અધર્મીને ખાઇ જાય છે. દુર્યોધન વગેરી પાંડવોને અન્યાયપૂર્વક મારવાના ઘણા જ પ્રયત્નો કર્યાં હતા. એમણે છળકપટથી અન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય છીનવી લીધું હતું અને એમને બહુ જ કષ્ટ આપ્યું હતું. આ કારણથી એમનાં હ્રદય કમજોર કે નિર્બળ થઇ ગયાં હતાં. તાત્પર્ય એ છે કે કૌરવોનો પક્ષ અધર્મનો હતો. એટલા માટે પાંડવોની સાત અક્ષોણી સેનાના શંખધ્વનિથી એમનાં હ્રદય ફાટી ગયાં, એમને ઘણી મોટી પીડા થઇ ગઇ.

આ પ્રસંગથી સાધકે સાવધાન થવું જોઇએ કે તેના દ્વારા પોતાના શરીર, મન અને વાણીથી કદી પણ કોઇ અન્યાય અને અધર્મનું આચરણ ન થઇ જાય. અન્યાય અને અધર્મવાળા આચરણથી મનુષ્યનું હ્રદય કમજોર કે નિર્બળ થઇ જાય છે. એના હ્રદયમાં ભય પેદા થઇ જાય છે. ઉદાહરણ તરીકે, લંકાધિપતિ રાવણથી ત્રણેય લોક ડરતા હતા. તે જ રાવણ જ્યારે સીતાજીનું હરણ કરવા જાય છે ત્યારે ભયભીત થઇને આમતેમ જુએ છે. [૩] એટલા માટે સાધકે કદી પણ અન્યાયી તથા અધર્મવાળું આચરણ કરવું જોઇએ નહિ.


[૧] - 'अन्यायेन धृतं यैस्ते धृतराष्ट्राः' એવો બહુવ્રીહિ સમાસ કર્યા પછી 'धृतराष्ट्रा एव' એ વિગ્રહમાં સ્વાર્થે તદ્ધિતનો  'अण' પ્રત્યય કરવામાં આવ્યો, જેનાથી 'धार्तराष्ट्राः' એવું રૂપ બન્યું. અહીં છઠ્ઠી વિભક્તિના પ્રયોગી જરૂર હોવાથી છઠ્ઠીમાં - 'धार्तराष्ट्राणाम्' એવો પ્રયોગ કર્યો છે.

[૨] - દુર્યોધનના પક્ષમાં અગિયાર અક્ષોણી સેના હોવાનો સંભવ જ ન હતો; પરંતુ જ્યારે પાંડવો વનવાસ માટે ગયા, ત્યારે દુર્યોધને ધર્મરાજ યુધિષ્ઠિરની રાજ્યા કરવાની નીતિ સ્વીકારી. જેવી રીતે યુધિષ્ઠિર પોતાનું કર્તવ્ય સમજીને પ્રજાને સુખી કરવા માટે ધર્મ અને ન્યાયપૂર્વક રાજ્ય કરતા હતા, એવી જ રીતે દુર્યોધને પણ પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે અને પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રજા સાથે યુધિષ્ઠિરના જેવો વર્તાવ કર્યો. તેર વર્ષ સુધી પ્રજા સાથે સારો વર્તાવ કરવાથી યુદ્ધને સમયે ઘણી સેના એકત્રિત થઇ, જે પહેલાં પાંડવોના પક્ષમાં હતી અને પાંડવોને ચાહતી હતી. આ રીતે નવ અક્ષોણી નારાયણી સેનાને તથા મદ્રરાજ શલ્યની એક અક્ષોણી સેનાને દુર્યોધને ચાલાકીથી પોતાના પક્ષમાં લાવી દીધી, જે પાંડવોના પક્ષમાં હતી. આથી દુર્યોધનના પક્ષમાં અગિયાર અક્ષોણી સેના અને પાંડવોના પક્ષમાં સાત અક્ષોણી સેના હતી.

[૩] - सून बीच दसकंधर देखा । आवा निक़ट बती कें वेषा ।
जाकें डर सुर असुर डेराहीं । निसि न नीद दिन अन्न न खाहीं ॥
सो दससीस स्वान की नाईं । इत उत चितइ चला भडिहाई ।
इमि कुपंथ पग डिटेल खगेसा । रह न तेज तन बुधि बल लेसा ॥ (માનસ ૩/૨૮/૪-૫)

અધ્યાય ૦૧ - શ્લોક ૧૭-૧૮

અધ્યાય ૦૧ - શ્લોક ૧૭-૧૮

મૂળ શ્લોક: 
काश्यश्च परमेष्वासः शिखण्डी च महारथः ।
धृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः ॥ १७ ॥
द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते ।
सौभद्रश्च महाबाहुः शङ्खान्दध्नुः पृथक्पृथक् ॥ १८ ॥
શ્લોક ભાવાર્થ: 
હે રાજન ! શ્રેષ્ઠ ધનુષ્યવાળા કાશીરાજ અને મહારથી શિખંડી તથા ધૃષ્ટદ્યુમ્ન તેમ જ રાજા વિરાટ અને અજેય સાત્યકિ, રાજા દ્રુપદ અને દ્રૌપદીના પાંચેય પુત્રો તથા લાંબીલાંબી ભુજાઓવાળા સુભદ્રાપુત્ર અભિમન્યુ - એ બધાએ બધી દિશાઓમાંથી અલગ-અલગ (પોતપોતાના) શંખો વગાડ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
મહારથી શિખંડી ઘણો જ શૂરવીર હતો. તે પૂર્વજન્મમાં સ્ત્રી (કાશીરાજની પુત્રી અંબા) હતો અને આ જન્મમાં પણ રાજા દ્રુપદને પુત્રીરૂપે મળેલો હતો. આગણ જતાં આ જ શિખંડી સ્થૂણાકર્ણ નામના યક્ષ દ્વારા પુરુષત્વ પ્રાપ્ત કરી પુરુષ બન્યો. ભીષ્મજી આ બધી વાતોને જાણતા હતા, અને શિખંડીને સ્ત્રી જ સમજતા હતા. આ કારણથી તેઓ એના ઉપર બાણ ચલાવતા ન હતા. અર્જુને યુદ્ધને વખતે એને જ આગળ કરીને ભીષ્મજી ઉપર બાણ ચલાવ્યાં અને એમને રથ ઉપરથી નીચે પાડી નાખ્યા.

અર્જુનનો પુત્ર અભિમન્યુ બહુ જ શૂરવીર હતો. યુદ્ધ સમયે એણે દ્રોણાચાર્યે રચેલા ચક્રવ્યૂહમાં ઘૂસીને પોતાના પરાક્રમથી ઘણા બધા વીરોનો સંહાર કર્યો, છેલ્લે કૌરવસેનાના છ મહારથીઓએ એને અન્યાયપૂર્વક ઘેરી લઇને એના ઉપર ગદાનો પ્રહાર થવાથી એનું મૃત્યુ થઇ ગયું.

સંજયે શંખવાદનના વર્ણનમાં કૌરવસેનાના શૂરવીરોમાંથી માત્ર ભીષ્મજીનું જ નામ લીધું અને પાંડવસેનાના શૂરવીરોમાંથી ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન, ભીમ વગેરે અઢાર વીરોનાં નામ લીધાં. એનાથી એવી પ્રતીતિ થાય છે કે સંજયના મનમાં અધર્મના પક્ષ (કૌરવસેના) નો આદર નથી. એટલે એ અધર્મના પક્ષનું અધિક વર્ણન કરવાનું યોગ્ય માનતા નથી. પરંતુ એમના મનમાં ધર્મના પક્ષ (પાંડવસેના) નો આદર હોવાથી અને ભગવાન શ્રીકૃષ્ણ તથા પાંડવો પ્રત્યે આદરભાવ હોવાથી તેઓ એમના પક્ષનું જ વધારે વર્ણન કરવાનું યોગ્ય માને છે, અને એમના પક્ષનું વર્ણન કરવામાં જ એમને આનંદ આવી રહ્યો છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૬

અધ્યાય ૦૧ - શ્લોક ૧૬

મૂળ શ્લોક: 
अनंतविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः ।
नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ ॥ १६ ॥
શ્લોક ભાવાર્થ: 
કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંતવિજય નામનો શંખ વાગાડ્યો તથા નકુળ અને સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अनन्तविजयं राजासुघोषमणिपुष्पकौ' - અર્જુન, ભીમ અને યુધિષ્ઠિર એ ત્રણ કુંતીના પુત્રો છે તથા નકુળ અને સહદેવ - એ બન્ને માદ્રીના પુત્રો છે. આ વિભાગ દર્શાવવા માટે જ અહીં યુધિષ્ઠિર માટે 'કુંતીપુત્ર' વિશેષણ આપવામાં આવ્યું છે.
યુધિષ્ઠરને 'રાજા' કહેવાનું તાત્પર્ય એ છે કે વનવાસ જતાં પહેલાં યુધિષ્ઠિર પોતાના અરધા રાજ્ય (ઇંદ્રપ્રસ્થ) ના રાજા હતા, અને નિયમ મુજબ બાર વર્ષ વનવાસ અને એક વર્ષ ગુપ્તવાસ પછી તેઓ રાજા બનવા જોઇતા હતા. 'રાજા' વિશેષણ આપીને સંજય એ પણ સંકેત કરવા માગે છે કે આગળ જતાં ધર્મરાજ યુધિષ્ઠિર જ સકળ પૃથ્વીમંડળના રાજા થશે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૫

અધ્યાય ૦૧ - શ્લોક ૧૫

મૂળ શ્લોક: 
पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जयः ।
पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः ॥ १५ ॥
શ્લોક ભાવાર્થ: 
અંતર્યામી ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો તથા ધનંજય અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો; અને ભયંકર કર્મો કરનાર વૃકોદર ભીમે પૌંડ્ર નામનો મહાશંખ વગાડ્યો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'पाञ्चनज्यं हृषीकेशः' - બધાના અંતર્યામી અર્થાત્ બધાના મનની વાત જાણનારા સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોના પક્ષમાં ઊભા રહીને 'પાંચજન્ય' નામનો શંખ વગાડ્યો. ભગવાને પંચજન નામના શંખનું રૂપ ધારણ કરેલા રાક્ષસને મારીને એનો શંખ રૂપે સ્વીકાર કર્યો હતો, એતલે એ શંખનું નામ 'પાંચજન્ય' પડ્યું.

'देवदत्तं धनञ्जयः' - રાજસૂય યજ્ઞ વખતે અર્જુને ઘણા રાજાઓને જીતીને બહુ જ ધન એકઠું કર્યું હતું. આથી અર્જુનનું નામ 'ધનજય' પડી ગયું. [૧] નિવાત, કવચ વગેરે રાક્ષસોની સામે યુદ્ધ કરતી વખતે ઇંદ્રે અર્જુનને 'દેવદત્ત' નામનો શંખ આપ્યો હતો. આ શંખનો અવાજ ખૂબ જોરથી થતો હતો, જેથી શત્રુઓની સેના ગભરાઇ જતી હતી. આ શંખ અર્જુને વગાડ્યો.

'पौण्ड्रं दध्मौ महाशङ्खं भीमकर्मा वृकोदरः' - હિડિમ્બાસુર, બકાસુર, જટાસુર વગેરે રાક્ષસોને તથા કીચક, જરાસંધ વગેરે બળવાન વીરોને મારવાને કારણે ભીમસેનનું નામ 'ભીમકર્મા' કડી ગયું. એમના પેટમાં જઢરાગ્નિ સિવાય 'વૃક' નામનો એક વિશેષ અગ્નિ હતો, જેનાથી ઘણું જ અધિક ભોજન પચતું હતું. આ કારણથી એમનું નામ 'વૃકોદર' પડી ગયું. એવા ભીમકર્મા વૃકોદર ભીમસેને બહુ જ મોટા આકારવાળો પૌંડ્ર નામનો શંખ વગાડ્યો.


[૧] - सर्वाञ्जनपदाञ्जित्वा वित्तमादाय केवलम् । मध्ये धनस्य तिष्ठामि तेनाहुर्मा धनञ्जयम् ॥ (મહાભારત, વિરાટ. ૪૪/૧૩)
શ્લોક માહિતી: 
સંબંધ - હવે સંજય આગળના ચાર શ્લોકોમાં પૂર્વશ્લોકનો ખુલાસો કરતાં બીજાઓના શંખવાદનનું વર્ણન કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૪

અધ્યાય ૦૧ - શ્લોક ૧૪

મૂળ શ્લોક: 
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥ १४ ॥
શ્લોક ભાવાર્થ: 
એ પછી સફેદ ઘોડાઓથી જોડાયેલા મહાન રથ ઉપર બેઠેલા લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ અને પાંડુપુત્ર અર્જુનને દિવ્ય શંખો ઘણા જોરથી વાગાડ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'ततः श्वेतैर्हयैर्युक्ते' - ચિત્રરથ નામના ગંધર્વે અર્જુનને એક સો દિવ્ય ઘોડા આપ્યા હતા. એ ઘોડાઓમાં એ વિશેષતા હતી કે લડાઇમાં એ પૈકી ગમે તેટલા ઘોડા કેમ ન માર્યા જાય, તો પણ એ સંખ્યામાં પૂરા સો જ રહેતા હતા, ઘટતા ન હતા. એ પૃથ્વી, સ્વર્ગ વગેરે કોઇ પણ સ્થળે જઇ શકતા હતા. એ જ સો ઘોડાઓમાંથી સુંદર અને સારી તાલીમ પામેલા ચાર સફેદ ઘોડા અર્જુનના રથમાં જોડાયેલા હતા.

'महति स्यन्दने स्थितौ' - યજ્ઞોમાં આહુતિ રૂપે આપેલું ઘી ખાતાંખાતાં અગ્નિને અજીર્ણ થઇ ગયું હતું. આથી અગ્નિદેવ ખાંડવવનની ખાસખાસ જડીબુટ્ટીઓ ખાઇને (બાળીને) પોતાનું અજીર્ણ દૂર કરવા માગતા હતા. પરંતુ દેવતાઓ દ્વારા ખાંડવવવનું રક્ષણ થઇ રહ્યું હતું, જેને કારણે અગ્નિદેવ પોતાના કાર્યમાં સફળ થતા ન હતા. એ જ્યારેજ્યારે ખાંડવવનને સળગાવતા હતા, ત્યારેત્યારે ઇંદ્ર વરસાદ વરસાવીને એને (અગ્નિને) ઓલવી નાખતા હતા. આખરે અર્જુનની મદદથી અગ્નિએ આખા વનને બાળીને પોતાનું અજીર્ણ દૂર કર્યું અને પ્રસન્ન થઇને અર્જુનને આ ઘણો જ મોટો રથ આપ્યો. નવ બળદગાડાઓમાં જેતલાં અસ્ત્રશસ્ત્ર સમાઇ શકે, એટલાં અસ્ત્રશસ્ત્ર એ રથમાં રહી શકતાં. એ સોનાથી મઢેલો અને તેજોમય હતો. એનાં પૈડાં ઘણાં જ મજબૂત અને વિશાળ હતાં. એની ધના વીજળી સમાન ચમકતી હતી. એ ધજા એક યોજન (ચાર ગાઉ) સુધી ફરકતી હતી. એતલી લાંબી હોવા છતાં પણ એમાં વજન ન હતું, એ ક્યાંય અટકતી ન હતી અને વૃક્ષ વગેરેમાં ક્યાંય અટવાતી ન હતી. એ ધજા ઉપર હનુમાનજી બિરાજમાન હતા.

'स्थितौ' કહેવાનું તાત્પર્ય એ છે કે એ સુંદર અને તેજસ્વી રથ ઉપર ભગવાન શ્રીકૃષ્ણ અને એમના વહાલા ભક્ત અર્જુન બિરાજમાન થયેલા હોવાથી એ રથની શોભા અને તેજ ઘણં જ વધી ગયું હતું.

'माधवः पाण्डवश्चव' - 'मा' લક્ષ્મીનું નામ છે અને 'धव' પતિનું નામ છે. આથી 'माधव' નામ લક્ષ્મીપતિનું નામ છે. અહીં પાંડવ નામ અર્જુનનું છે; કારણકે અર્જુન બધા પાંડવોમાં મુખ્ય છે - 'पाण्डवानां धनञ्जयः' (અ. ૧૦/૩૭)

અર્જુન 'નર' નો અને શ્રીકૃષ્ણ 'નારાયણ' નો અવતાર હતા. મહાભારતના દરેક પર્વની શરૂઆતમાં નર (અર્જુન) અને નારાયણ (ભગવાન શ્રીકૃષ્ણ) ને નમસ્કાર કરવામાં આવ્યા છે - 'नारायनं नमस्कृत्य नरं चैव नरोत्तमम्' - આ દ્રષ્ટિએ પાંડવસેનામાં ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન - એ બન્ને મુખ્ય હતા. સંજયે પણ ગીતાના અંતમાં કહ્યું છે કે 'જ્યાં યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ અને ગાંડીવધનુષ્યધારી અર્જુન રહેશે, ત્યાં જ લક્ષમી, વિજય, વિભૂતિ અને અચળ નીતિ રહેશે.' (અ. ૧૮/૭૮)

'दिव्यौ शङ्खौ प्रदध्मतुः' - ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનના હાથમાં જે શંખો હતા, તે તેજસ્વી અને અલૌકિક હતા. એ શંખોને એમણે ખૂબ જોરથી વગાડ્યા.

અહીં શંકા થઇ શકે કે કૌરવપક્ષમાં મુખ્ય સેનાપતિ ભીષ્મ છે, એટલા માટે એમનું સૌ પ્રથમ શંખ વગાડવું, એ યોગ્ય જ છે; પરંતુ પાંડવસેનામાં મુખ્ય સેનાપરિ ધૃષ્ટદ્યુમ્ન હોવા છતાં પણ સારથિ બનેલા ભગવાન શ્રીકૃષ્ણે સૌથી પહેલા શંખ કેમ વગાડ્યો? એનું સમાધાન એ છે કે ભગવાન સારથિ બને કે મહારથિ બને, એમનું અગ્રેસરપણું કદીયે મટી શક્તું નથી. એ કોઇ પણ હોદ્દા ઉપર રહે, છતાં હંમેશાં સૌથી મોટા જ બની રહે છે. કારણ કે એ અચ્યુત છે, કદી ચ્યુત થતા જ નથી. પાંડવસેનામાં ભગવાન શ્રીકૃષ્ણ જ મુખ્ય હતા અને એ જ બધાનું સંચાલન કરતા હરા. જયારે તેઓ બાલ્યાવસ્થામાં હતા, ત્યારે પણ નંદ, ઉપનંદ વગેરે એમની વાત સ્વીકારતા હતા. તેથી જ તો તેમણે બાળક શ્રીકૃષ્ણના કહેવાથી પરંપરાગત ચાલી આવતી ઇંદ્રપૂજાને છોડીને ગોવર્ધનની પૂજા કરવાની શરૂઆત કરી. તાત્પર્ય એ છે કે હ્બગવાન જે કોઇ અવસ્થામાં, જે કોઇ સ્થાન ઉપર અને જ્યાં ક્યાંય પણ રહે છે, ત્યાં તેઓ મુખ્ય જ રહે છે. એતલા માટે ભગવાને પાંડવસેનામાં સૌથી પહેલાં શંખ વગાડ્યો.

જે પોતે નાનો હોય, તે ઊંચા સ્થાન ઉપર નિમાવાથી તેને મોટો માનવામાં આવે છે. આથી જે ઊંચા સ્થાનને લીધે પોતાને મોટો માને છે, તે પોતે વાસ્તવમાં નાનો જ હોય છે. પરંતુ જે પોતે મોટો હોય છે, તે ગમે ત્યાં રહેતો હોય, તો પણ તેને લીધે તે સ્થાન પણ મોટું મનાય છે. જેમ કે ભગવાન અહીં સારથિ બન્યા છે, તો એમને લીધે એ સારથિનું સ્થાન (પદ) પણ ઊંચું થઇ ગયું.
શ્લોક માહિતી: 
સંબંધ - આ અધ્યાયના આરંભમાં જ ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હતું કે યુદ્ધક્ષેત્રમાં મારા અને પાંડવોના પુત્રોએ શું કર્યું? આથી સંજયે શ્લોકથી તેરમા શ્લોક સુધી 'ધૃતરાષ્ટ્રના પુત્રોએ શું કર્યું' - એનો જવાબ આપ્યો. હવે આગળના શ્લોકથી સંજય 'પાંડુના પુત્રોએ શું કર્યું' - એનો જવાબ આપે છે.

વિશેષ વાત - દુર્યોધનનો ભય

વિશેષ વાત - દુર્યોધનનો ભય

અર્જુન કૌરવોની સેનાને જોઇને કોઇની પાસે ન જતાં હાથમાં ધનુષ્ય ઉઠાવે છે (અ. ૧/૨૦), પણ દુર્યોધન પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને પાંડવોની વ્યૂહરચનાયુક્ત સેનાને જોવા માટે કહે છે. એથી સાબિત થાય છે કે દુર્યોધનના હ્રદયમાં ભય પેઠેલો છે [૧]. અંદર ડર હોવા છતાં પણ તે ચાલાકીથી દ્રોણાચર્યને ખુશ કરવા માગે છે અને એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરવા માગે છે. કારણ કે દુર્યોધનના હ્રદયમાં અધર્મ છે, અન્યાય છે, અને પાપ છે. અન્યાયી અને પાપી વ્યક્તિ કદી નિર્ભય અનેસુખશાંતિથી રહી શક્તી નથી - એવો નિયમ છે. પરંતુ અર્જુનના અંતરમાં ધર્મ છે અને ન્યાય પણ છે. તેથી અર્જુનના અંતરમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાલાકીયે નથી અને ભય પણ નથી; પરંતુ ઉત્સાહ છે અને વીરતા છે. તેથી તો એ વીરતામાં આવી જઇને સેનાનું નિરીક્ષણ કરવાને માટે ભગવાનને આજ્ઞા કરે છે કે 'હે અચ્યુત ! બન્ને સેનાઓની મધ્યમાં મારો રથ ઊભો રાખો.' (અ. ૧/૨૧). એનું તાત્પર્ય એ છે કે જેના હૈયામાં નાશવંત ધનસંપત્તિ વગેરેનો સહારો છે, આદર છે અને જેના હૈયામાં અધર્મ છે, અન્યાય છે તથા દુર્ભાવ છે, એનામાં વાસ્તવિક બળ હોતું નથી. તે અંદરખાને પોલો હોય છે અને કદી તે નિર્ભય હોતો નથી. પરંતુ જે પોતાના ધર્મનું પાલન કરે છે અને ભગવાનનો આશરો લે છે, તે કદી ભયભીત થતો નથી. એનામાં સાચું બળ હોય છે. એ હંમેશા ચિંતારહિત અને ભયરહિત રહે છે. આથી પોતાનું કલ્યાણ ઇચ્છનારા સાધકોએ અધર્મ, અન્યાય વગેરેને ત્યજીને તથા એકમાત્ર ભગવાનનો આશરો લઇને ભગવાનના પ્રેમ માટે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરવું જોઇએ. ભૌતિક સંપત્તિને મહત્વ આપીને અને સંયોગજનિત સુખના પ્રલોભનમાં ફસાઇને કદી અધર્મનો આશરો લેવો જોઇએ નહી; કારણ કે એ બન્નેથી મનુષ્યનું કદી હિત સધાતું નથી પરંતુ એનાથી ઊલટું અહિત જ થાય છે.

======== * ========
[૧] - જ્યારે કૌરવોની સેનાનાં શંખ વગેરે વાજાં વાગ્યાં; ત્યારે એના અવાજની પાંડવસેના ઉપર કંઇ પણ અસર થઇ નહિ. પરંતુ જ્યારે પાંડવોની સેનાના શંખ વાગ્યા, ત્યારે એના અવાજથી દુર્યોધન વગેરેનાં હ્રદયો ફાટી ગયાં. (અ. ૧/૧૩,૧૯). આથી સિદ્ધ થાય છે કે અધર્મ-અન્યાયનો પક્ષ લેવાને કારણે દુર્યોધન વગેરેનાં હ્રદય કમજોર બની ગયાં હતાં અને એમનામાં ભય પેસી ગયો હતો.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૩

અધ્યાય ૦૧ - શ્લોક ૧૩

સંબંધ - પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એનું પરિણામ શું આવ્યું, એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે.

ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥

તતઃ શઙ્ખાશ્ચ ભેર્યશ્ચ પણવાનકગોમુખાઃ ।
સહસૈવાભ્યહન્ય સ શબ્દસ્તુમુલોઙભવત્ ॥ ૧૩ ॥

[ભાવાર્થ]
એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.

[ટીકા]
'ततः शंङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः' - જોકે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો. પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખનાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વાગાડ્યો એટલે કૌરવસેનાનાં શંખ વગેરે સઘળાં વાજાં એક સાથે વાગી ઊઠ્યાં.

'शंख' સમુદ્રમાંથી થાય છે. એ ઠાકોરજીની સેવાપૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક કાર્યોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢાની ફૂંક મારીને વગાડવામાં આવે છે. 'भेरी' નગારાને કહે છે (જે મોટાં નગારાં છે, એને નોબત કહે છે.) એ નગારાં લોઢાનાં બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલાં હોય છે, તથા લાકડાના દાંડિયથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. 'पणव' ઢોલને કહે છે. એ લોઢા કે લાકડાનાં બનેલાં હોય છે અને બકરાના ચામડાથી મઢેલાં હોય છે, તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાદવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવાં હોવા છતાં પણ ઢોલકીથી મોટાં હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. 'आनक' મૃદંગને કહે છે, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. 'गोमुख' રણશિંગાને કહે છે. આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંકીને વગાડવામાં આવે છે.

'सहसैवाभ्यहन्यन्त' [૧] - કૌરવસેનામાં ઉત્સાહ ઘણો જ હતો. એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાંની સાથે જ કૌરવસેનાનાં બધાં વાજાં અનાયાસે જ એક સાથે વાગી ઊઠ્યાં. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ થયો નહિ.

'स शब्दस्तुमुलोङभवत्' - જુદાજુદા વિભાગોમાં, ટુકડીમાં ઊભેલી કૌરવ સેનાનાં શંખ વગેરે વાજાંઓનો અવાજ ઘણો ભયંકર થયો અર્થાત્ એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો રહ્યો.

======== * ========
[૧] - કર્મને અત્યંત સુગમતાપૂર્વકનું દર્શાવવા માટે જ્યારે કર્મ વગેરેને જ કર્તા બનાવવામાં આવે છે ત્યારે 'कर्मकर्तु' પ્રયોગ થયો કહેવાય છે. દા.ત. કોઇ લાકડું ફાડે છે, તો આ ફાડવાના કર્મને સહેલું દર્શાવવા માટે 'લાકડું ફડાઇ રહ્યું છે' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે અહીં 'વાજાં વગાડ્યાં' એવો પ્રયોગ હોવો જોઇએ; પરંતુ વાજાં વગાડવાનું સહેલું છે તેમ બતાવવા માટે અને સેનાનો ઉત્સાહ દર્શાવવાને માટે 'વાજાં વાગી ઊઠ્યાં' એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
મૂળ શ્લોક: 
ततः शङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः ।
सहसैवाभ्यहन्य स शब्दस्तुमुलोङभवत् ॥ १३ ॥
શ્લોક ભાવાર્થ: 
એ પચી શંખ, ભેરી (નગારાં), ઢોલ, મૃદંગ અને રણશિંગાં વગેરે વાજાં એક સાથે વાગી ઊઠ્યાં. એમનો એ શબ્દ ઘણો ભયંકર થયો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'ततः शंङ्खाश्च भेर्यश्च पणवानकगोमुखाः' - જોકે ભીષ્મજીએ યુદ્ધના આરંભની ઘોષણા કરવા માટે શંખ વગાડ્યો ન હતો. પરંતુ દુર્યોધનને ખુશ કરવા માટે જ શંખ વગાડ્યો હતો, તો પણ કૌરવોની સેના ભીષ્મજીના શંખનાદને યુદ્ધની ઘોષણા જ સમજી. આથી ભીષ્મજીએ શંખ વાગાડ્યો એટલે કૌરવસેનાનાં શંખ વગેરે સઘળાં વાજાં એક સાથે વાગી ઊઠ્યાં.

'शंख' સમુદ્રમાંથી થાય છે. એ ઠાકોરજીની સેવાપૂજામાં રાખવામાં આવે છે અને આરતી ઉતારવી વગેરે કામોમાં આવે છે. માંગલિક કાર્યોમાં તથા યુદ્ધના આરંભમાં એમાં મોઢાની ફૂંક મારીને વગાડવામાં આવે છે. 'भेरी' નગારાને કહે છે (જે મોટાં નગારાં છે, એને નોબત કહે છે.) એ નગારાં લોઢાનાં બનેલા હોય છે અને ભેંસના ચામડાથી મઢેલાં હોય છે, તથા લાકડાના દાંડિયથી વગાડવામાં આવે છે. એ મંદિરોમાં અને રાજાના કિલ્લઓમાં રાખવામાં આવે છે. ઉત્સવ અને માંગલિક કાર્યોમાં એ ખાસ વગાડવામાં આવે છે. રાજાઓને ત્યાં એ દરરોજ વગાડવામાં આવે છે. 'पणव' ઢોલને કહે છે. એ લોઢા કે લાકડાનાં બનેલાં હોય છે અને બકરાના ચામડાથી મઢેલાં હોય છે, તથા હાથથી કે લાકડાના દાંડિયાથી વગાદવામાં આવે છે. એ આકારમાં ઢોલકી જેવાં હોવા છતાં પણ ઢોલકીથી મોટાં હોય છે. કાર્યના આરંભમાં પણવ વગાડવાને ગણપતિના પૂજન સમાન કલ્યાણ કરનારું માનવામાં આવે છે. 'आनक' મૃદંગને કહે છે, એને પખવાજ પણ કહે છે. આકારમાં એ લાકડામાંથી બનાવેલી ઢોલકી જેવું હોય છે. એ માટીમાંથી બનેલ હોય છે, ચામડાથી મઢેલ હોય છે અને હાથથી વગાડવામાં આવે છે. 'गोमुख' રણશિંગાને કહે છે. આકારમાં એ સાપ જેવું વાંકું હોય છે અને એનું મોઢું ગાયના જેવું હોય છે. એ મોઢાથી ફૂંકીને વગાડવામાં આવે છે.

'सहसैवाभ्यहन्यन्त' [૧] - કૌરવસેનામાં ઉત્સાહ ઘણો જ હતો. એટલા માટે પિતામહ ભીષ્મનો શંખ વાગતાંની સાથે જ કૌરવસેનાનાં બધાં વાજાં અનાયાસે જ એક સાથે વાગી ઊઠ્યાં. એમના વાગવામાં વાર ન લાગી અને એમને વગાડવામાં પરિશ્રમ પણ થયો નહિ.

'स शब्दस्तुमुलोङभवत्' - જુદાજુદા વિભાગોમાં, ટુકડીમાં ઊભેલી કૌરવ સેનાનાં શંખ વગેરે વાજાંઓનો અવાજ ઘણો ભયંકર થયો અર્થાત્ એમનો અવાજ ઘણા જોરથી ગૂંજતો રહ્યો.


[૧] - કર્મને અત્યંત સુગમતાપૂર્વકનું દર્શાવવા માટે જ્યારે કર્મ વગેરેને જ કર્તા બનાવવામાં આવે છે ત્યારે 'कर्मकर्तु' પ્રયોગ થયો કહેવાય છે. દા.ત. કોઇ લાકડું ફાડે છે, તો આ ફાડવાના કર્મને સહેલું દર્શાવવા માટે 'લાકડું ફડાઇ રહ્યું છે' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે અહીં 'વાજાં વગાડ્યાં' એવો પ્રયોગ હોવો જોઇએ; પરંતુ વાજાં વગાડવાનું સહેલું છે તેમ બતાવવા માટે અને સેનાનો ઉત્સાહ દર્શાવવાને માટે 'વાજાં વાગી ઊઠ્યાં' એવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
શ્લોક માહિતી: 
સંબંધ - પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો એનું પરિણામ શું આવ્યું, એ વાત સંજય આગળના શ્લોકમાં કહે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૨

અધ્યાય ૦૧ - શ્લોક ૧૨

મૂળ શ્લોક: 
तस्य सञ्जनयन्हर्षं कुरुवृद्धः पितामहः ।
सिंहनादं विनद्योच्चैः शङ्खं दध्मौ प्रतापवान् ॥ १२ ॥
શ્લોક ભાવાર્થ: 
દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન કરતાં કુરુવૃદ્ધ પ્રભાવશાળી પિતામહ ભીષ્મે સિંહની જેમ ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'तस्य संजनयन् हर्षम्' - જોકે દુર્યોધનના હ્રદયમાં હર્ષ થવો એ શંખધ્વનિનું કાર્ય છે અને શંખધ્વનિ એ હર્ષ થવાનું કારણ છે. એટલા માટે અહીં શંખધ્વનિનું વર્ણન પહેલાં થવું જોઇએ અને હર્ષ થવાનું વર્ણન પછી થવું જોઇએ. અર્થાત્ અહીં 'શંખ વગાડતા દુર્યોધનને હર્ષિત કર્યો.' - એમ કહેવું જોઇએ. પરંતુ અહીં એમ ન કહેતાં એવું જ કહ્યું છે કે 'દુર્યોધનને હર્ષિત કરતાં ભીષ્નજીએ શંખ વગાડ્યો'. આમ કહીને સંજય એવો ભાવ પ્રગટ કરી રહ્યા છે કે પિતામહ ભીષ્મની શંખ વગાડવાની ક્રિયામાત્રથી દુર્યોધનના હ્રદયમાં હર્ષ ઉત્પન્ન થઇ જ જશે. ભીષ્મજીની એ પ્રતિભાનું દ્યોતન કરાવવા માટે જ સંજય અગાઉ 'प्रतापवान' વિશેષણ આપે છે.

'कुरुवृद्धः' - જોકે કુરુવંશીઓમાં ઉંમરની રીતે જોતાં ભીષ્મજીથી પણ અધિક વૃદ્ધ બાહ્લીક હતા (કે જે ભીષ્મજીના પિતા શાંતનુના નાના ભાઇ હતા), તો પણ કુરુવંશીઓમાં જેટલા મોટાવૃદ્ધ હતા, તે બધામાં ભીષ્મજી ધર્મ અને ઇશ્વરને વિશેષતાથી જાણનારા હતા. આથી જ્ઞાનવૃદ્ધ હોવાને કારણે સંજય ભીષ્મજી માટે 'कुरुवृद्धः' વિશેષણ વાપરે છે.

'प्रतापवान्' - ભીષ્મજીના ત્યાગની મોટી અસર હતી. તેઓ કંચનકામિનીમા ત્યાગી હતા અર્થાત્ એમણે રાજ્ય પણ સ્વીકાર્યું નહિ અને લગ્ન પણ કર્યા નહિ. ભીષ્મજી અસ્ત્રશસ્ત્ર ચલાવવામાં ઘણા નિપુણ હતા અને શાસ્ત્રના પણ મોટા જાણકાર હતા. એમના આ બન્ને ગુણોની પણ લોકો ઉપર ઘણી અસર હતી.

જ્યારે એકલા ભીષ્મ પોતાના ભાઇ વિચિત્રવીર્ય માટે કાશીરાજની કન્યાઓનું સ્વયંવરમાંથી હરણ કરીને લાવી રહ્યા હતા, ત્યારે સ્વયંવર માટે એકઠા થયેલા બધા ક્ષત્રિયો એમના ઉપર તૂટી પડ્યા. પરંતુ એકલા ભીષ્મજી અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખ્યા હતા, એ ગુરુ પરશુરામજી સમક્ષ પણ એમણે પોતાની હાર સ્વીકારી નહિ. આ રીતે શસ્ત્રની બાબતમાં એમનો ક્ષત્રિયો ઉપર મોટો પ્રભાવ હતો.

જ્યારે ભીષ્મ બાણશૈયા ઉપર સૂતા હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ધર્મરાજાને કહ્યું કે, 'આપને ધર્મના વિષયમાં કંઇ શંકા હોય તો ભીષ્મજીને પૂછી લો; કારણ કે શાસ્ત્રજ્ઞાનનો સૂર્ય અસ્ત પામી રહ્યો છે અર્થાત્ ભીષ્મજી આ લોકમાંથી વિદાય લઇ રહ્યા છે.' [૧] આ રીતે શાસ્ત્રના વિષયમાં એમનો બીજાઓ ઉપર ભારે પ્રભાવ હતો.

'पितामहः' - આ પદનો એવો આશય જણાય છે કે દુર્યોધને ચાલાકીથી કહેલી વાતોનો દ્રોણાચાર્યે કોઇ ઉત્તર આપ્યો નહિ. તેઓ એવું સમજ્યા કે દુર્યોધન ચાલાકીથી મને છેતરવા માગે છે, તેથી તેઓ ચુપ જ રહ્યા. પરંતુ પિતામહ (દાદા) હોવાને સંબંધે ભીષ્મજીને દુર્યોધનની ચાલાકીમાં એનું બાળપણ દેખાયું. આથી પિતામહ ભીષ્મ દ્રોણાચાર્યની જેમ ચુપ ન રહેતાં વાત્સલ્યભાવને કારણે દુર્યોધનને હર્ષ ઉપજાવતા શંખ વગાડે છે.

'सिहंनादं विनद्योच्चैः शंङ्खं दध्मौ' - જેવી રીતે સિંહના ગર્જવાથી હાથી વગેરે મોટાંમોટાં પશુ પણ ભયભીત થઇ જાય છે, તીવી રીતે માત્ર ગર્જના કરવાથી બધા ભયભીત થઇ જાય અને દુર્યોધન પ્રસન્ન થઇ જાય એવા ભાવથી ભીષ્મજીએ સિંહની માફક ગર્જના કરીને જોરથી શંખ વગાડ્યો.


[૧] - तस्मिन्नस्तमिते भीष्मे कौरवाणां धुरंधरे । ज्ञानान्यस्तं गमिष्यन्ति तस्मात् त्वां चोदयाम्हम् ॥
(મહાભારત, શાંતિ. ૪૬/૨૩)
શ્લોક માહિતી: 
સંબંધ - દ્રોણાચાર્ય કંઇ પણ બોલ્યા નહિ એ કારણે દુર્યોધનનો માનસિક ઉત્સાહ ભાંગેલો જોઇને એના પ્રત્યે ભીષ્મજીએ દેખાડેલા પ્રેમ અને સદ્ભાવની વાત સંજય આગળના શ્લોકમાં પ્રગટ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૧

અધ્યાય ૦૧ - શ્લોક ૧૧

મૂળ શ્લોક: 
अयनेषु च सर्वेषु यथाभागमवस्थिताः ।
भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि ॥ ११ ॥
શ્લોક ભાવાર્થ: 
આપ સઘળેસઘળા લોકો બધા મોરચાઓ ઉપર પોતપોતાની જગાએ દ્રઠતાથી ઊભા રહીને જ પિતામહ ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
મોરચાઓ ઉપર આપની નિમણૂક કરવામાં આવી છે, આપ સર્વ યોદ્ધાઓ તે મોરચાઓ ઉપર મક્કમતાપૂર્વક સ્થિર રહીને બધી બાજુથી અને બધી રાતે ભીષ્મજીનું રક્ષણ કરો.

ભીષ્મજીનું બધી બાજુથી રક્ષણ કરો - એમ કહીને દુર્યોધન ભીષ્મજીને અંદરખાનેથી પોતાના પક્ષમાં લાવવા માગે છે. એવું કહેવાનો બીજો ભાવ એ છે કે જ્યારે ભીષ્મજી યુદ્ધ કરે, ત્યારે કોઇ પણ વ્યૂહદ્વારેથી શિખંડી એમની સામે ન આવી જાય - એનું આપ લોકો ધ્યાન રાખજો. જો શિખંડી એમની સામે આવી જશે, તો ભીષ્મજી એના ઉપર શસ્ત્રાસ્ત્રો નહિ ચલાવે. કારણ કે શિખંડી પૂર્વ જન્મમાં સ્ત્રી હતો અને આ જન્મમાં પણ પ્રથમ સ્ત્રી હતો, પાછણથી પુરુષ બન્યો છે. એટલા માટે ભીષ્મજી અને સ્ત્રી જ માને છે અને એમણે શિખંડી સાથે યુદ્ધ નહિ કરવાની પ્રતિજ્ઞા કરી રાખી છે. આ શિખંડી શંકરના વરદાનથી ભીષ્મજીને મારવા માટે જ જન્મ્યો છે. આથી જો શિખંડીથી ભીષ્મજીનું રક્ષણ થઇ જશે, તો પછી તેઓ બધાને મારી નાખશે, જેથી ચોક્કસ અમારો જ વિજય થશે. આ વાતને લીધે દુર્યોધન બધા મહારથીઓને ભીષ્મજીનું રક્ષણ કરવાને માટે કહે છે.
શ્લોક માહિતી: 
સંબંધ - હવે દુર્યોધન પિતામહ ભીષ્મને પ્રસન્ન કરવા પોતાની સેનાના બધા મહારથીઓને સંબોધીને કહે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૧૦

અધ્યાય ૦૧ - શ્લોક ૧૦

મૂળ શ્લોક: 
अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् ।
पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् ॥ १० ॥
શ્લોક ભાવાર્થ: 
તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે; કેમકે તેના સંરક્ષક (બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા) ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે; કેમકે તેના સંરક્ષક (પોતાની સેનાનો જ પક્ષ ખેંચનાર) ભીમસેન છે.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अपर्याप्तं तदस्मकं बलं भीष्माभिरक्षितम्' - અધર્મ-અન્યાયને લીધે દુર્યોધનના મનમાં ભય હોવાથી તે પોતાની સેના વિષે વિચારે છે કે અમારી સેના મોટી હોવા છતાં પણ અર્થાત્ પાંડવોની સરખામણીએ ચાર અક્ષોણી વધારે હોવા છતાં પણ પાંડવો ઉપર વિજય મેળવવામાં તો અસમર્થ જ છે ! કારણ કે અમારી સેનામાં મતભેદ છે. તેમાં એટલી એકતા (સંગઠન), નિર્ભયતા અને નિઃસંકોચતા નથી, જેટલી પાંડવોની સેનામાં છે. અમારી સેનાના મુખ્ય સંરક્ષક પિતામહ ભીષ્મ બન્ને પક્ષનું ભલું ઇચ્છનારા છે અર્થાત્ એમના મનમાં કૌરવ અને પાંડવ બન્ને સેનાઓનો પક્ષ છે. તેઓ કૃષ્ણના મહાન ભક્ત છે. એમના હ્રદયમાં યુધિષ્ઠિર માટે ઘણો આદરભાવ છે. અર્જુન ઉપર પણ એમનો ભારે પ્રેમ છે. આથી એ અમારા પક્ષમાં રહેવા છતાં પણ અંદરખાને પાંડવોનું ભલું ઇચ્છે છે. એ જ ભીષ્મ અમારી સેનાના મુખ્ય સેનાપતિ છે. એવી પરિસ્થિતિમાં અમારી સેના પાંડવોનો સામનો કરવા કેવી રીતે સમર્થ થઇ શકે? ના જ થઇ શકે.

'पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम्' - પરંતુ આ જે પાંડવોની સેના છે, તે અમારી ઉપર વિજય મેળવના સમર્થ છે. કારણ કે એમની સેનામાં મતભેદ નથી, પરંતુ આ જે મતના થઇને સંગઠિત છે. એમની સેનાનો સંરક્ષક બળવાન ભીમસેન છે, જે બાળપણથી જ મને હરાવતો આવ્યો છે. એણે એકલે હાથે મારા સહિત સો ભાઇઓને મારવાની પ્રતિજ્ઞા કરી લીધી છે અર્થાત્ એ અમારો નાશ કરવા તત્પર થયો છે ! એનું શરીર વજ્ર જેવું મજબૂત છે. એને મેં ઝેર પિવાડાવ્યું હતું, છતાં એ મર્યો નહિ. એવો એ ભીમસેન પાંડવોની સેનાનો સંરક્ષક છે, એટલે એ સેના વાસ્તવમાં શક્તિશાળી છે, પૂર્ણ છે.

અહીં એવી શંકા થઇ શકે કે દુર્યોધને પોતાની સેનાના સંરક્ષક તરીકે ભીષ્મજીનું નામ લીધું, જે સેનાપતિના પદે નિમાયા છે. પરંતુ પાંડવસેનાના સંરક્ષક તરીકે ભીમનું નામ લીધું, જે સેનાપતિ નથી. એનું સમાધાન એ છે કે દુર્યોધન એ વખતે સેનાપતિઓની વાત વિચારી રહ્યો નથી; પરંતુ બન્ને સેનાઓની શક્તિ વિષે વિચારે રહ્યો છે કે કઇ સેનાની શક્તિ વધારે છે? દુર્યોધન ઉપર આરંભથી જ ભીમસેનની શક્તિની, તેના બળવાનપણાની વધારે અસર પડેલી છે. આથી એ પાંડવસેનાના સંરક્ષક તરીકે ભીમસેનનું જ નામ લે છે.


[૧] - સંજય વ્યાસજીએ વિશેષ રૂપે દીધેલી દ્રષ્ટિથી સૈનિકોના મનમાં આવેલી વાતોને પણ જાણી લેવામાં સમર્થ હતા -
प्रकाशं वाप्रकाशं वा दिवा वा यदि वा निशि । मनसा चिन्तितमपि सर्वं वेत्स्यति संजयः ॥ (મહાભારત, ભીષ્મ. ૨/૧૧)
શ્લોક માહિતી: 
સંબંધ - દુર્યોધનની વાતો સાંભળીને જ્યારે દ્રોણાચાર્ય કશું પણ ના બોલ્યા, ત્યારે પોતાની ચાલાકી નહિ ચાલી શકવાથી દુર્યોધનના મનમાં કયો વિચાર આવે છે - એને સંજય હવે પછીના શ્લોકમાં કહે છે.[૧]

અધ્યાય ૦૧ - શ્લોક ૦૯

અધ્યાય ૦૧ - શ્લોક ૦૯

મૂળ શ્લોક: 
अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः ।
नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः ॥ ९ ॥
શ્લોક ભાવાર્થ: 
એમના ઉપરાંત બીજા ઘણાયે શૂરવીરો છે, જેમણે મારે માટે પોતાની જીવવાની ઇચ્છાનો પણ ત્યાગ કરી દીધો છે અને જેઓ અનેક પ્રકારનાં અસ્ત્રશસ્ત્રોને ચલાવવાવાળા છે તથા જેઓ સઘળેસઘળી યુદ્ધકળામાં અત્યંત ચતુર છે.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः' - મેં અત્યાર સુધી આપણી સેનાના જેટલા શૂરવીરોનાં નામ લીધાં છે, તેમના ઉપરાંત પણ અમારી સેનામાં બાહ્લીક, શલ્ય, ભગદત્ત, યજદ્રથ વગેરે ઘણાયે શૂરવીર મહારથીઓ છે, જેઓ મારી ભાલાઇ માટે, મારા વતી લડવા માટે પોતાની જીવવાની ઇચ્છાનો ત્યાગ કરીને અહીં આવ્યા છે. તેઓ મારા વિજય માટે મરી ભલે જાય, પરંતુ યુદ્ધમાંથી હઠશે નહિ. એમની હું આપની સમક્ષ કઇ કૃતજ્ઞતા પ્રગટ કરું ?

'नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः' - આ બધા લોકો હાથમાં રાખીને પ્રહાર કરવાવાળાં તલવાર, ગદા, ત્રિશૂળ વગેરે વિવિધ પ્રકારનાં શસ્ત્રોની કળામાં નિપુણ છે; હાથ વડે ફેંકીને પ્રહાર કરવાવાળાં બાણ, તોમર, શક્તિ વગેરે અસ્ત્રોની કળામાં પણ નિપુણ છે. યુદ્ધ કેવી રીતે કરવું જોઇએ; કઇ પદ્ધતિથી, કયા પેંતરાથી અને કઇ યુક્તિથી યુદ્ધ કરવું જોઇએ; સેનાને કઇ રીતે ગોઠવવી જોઇએ વગેરે યુદ્ધકળાઓમાં પણ તેઓ ઘણા નિપુણ અને કુશળ છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૮

અધ્યાય ૦૧ - શ્લોક ૦૮

મૂળ શ્લોક: 
भवान्भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः ।
अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च ॥ ८ ॥
શ્લોક ભાવાર્થ: 
આપ (દ્રોણાચાર્ય) અને પિતામહ ભીષ્મ તથા કર્ણ અને સંગ્રામવિજયી કૃપાચાર્ય તથા એવા જ અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'भवान् भीष्मश्च' - આપ અને પિતામહ ભીષ્મ - બન્નેય ઘણા વિશેષ પુરુષો છો. આપ બેઉની સમકક્ષ સંસારમાં ત્રીજો કોઇ પણ નથી. જો આપ બેમાંથી કોઇ એક પણ પોતાની પૂર્ણ શક્તિ વાપરીને યુદ્ધ કરે, તો દેવતા, યક્ષ, રાક્ષસ, મનુષ્ય વગેરેમાં એવો કોઇ પણ નથી, કે જે આપની સામે ટકી શકે. આપ બન્નેના પરાક્રમની વાત જગતમાં પ્રસિદ્ધ જ છે. પિતામહ ભીષ્મ તો આબાલ બ્રહ્મચારી છે અને ઇચ્છામૃત્યુ છે અર્થાત્ એમની ઇચ્છા વિના એમને કોઇ મારી જ નથી શકતા. [મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન દ્વારા માર્યા ગયા, અને પિતામહ ભીષ્મે પોતાની ઇચ્છાથી જ સૂર્યના ઉત્તરાયણ થયા પછી પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો.]

'कर्णश्च' - કર્ણ તો ઘણો જ શૂરવીર છે. મને તો એવો વિશ્વાસ છે કે તે એકલો જ પાંડવસેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે છે. એની સામે અર્જુન પણ કંઇ કરી શકે તેમ નથી. એવો એ કર્ણ પણ અમારા પક્ષમાં છે. [કર્ણ મહભારતના યુદ્ધમાં અર્જુન દ્વારા માર્યા ગયા.]

'कृपश्च समितिञ्जयः' - કૃપાચાર્યની તો વાત જ શું કરવી ! તેઓ તો ચિરંજીવી છે, [૧] અમારા પરમ હિતેચ્છુ છે અને સમગ્ર પાંડવસેના ઉપર વિજય પ્રાપ્ત કરી શકે તેવા છે.

જોકે અહીં દ્રોણાચાર્ય અને ભીષ્મના પછી જ દુર્યોધને કૃપાચાર્યનું નામ લેવું જોઇતું હતું, પરંતુ દુર્યોધનને કર્ણ ઉપર જેટલો વિશ્વાસ હતો, એટલો કૃપાચાર્ય ઉપર ન હતો. એટલા માટે કર્ણનું નામ તો હૈયામાંથી વચમાં જ નીકળી પડયું. દ્રોણાચાર્ય અને ભીષ્મ ક્યાંય કૃપાચાર્યનું અપમાન ન સમજી લે, એટલા માટે દુર્યોધન કૃપાચાર્યને 'સંગ્રામવિજયી' વિશેષણ આપીને એમને પ્રસન્ન કરવા માગે છે.

'अश्वत्थामा' - એ પણ ચિરંજીવી છે અને આપના જ પુત્ર છે. એ ઘણા મોટા શૂરવીર છે. એમણે આપની પાસેથી જ અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખી છે. અસ્ત્રશસ્ત્રની કળામાં તેઓ ઘણા ચતુર છે.

'विकर्णश्च सौमदत्तिस्तथैव च' - આપ એવું ન સમજશો કે માત્ર પાંડવો જ ધર્માત્મા છે, આપણા પક્ષમાં પણ મારો ભાઇ વિકર્ણ મોટો ધર્માત્મા અને શૂરવીર છે. એવી જ રીતે આપણા પ્રપિતામહ શાંતનુના ભાઇ બાહ્લીકના પૌત્ર તથા સોમદત્તના પુત્ર ભૂરિશ્રવા પણ મોટા ધર્માત્મા છે. એમણે મોટીમોટી દક્ષિણાવાળા અનેક યજ્ઞો કર્યા છે. તેઓ મોટા શૂરવીર અને મહારથી છે. [યુદ્ધમાં વિકર્ણ ભીમ દ્વારા અને ભૂરિશ્રવા સાત્યકિ દ્વારા માર્યા ગયા.]

અહીં એ શૂરવીરનાં નામ લેવામાં દુર્યોધનનો એ ભાવ જણાઇ આવે છે કે હે આચાર્ય ! આપણી સેનામાં આપ, ભીષ્મ, કર્ણ, કૃપાચાર્ય વગેરે જેવા મહાન પરાક્રમી શૂરવીરો છે, એવા પાંડવોની સેનામાં જોવામાં નથી આપવા. આપણી સેનામાં કૃપાચાર્ય અને અશ્વત્થામા - એ બે ચિરંજીવીઓ છે, જ્યારે પાંડવોની સેનામાં એવા એક પણ નથી. આપણી સેનામાં ધર્માત્માઓની પણ કમી નથી. આ કારણથી અમારે માટે ડરવાની કોઇ વાત નથી.


[૧] - અશ્વત્થામા, બલિ, વેદવ્યાસ, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કણ્ડેય - આ આઠ ચિરંજીવીઓ છે. શાસ્ત્રમાં લખ્યું છે કે -
अश्वत्थामा बलिर्व्यासो हनूमांश्च विभीषणः । कृपः परशुरामश्च सप्तैते चिरजीविनः ।
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम् । जीवेद्वर्षशतं सोङपि सर्वव्याधिविवर्जितः ॥

અધ્યાય ૦૧ - શ્લોક ૦૭

અધ્યાય ૦૧ - શ્લોક ૦૭

મૂળ શ્લોક: 
अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विहोत्तम ।
नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते ॥ ७ ॥
શ્લોક ભાવાર્થ: 
હે દ્વિજોત્તમ ! અમારા પક્ષમાં પણ જેઓ મુખ્ય છે, એમના ઉપર પણ આપ ધ્યાન આપો. આપને યાદ અપાવવા માટે મારી સેનાના જે નાયકો છે, તેઓને હું કહું છું.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'अस्माकं तु विशिष्टा ये तान्निबोध द्विजोत्तम' - દુર્યોધન દ્રોણાચાર્યને કહે છે કે, હે દ્વિજશ્રેષ્ઠ ! પાંડવોની સેનામાં શ્રેષ્ઠ મહારથીઓ છે, તો અમારી સેનામાં એમનાથી ઓછી વિશેષતાવાળા મહારથી નથી, ઊલટાના એમની સેનાના મહારથીઓની અપેક્ષાએ વધારે વિશેષતા રાખવાવાળા છે. એમને પણ આપ સમજી લો.

ત્રીજા શ્લોકમાં 'पश्य' અને અહીં 'निबोध' ક્રિયા આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના તો સામે ઊભી છે, એટલા માટે એને જોવા માટે દુર્યોધન 'पश्य' (જુઓ) ક્રિયાનો પ્રયોગ કરે છે. પરંતુ પોતાની સેના સામે નથી અર્થાત્ પોતાની સેનાની તરફ દ્રોણાચાર્યની પીઠ છે, એટલા માટે એને જોવાની વાત ન કહીને એના પર ધ્યાન આપવા માટે 'निबोध' (ધ્યાન આપો) ક્રિયાનો પ્રયોગ કરે છે.

'नायका मामा सैन्यस्य संज्ञार्थं तान्ब्रवीमि ते' - મારી સેનામાં પણ જેઓ વિશિષ્ટવિશિષ્ટ સેનાપતિઓ છે, સેનાનાયકો છે અને મહારથીઓ છે, હું તેમનાં નામો કેવળ આપને યાદ અપાવવા માટે, આપનું ધ્યાન એ તરફ ખેંચવા માટે જ કહી રહ્યો છું.

'संज्ञार्थम्' - પદનું તાત્પર્ય એ છે કે અમારા ઘણા જ સેનાનાયકો છે, એમનાં નામો હું ક્યાં સુધી કહું? એટલા માટે હું એમનો કેવળ સંકેતમાત્ર કરું છું, કેમકે આપ તો બધાને જાણો જ છો.

આ શ્લોકમાં દુર્યોધનનો એવો ભાવ પ્રતીત થાય છે કે અમારો પક્ષ કોઇ પણ રીતે કમજોર નથી. પરંતુ રાજનીતિ પ્રમાણે, શત્રુપક્ષ ચાહે કેટલાય કમજોર હોય અને પોતાનો પક્ષ ચાહે કેટલોય સબળ હોય, એવી અવસ્થામાં પણ શત્રુપક્ષને કમજોર ના સમજવો જોઇએ અને પોતાના પક્ષમાં ઉપેક્ષા, ઉદાસીનતા વગેરે ભાવો કિંચિત્માત્ર પણ ના આવવા દેવા જોઇએ. એટલા માટે સાવચેતી માટે મેં એમના સૈન્યની વાત કહી અને હવે આપણી સેનાની વાત કહું છું.

બીજો ભાવ એ છે કે પાંડવોની સેનાને જોઇને દુર્યોધન ઉપર ભારે પ્રભાવ પડ્યો અને એના મનમાં કંઇક ભય પણ પેદા થયો. કારણ કે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવસેનાના પક્ષમાં ઘણા બધા ધર્માત્મા પુરુષો હતા અને ભગવાન પોતે પણ હતા. જે પક્ષમાં ધર્મ અને ભગવાન રહે છે, તેનો બધાના ઉપર પ્રભાવ પડે છે. પાપીમાં પાપી અને દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિ ઉપર પણ એનો પ્રભાવ પડે છે. એટલું જ મહિ, પશુપક્ષી, વૃક્ષલતા વગેરે ઉપર પણ એનો પ્રભાવ પડે છે. કારણ કે ધર્મ અને ભગવાન નિત્ય છે. કેટલીયે ઊંચામાં ઊંચી ભૌતિક શક્તિઓ કેમ ના હોય, પણ છે તો એ બધી અનિત્ય જ. એતલા માટે દુર્યોધન ઉપર પાંડવસેનાની ઘણી અસર પડી. પરંતુ એના અંતરમાં ભૌતિક બળનો વિશ્વાસ મુખ્ય હોવાથી તે દ્રોણાચાર્યને વિશ્વાસ આપવા માટે કહે છે કે આપણા પક્ષમાં જેતલી વિશેષતા છે, એટલી પાંડવોની સેનામાં નથી. આથી આપણે એમના ઉપર સહજ રીતે જ વિજય કરી શકીએ છીએ.
શ્લોક માહિતી: 
સંબંધ - દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા કરવા અને યુદ્ધ માટે ઉત્સાહ આપવા માતે દુર્યોધને પાંડવસેનાની વિશેષતા બતાવી. દુર્યોધનના મનમાં વિચાર આવ્યો કે દ્રોણાચાર્ય પાંડવોના પક્ષપાતી છે જ; આથી તેઓ પાંડવસેનાનું મહત્વ સાંભળીને મને એમ કહી શકે છે કે જો પાંડવોની સેનામાં આટલી વિશેષતા છે તો એમની સાથે તું સંધિ કેમ નથી કરી લેતો? એવા વિચાર આપતાં જ દુર્યોધન આગળના ત્રણ શ્લોકોમાં પોતાની સેનાની વિશેષતા બતાવે છે.